# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 10 November 2017

9મી નવેમ્બરનો દિવસ જૂનાગઢની ઐતિહાસીક તવારીખ માટે મહત્વનો દિવસ છે.

નવાબની એક ઇચ્છાના કારણે 84 દિવસ મોડું આઝાદ થયું તુ જૂનાગઢ









9મી નવેમ્બરનો દિવસ જૂનાગઢની ઐતિહાસીક તવારીખ માટે મહત્વનો દિવસ છે.



15મી ઓગષ્ટ 1947ના રોજ ભારત દેશે અંગ્રેજોના શાસનમાંથી મુકત થઇ આઝાદીની પ્રથમ હવા માણી હતી. પરંતુ આ આઝાદી જૂનાગઢવાસીઓ માટે ન હતી. નવાબની ઇચ્છા પાકિસ્તાનમાં ભળવાની હોય ભારત આઝાદ થયાનાં 85 દિવસ બાદ જૂનાગઢને પૂર્ણરૂપે આઝાદી મળી હતી. આ આઝાદી માટે આરઝી હકુમતની સ્થાપના સાથે આરઝી હકુમતના લડવૈયાઓએ બહુ મોટી કિંમત ચુકવવી પડી હતી. બાદમાં 9મી નવેમ્બરનાં રોજ જૂનાગઢનાં છેલ્લા નાયબ દિવાન હોર્વે જોન્સે જૂનાગઢ સ્ટેટનો કબ્જો વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટનાં રિજીયોનલ કમિશ્નર નિલમ બુચને સોંપતા જ જૂનાગઢ સ્ટેટ પૂર્ણ રૂપે ભારતનો હિસ્સો બની ગયું હતું.

15 ઓગષ્ટ 1947ના રોજ ભારતની સ્વતંત્રતા સાથે જૂનાગઢ સ્ટેટનાં છેલ્લા નવાબ મહાબતખાનજીએ જૂનાગઢ સ્ટેટને પાકિસ્તાન સાથે જોડાણ કરવા સહમત થતા જ જૂનાગઢની પ્રજામાં માતમ છવાઇ ગયું હતું. બહુવિધ હિન્દુ પ્રજા જૂનાગઢને પાકિસ્તાનના બદલે ભારત સાથે જોડવવાના પક્ષમાં હતી.

તા.24 સપ્ટેમ્બર 1947ના રોજ દિલ્હીની પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે, જૂનાગઢ મે સે પાકિસ્તાન જાના ચાહિએ ‘’ જેના અનુસંધાને 25 સપ્ટેમ્બરનાં રોજ મુંબઇનાં માધવબાગ ખાતે ન્યાલચંદ મુલચંદ શેઠનાં અધ્યક્ષ સ્થાને મળેલી જંગી જાહેર સભામાં આરજી હકુમતની સ્થાપના કરવામાં આવી અને આરજી હકુમતના સરનશીન તરીકે શામળદાસ ગાંધી પર કળશ ઢોળાયો તેમજ અમૃતલાલ શેઠે તેઓને સમશેર પણ ભેટ આપી હતી.

8 નવેમ્બર 1947ની સાંજ સુધીતો આરજી હકુમતની સેનાએ જૂનાગઢ સ્ટેટના કુલ 106 ગામો કબ્જે કરી લીધા હતા. જેથી ફફડી ગયેલા જૂનાગઢના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ બીજા જ દિવસે એટલે કે તા.9મી નવેમ્બરનાં રોજ એક પ્રેસ કોમ્યુનિક બહાર પાડી જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી બહારથી કામ કરતા અવ્યવસ્થિત લશ્કરે (આરઝી હકુમતની સેના)જે પરિસ્થિતિ ઉભી કરી છે નેક નામદાર નવાબ સાહેબની રૈયતને ગંભીર મુશ્કેલી પહોંચાડવાની કોશિષ કરી છે એ માટે જૂનાગઢ સરકાર ચિંતાની લાગણી વ્યકત કરે છે. કરાંચીથી મળેલા એક સંદેશામાં ખુદ નેક નામદાર નવાબ સાહેબ બહાદુરે તેઓની ખાસ ઇચ્છા વ્યકત કરતા જણાવ્યું છે કે, તેની વ્હાલી પ્રજાની ખુનામરાકી થતી અટકાવવી.

જૂનાગઢની પ્રજાને તમામ પરિસ્થિતિ સમજાવી જૂનાગઢના ભારત સાથેના જોડાણ સંબંધમાં જે મુદ્દા રહેલા છે તેનું માનભર્યુ સમાધાન થતા સુધી જૂનાગઢની સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ઇન્ડીયા સ્ટેટ ડિપાર્ટમેન્ટની મદદ માંગવી એવું દિવાનના બંગલે મળેલી સભામાં ઠેરાવાયું હતું.” જેના અનુસંધાને 9 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ સ્ટેટનો કબ્જો હોર્વે જોન્સને રાજકોટ મોકલી વેસ્ટર્ન ઇન્ડીયા સ્ટેટનાં રીજીયોનલ કમિશ્નર નિલમ બૂચને સોંપવામાં આવ્યો. આ ઐતિહાસીક પ્રેસ કોમ્યુનિક અને આરઝી હકુમતનું સાહિત્ય તથા ફોટોગ્રાફ્સ ઇતિહાસવિદ્દ પરિમલ રૂપાણીના સંગ્રહમાં આજે પણ સચવાયેલું પડ્યું છે.

જૂનાગઢનું પ્રથમ લોકશાહી મતદાન



જૂનાગઢનાં પ્રથમ એડમીનીસ્ટ્રેટ તરીકે ટી.એલ. શાહની નિમણૂંક કરવામાં આવી હતી. સાથે જ જૂનાગઢનું સર્વ પ્રથમ લોકશાહી મતદાન યોજાયું હતું. જેમાં હિન્દુસ્તાનનાં પક્ષે 1,91,688 મતો જ્યારે પાકિતાનનાં પક્ષે માત્ર 91 મત પડ્યા હતા. એ વખતે હિન્દુસ્તાનનાં મત માટે લાલ ડબ્બો અને પાકિસ્તાનનાં મત માટે લીલો ડબ્બો રાખવામાં આવ્યો હતો.

કરાંચી જવા ઉતાવળા નવાબ બે બેગમોને સાથે લઇ જવાનું ભુલ્યા

આરઝી હકુમતની તાકાત જોઇ નાસેલા નવાબ કરાંચી જવા એટલા ઉતાવળા હતા કે, તેઓ પોતાની નવ બેગમો પૈકી બે બેગમોને સાથે લઇ જવાનું ચુકી ગયા હતા. જ્યારે તેમનાં પ્રિય એવા નાટકનાં એક્ટર અમુ અને કેશોદનાં ડો.ત્રીભુવનદાસ તેમજ ડો.વસાવડાને કરાંચી સાથે લઇ ગયા.

આરઝી હકુમતની સેના દ્વારા ઉપરકોટ પર પ્રથમ ધ્વજવંદન



9મી નવેમ્બરનાં જૂનાગઢનો કબ્જો ઇન્ડીયા સ્ટેટનાં રીઝીયોનલ કમિશ્નર નિલમ બુચને સોંપ્યા બાદ તા.13 નવેમ્બરનાં રોજ આરઝી હકુમતની સેનાએ જૂનાગઢનાં ઉપરકોટ ખાતે વહેલી સુપ્રભાતે ધ્વજવંદન કર્યું તો આ જ દિવસે ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ કાકા સાહેબ ગારગીલ સાથે કેશોદ એરોડ્રામ ખાતે પહોંચી બાદમાં જૂનાગઢની બહાઉદીન કોલેજનાં મેદાનમાં જંગી જાહેર સભા યોજી હતી. તેમજ હિન્દુસ્તાનમાં રહેવા માંગતા લોકો હાથ ઉંચો કરે એ રીતે લોકોની ઇચ્છા પણ જાણી હતી.

પાકિસ્તાન જવા માંગતા લોકોને 5 રૂપિયા દક્ષિણા પણ આપીશ

તા.13 નવેમ્બર 1947નાં રોજ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજનાં મેદાનમાં ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલે જંગી જાહેર સભા યોજી હિન્દુસ્તાનમાં રહેવા માંગતા લોકોનો મત માંગ્યો હતો. આ સભામાં તેઓએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન જવા માંગતા લોકોની તેની માલ મિલ્કત ઉપરાંત પાંચ રૂપિયા દક્ષિણા પણ હું આપીશ.

આરઝી હકુમતે પ્રથમ અમરાપુર પર કબજો કરતા નવાબ કરાંચી પલાયન



25 સપ્ટેમ્બરનાં રોજ મુંબઇમાં આરઝી હકુમતની સ્થાપના બાદ 30 સપ્ટેમ્બરનાં રોજ રાજકોટ ખાતેનાં જૂનાગઢ હાઉસને કબ્જે કર્યા બાદ સેનાએ સૌ પ્રથમ રતુભાઇ અદાણીનાં માર્ગદર્શન હેઠળ અમરાપુર ધાનાણી ગામ કબ્જે કર્યું ત્યારે નવાબને જૂનાગઢમાં રહેવું અશક્ય લાગતા પાકિસ્તાન સરકાર સાથે વાટાઘાટાનાં બહાને કેશોદ એરોડ્રામથી કરાંચી પ્લેન મારફતે પલાયન થયા.

આરઝી હકુમતનાં લડવૈયાઓનું સ્મારક બનાવવા તંત્ર નિરસ

જૂનાગઢમાં આરઝી હકુમતનાં લડવૈયાઓ માટે સ્મારક બનાવવાની વાતો વર્ષોથી ચર્ચાઇ રહી છે. અગાઉ તત્કાલીન કલેક્ટર અશ્વીનકુમારનાં અધ્યક્ષસ્થાને એક કમીટી બનાવી બહાઉદ્દીન કોલેજ ખાતેનાં વિજય સ્થંભ પર આરઝી હકુમતનાં લડવૈયાઓ માટે સ્મારક બનાવવાની તૈયારી બતાવાઇ હતી. પરંતુ એક યા બીજી કારણોસર આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ સીમીત રહી ગયો.

નીચે જુવો જૂનાગઢ ના ઐતિહાસીક ફોટા….

































સ્રોત: દિવ્યભસ્કર

No comments:

Post a Comment