# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 23 February 2018

ભારતીય યુધ્ધો નો ઈતિહાસ

ભારતીય યુધ્ધો નો ઈતિહાસ – ૧

['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨]

1. રાષ્ટ્રની રક્ષા માટે યુદ્ધ અનિવાર્ય છે. બધી મંત્રણાઓ કર્યા પછી પણ જ્યારે શત્રુપક્ષ સમાધાન માટે તૈયાર ન થાય ત્યારે યુદ્ધ જ બાકી રહે છે. જો તે ન કરવામાં આવે તો રાષ્ટ્રનું રક્ષણ થઈ શકતું નથી. મંત્રણાઓ પણ તેની સફળ થતી હોય છે જેનામાં યુદ્ધ કરવાની અને જીતવાની ક્ષમતા હોય.
2. રાષ્ટ્રની રક્ષા ત્રણ રીતે થઈ શકે છે :
1. જ્યાંથી આક્રમણ થવાનું હોય તેના ઉપર પ્રથમથી જ આક્રમણ કરી દેવું. તેને તેની ભૂમિ ઉપર જ લડવા બાધ્ય કરવો. જેથી આપણી ભૂમિ યુદ્ધક્ષેત્રથી બચી જાય.
2. શત્રુપક્ષ તરફથી આક્રમણ થયા પછી પ્રત્યાક્રમણ કરવું.
3. આ બન્નેમાંથી એક પણ ન કરી શકાય તો તો શત્રુપક્ષની શરતો પ્રમાણે સંધિ કરી લેવી અથવા હારી જવું.
3. આપણે એક વાર જ વિદેશી શત્રુ ઉપર આક્રમણ કર્યું હતું. શ્રી રામે, શ્રીલંકા ઉપર પૂરી તૈયારી કરીને આક્રમણ કર્યું હતું. અને સીતાજીને લઈ આવ્યા હતા. મને લાગે છે કે આ પહેલું અને છેલ્લું આક્રમણ હતું. તે પછી પૂરી તૈયારી કરીને પરદેશ ઉપર આક્રમણ કર્યું હોય તેવું દેખાતું નથી. આવો, જરા વિગતથી ઇતિહાસ જોઈએ.
4. ઈરાનના હખામની વંશના રાજા કુરુષે ઈ.સ. પૂર્વ 558માં એક મોટી સેના સાથે ભારત ઉપર આક્રમણ કર્યું હતું. તેણે ભારતનો પશ્ચિમોત્તર પ્રદેશ અને સિન્ધુ નદી સુધીના પ્રદેશોને ખંડણી ભરતા કર્યા હતા. આપણે તેના આક્રમણ પૂર્વે તેના ઉપર ન તો આક્રમણ કર્યું કે ન પછીથી પ્રત્યાક્રમણ કર્યું. તે ફરીથી સિન્ધ ઉપર ચઢી આવ્યો, કારણ કે આક્રમણ કે પ્રત્યાક્રમણ ન થવાથી તેને પાનો ચઢ્યો. પણ આ વખતે તે હાર્યો અને ઘણી ખુવારી વેઠીને ચાલ્યો ગયો. ખુવારી વેઠીને ચાલ્યો ગયો હોવા છતાં આપણે પીછો ન કર્યો અને પ્રત્યાક્રમણ કરી તેના દેશનો કબજો ન લીધો.
5. એ જ વંશમાં ઈરાનમાં એક મહાન રાજા થયો દારા અથવા દારાયવહૂ (ઈ. પૂ. 521-485) તે ભારત ઉપર ચઢી આવ્યો. તેણે પશ્ચિમ પંજાબ અને સિન્ધ સુધીનો પ્રદેશ જીતી લીધો. આ બધા પ્રદેશોને ઈરાનમાં ભેળવી લીધા અને તેનો 20મો પ્રાન્ત બનાવ્યો. આ અધિકાર લાંબો સમય રહ્યો. યાદ રહે, આપણે ન તો પૂર્વ આક્રમણ કર્યું કે ન પછીથી પ્રત્યાક્રમણ કર્યું. આ ગુલામી સિકંદરના દ્વારા દૂર થઈ.
6. ઈ.સ. પૂર્વ 327માં ગ્રીસથી સિકંદર (એલેકઝાંડર) ચઢી આવ્યો. તેણે ઈરાનને જીતી લીધું. તેથી આપણા પ્રદેશો ઈરાનના કબજામાંથી મુક્ત થયા. સિકંદરે છેક કાશ્મીરથી સિંધ સુધીના પ્રદેશો જીતી લીધા. આ વખતે પણ આપણે ગ્રીસ ઉપર ન તો આક્રમણ કર્યું કે ન તેના ઉપર પ્રત્યાક્રમણ કર્યું. જીતેલા ભારતના પ્રદેશોના તેણે ત્રણ પ્રાન્તો બનાવ્યા : 1. કંદહાર, 2. પંજાબ અને 3. સિંધ.
7. ઈ.પૂ. 190માં બૈક્ટ્રિરયાના ડીમેટ્રીયસે ભારત ઉપર આક્રમણ કર્યું. તે છેક પાટલીપુત્ર સુધી પહોંચી ગયો. જોકે પાટલીપુત્રના પુષ્યમિત્રશુંગે તથા કલિંગ (ઉડિસા)ના મારવેલ રાજાએ સાથે મળીને તેને આગળ વધતો અટકાવ્યો અને પાછો વાળ્યો. તોપણ પંજાબના સિયાલકોટ (શાકલનગર)માં રાજધાની બનાવીને તે રાજ કરતો રહ્યો. પ્રશ્ન એ થાય છે કે તેના આક્રમણ પહેલાં જ આપણે તેના ઉપર આક્રમણ કેમ ન કર્યું? તે ભારતમાં જામી ગયો.
8. ઈ.પૂ. 162માં બૈક્ટ્રિરયાના યુક્રેટિડસે ભારત ઉપર આક્રમણ કર્યું, કાબુલ, પંજાબ, તક્ષશીલા, પુષ્કલાવતી, કપીશા વગેરે પ્રદેશો જીતી લીધા. લાંબો સમય રાજ કર્યું. આપણે આક્રમણ કે પ્રત્યાક્રમણ કશું ન કર્યું.
9. આ બધા ગ્રીક રાજા-સેનાપતિઓ ભારત ઉપર ચઢી આવતા હતા. ભારતે તો તેમના ઉપર આક્રમણ-પ્રત્યાક્રમણ ન કર્યાં, પણ ઈરાનના પાથિર્અન (પહલવ) રાજાએ, શકો તથા કુષાણોનો સાથ લઈને ગ્રીક ઉપર આક્રમણ કર્યું અને ભારત ઉપરથી ગ્રીકસત્તાને નષ્ટ કરી દીધી. યાદ રહે, ત્યારે શકો-કુષાણો આપણા માટે વિદેશી હતા.
10. મધ્ય એશિયાથી શકો, ખસતા-ખસતા ભારત ઉપર ચઢી આવ્યા. તેમણે કંદહાર જીત્યું, બલૂચિસ્તાન જીત્યું. સિંધમાં પ્રવેશ્યા. સિંધને તેમણે શકદ્વીપ નામ આપ્યું. સિંધથી સૌરાષ્ટ્ર, માળવા, મથુરા, પંજાબ સુધી આણ પ્રવર્તાવી. પછી તો યમુનાથી ગોદાવરી સુધીનો પ્રદેશ જીતી લીધો. પછી કાળાન્તરે તે ભારતીય થઈ ગયા. ફરી પાછો પ્રશ્ન એ થાય છે કે વિદેશી શકો ઉપર આપણે આક્રમણ કે પ્રત્યાક્રમણ કેમ ન કર્યું?
11. આ જ સમયે ઈરાનના પહલવો ચઢી આવ્યા. અને પશ્ચિમોત્તર ભારત જીતી લીધું.
12. ચીન તરફથી યુ.-ચી. જાતિ ચઢી આવી. તેણે કાબુલ-કંદહાર (ત્યારે તે ભાગ ભારતનો ગણાતો) પછી પંજાબ, સિંધ, કાશ્મીર અને અડધો ઉત્તર પ્રદેશ જીતી લીધો. યુ.-ચી. જાતિની પાંચ શાખાઓ થઈ. તેમાંથી આ શાખાને કુષાણ કહેવાઈ. કુષાણોમાં મહાન સમ્રાટ કનિષ્ક થયો. તેણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. કનિષ્ક (ઈ.સ. 120-162) ભારતમાં રહ્યો. તે ભારતીય થઈ ગયો. લગભગ 42 વર્ષ સુધી તેણે ભારત ઉપર રાજ કર્યું. અને પોતાના પહેલાં આવેલા શકો સાથે લડતો રહ્યો. તેનું રાજ્ય કાશગર-બુખારાથી છેક ઉજ્જૈન સુધી ફેલાયેલું હતું. તેણે ક્ષત્રપો નીમ્યા અને પ્રાન્તોનો વહીવટ ચલાવ્યો. ને પછી કુષાણો ભારતીય થઈ ગયા.
13. ઈ.સ. 486માં ભારત ઉપર હૂણો ચઢી આવ્યા. તોરમાણના નેતૃત્વમાં ક્રૂર હૂણોને સમુદ્રગુપ્તે પાછા ધકેલી દીધા. પણ તે ફરી પાછા ચઢી આવ્યા અને કંદહારથી માળવા સુધીનો ભાગ જીતી લીધો. આપણે ન તો આક્રમણ કર્યું ન પ્રત્યાક્રમણ કર્યું. જે આવ્યા તે જીતતા ગયા અને રાજ કરતા રહ્યા.
14. હૂણોમાં મિહિરગુલ બહુ ક્રૂર રાજા થયો. તેણે ભારે અત્યાચારો કર્યા. અંતે અહીંની પ્રજામાં હૂણો ભળી ગયા.
15. ઈ.સ. 711માં અરબસ્તાનથી 17 વર્ષનો મહમદ બિન કાસમ ચઢી આવ્યો. સિંધનો બ્રાહ્મણ રાજા બૌદ્ધ મંત્રીઓની ગદ્દારીથી હાર્યો અને મરાયો. વિધવા રાણી કિલ્લાના રક્ષણ માટે ભારે ઝઝૂમી પણ હારી ગઈ. હજારો સ્ત્રીઓ શિયળ બચાવવા બળી મરી. કદાચ આ પહેલું જૌહરવ્રત હતું. આરબ સેનાપતિ મુલતાન પહોંચ્યો. રાજા હાર્યો. મરાયો, સમૃદ્ધ નગર લૂંટી લેવાયું. સ્ત્રીઓ વગેરેને ગુલામ બનાવી અરબસ્તાન લઈ ગયો. મંદિરો લૂંટ્યાં તથા નષ્ટ કર્યાં. અહીં આરબસત્તા સ્થાપિત થઈ. ઘણા લોકોને ઇસ્લામમાં પરિવૂર્તિત કરાયા. ભારતમાં આ પહેલી મુસ્લિમ સત્તા સ્થાપિત થઈ હતી. ફરી પાછો એનો એ જ પ્રશ્ન આક્રમણ—પ્રત્યાક્રમણ કેમ ન કર્યું? ન કરવાથી પરાજય અને વિનાશ થયો. ભારતમાં પ્રથમવાર સિંધમાં આરબોની સત્તા સ્થાપિત થઈ. અને સિંધમાંથી સૌરાષ્ટ્ર ઉપર આક્રમણો થયાં. જમાદાર જુનેદને ગદ્દાર કાકુ વાણિયો વલ્લભી ઉપર લઈ આવ્યો અને વલ્લભીનો વિનાશ કરાવ્યો, પણ વલ્લભીએ જુનેદ ઉપર પ્રથમ આક્રમણ કેમ ન કર્યું? પછીથી પ્રત્યાક્રમણ કેમ ન કર્યું?
16. ઈ.સ. 1001માં મહેમુદ ગઝનવી પંજાબ ઉપર ચઢી આવ્યો અને જયપાલને હરાવીને અપાર લૂંટ કરી પાછો ચાલ્યો ગયો.
17. જયપાલ ઉપર મહેમુદે ફરી વાર આક્રમણ કર્યું. જયપાલ ફરી હારી ગયો. ભારે આઘાત લાગવાથી જયપાલે અગ્નિમાં પ્રવેશી આત્મહત્યા કરી લીધી.
18. ઈ.સ. 1004માં ભાટિયા ઉપર આક્રમણ કર્યું. મંદિરો તોડ્યાં, સ્ત્રી-પુરુષોને ગુલામ બનાવ્યાં. હજારોની કતલ કરી, સામે કોઈએ પ્રત્યાક્રમણ ન કર્યું.
19. ઈ.સ. 1005-6માં મુલતાન ઉપર આક્રમણ કર્યું. વિજયી થઈ લૂંટીને ચાલ્યો ગયો.
20. મહેમુદે ફરીથી સુખપાલ ઉપર ચઢાઈ કરી. સુખપાલે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. પણ તેણે ધર્મ છોડી દીધો એટલે દંડ દેવા પાછો આવ્યો અને સુખપાલને જીવનભર કેદમાં રાખ્યો.
21. ઈ.સ. 1008-9માં અનંગપાલ ઉપર ચઢાઈ કરી. પેશાવરના મેદાનમાં બન્ને સેનાઓ વચ્ચે યુદ્ધ થયું. મહમુદ જીતી ગયો. તેણે ભારતના મોટા પ્રદેશ ઉપર આક્રમણ કર્યું. અને મોટી સંપત્તિ લૂંટી, મંદિરો તોડ્યાં, સ્ત્રી-પુરુષોને ગુલામ બનાવ્યાં અને ગઝની લઈ ગયો. પણ કોઈ બોધપાઠ ન લેવાયો. ન તો આપણે ગઝની ઉપર આક્રમણ કર્યું ન પ્રત્યાક્રમણ કર્યું.
22. ઈ.સ. 1010માં અલવર પાસે નારાયણપુર ઉપર ચઢાઈ કરી. મહેમુદ ભૂમિ મેળવવા ચઢાઈ કરતો ન હતો, તેને તો મંદિરો તોડવામાં, લૂંટવામાં અને જુવાન સ્ત્રીઓને ગુલામ બનાવવામાં રસ હતો. તેથી રાજાને હરાવીને મંદિરો તોડીને, લૂંટીને વીણી-વીણીને જુવાન સ્ત્રીઓને પકડીને ચાલતો થતો.
23. ઈ.સ. 1010માં ફરીથી મુલતાન ઉપર ચઢાઈ કરી, રાજાને હરાવી કેદ કરી લઈ ગયો. મુલતાનને ત્રીજી વાર લૂંટી લીધું.
24. મહેમુદે ફરીથી અનંગપાલના પુત્ર પૂરુ જયપાલ ઉપર આક્રમણ કર્યું. રાજા હારીને ભાગી ગયો. આ વખતે મહેમુદ એટલી બધી સ્ત્રીઓને ગુલામ પકડી કે ગઝની અને બીજાં શહેરો આવી ગુલામ સ્ત્રીઓથી બજારો ઊભરાઈ ગયાં.
25. મહેમુદે ઈ.સ. 1014માં થાણેશ્વર ઉપર ચઢાઈ કરી, થાણેશ્વરમાં રાજાએ જગસામ્બનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું તેમાં અઢળક ધન હતું. તે લૂંટવાની તથા મંદિર તોડવાની તેની નેમ હતી. રાજાએ તેને સમજાવ્યો કે એ મંદિર ન તોડે તો લાખ્ખો સોનામહોરોનો દંડ આપવા હું તૈયાર છું. પણ મહેમુદે કહ્યું કે મંદિરો તોડવાં એ અલ્લાહનો હુકમ છે. તેમાં કશો ફેરફાર થઈ શકે નહિ. તેણે મંદિર તોડ્યું. ચક્રપાણિની મૂર્તિના ટુકડા કર્યા, હજારો સ્ત્રીઓ અને ધનને લઈને પાછો ફર્યો. ‘હું મૂર્તિઓ તોડનારો છું. વેચનારો નથી.’ તેવું તેનું પ્રસિદ્ધ વાક્ય છે.
26. ઈ.સ. 1014-15માં તેણે કાશ્મીર ઉપર ચઢાઈ કરી. પણ હિમવર્ષાના કારણે સફળ ન રહ્યો તેથી પાછો ફર્યો.
27. ઈ.સ. 1018-19માં તેણે મથુરા—કનોજ ઉપર ચઢાઈ કરી. કનોજનો રાજા શરણે થયો તોપણ ત્યાંનાં દશ હજાર મંદિરોને લૂંટ્યાં અને તોડ્યાં. ત્યાંથી વારણા ગયો ત્યાં લોકોએ દંડ આપ્યો. તોપણ મંદિરો તો તોડ્યાં જ. ત્યાંથી મથુરા જઈને હાહાકાર મચાવ્યો. તેણે બધાં મંદિરો તોડ્યાં, લૂંટ્યાં અને ત્રેપન હજાર સ્ત્રી-પુરુષોને ગુલામ બનાવ્યાં. મથુરામાંથી 62 મણની સોનાની એક મૂર્તિ મળી. તેને લઈ જવી કઠિન લાગતાં ત્યાં ને ત્યાં ટુકડા કરી લઈ ગયો. વૃન્દાવનમાં પણ આવું જ કર્યું.
28. ઈ.સ. 1020માં તે બુંદેલારાજા ઉપર ચઢી આવ્યો. અને જીત્યો.
29. હિરાત તથા નૂર (કાબુલ નદી પાસે) એટલા માટે ચઢાઈ કરી, કારણ કે અહીંના બૌદ્ધોએ ઇસ્લામ સ્વીકારેલો પણ તે છોડીને ફરીથી મૂર્તિપૂજા કરવા લાગ્યા હતા. તેમને દંડ દેવા ચઢી આવ્યો. બધાને કાફરપણામાંથી પાછા ઇસ્લામમાં લાવ્યો અને ચાલ્યો ગયો.
30. ઈ.સ. 1022માં તેણે ગ્વાલિયરમાં સંતાયેલા નંદરાજાને દંડ દેવા ચઢાઈ કરી, નંદે શરણાગતિ સ્વીકારી દંડ આપ્યો.
31. ઈ.સ. 1025માં તે સોમનાથ ઉપર ચઢી આવ્યો. રાજસ્થાનનું રણ પાર કરીને જૈન તીર્થ લોદરવા લૂંટ્યું. મંદિરો તોડ્યાં. ત્યાંથી રસ્તામાં આવતાં અનેક મંદિરો લૂંટતો તોડતો પાટણ પહોંચ્યો. પાટણનો રાજા ભીમદેવ પહેલો દરવાજા ખુલ્લા મૂકીને ભાગી ગયો. પાટણ અનાથ થઈ ગયું. પાટણમાં ભારે સમૃદ્ધિ હતી. સેંકડો જિનાલયો તથા શિવાલયો હતાં. બધું તોડી નાખ્યું. હાહાકાર મચાવી મોઢેરા પહોંચ્યો. અહીં સામનો કરનારા રાજપૂતોને મારી-કાપી હરાવીને મંદિરો તોડી-ધ્વંસ કરી, દેલવાડા પહોંચ્યો. અહીં પણ તેણે તે જ કર્યું. અંતે તે સોમનાથ પહોંચ્યો. સોમનાથની વિગત લખતાં કલમ કાંપી ઊઠે છે. ન જ લખું તો સારું. સોમનાથનો સર્વાંશમાં વિધ્વંસ કરીને ગઝની પહોંચ્યો. ગઝની શહેર ભારતીય ગુલામ સ્ત્રી-પુરુષોથી ઊભરાઈ ઊઠ્યું. ચાર-ચાર આના (પચીસ પૈસા)માં સ્ત્રીઓ વેચાઈ. કોઈ લ્યો, કોઈ લ્યો થઈ ગયું.
32. છેલ્લી ચઢાઈ તેણે પંજાબના જાટો ઉપર કરી. તેમને દંડ દીધો. તેના મૂર્તિ તોડવાના મહાન કાર્યથી પ્રસન્ન થઈને ખલીફાએ તેને ‘કરફુદ્દૌલા અલ ઇસ્લામ’નો ઇલકાબ આપ્યો. તેણે સત્તર વાર ભારત ઉપર ચઢાઈ કરી, પણ ભારતે એક વાર પણ ગઝની ઉપર ચઢાઈ ન કરી, ન પ્રત્યાક્રમણ કર્યું. તે વાવાઝોડાની માફક આવતો, ધનાઢ્ય મંદિરોને શોધતો તોડતો, લૂંટતો હાહાકાર મચાવી ચાલ્યો જતો. ત્યારે તો કશો બોધપાઠ આપણે ન લીધો, હવે તો લ્યો. સુરક્ષિત રહેવું હોય તો જ્યાંથી આક્રમણ થવાનું હોય ત્યાં પહેલાં જ આક્રમણ કરી દો. શત્રુને મૂળમાંથી ઉખેડી નાખો. પણ આવું ચિંતન લાવવું ક્યાંથી? જામનગર કરતાં પણ નાની જાગીરવાળો ગઝનીનો સુલતાન ભારત ઉપર સત્તરવાર ચઢી આવે અને પ્રત્યેક વાર વિજયી થાય એ શરમથી ડૂબી મરવા જેવી વાત થઈ કહેવાય. હવે તો બણગાં ફૂંકવાનું બંધ કરી વાસ્તવિકતાને સ્વીકારો. વાત પૂરી થતી નથી. હજી ચાલુ રહેવાની છે.
33. ગઝની અને હિરાત વચ્ચે ગોર પરગણું હતું. મહેમુદના અવસાન પછી અહીંનો શાસક સ્વતંત્ર થઈ ગયો. અને તેણે ગઝની ઉપર હુમલો કરી ગઝનીને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યું. મહેમુદે ભારતનાં સેંકડો નગરોના જે હાલ કર્યા હતા તેથી પણ વધારે ખરાબ હાલ ગોરીઓએ ગઝનીના કરી નાખ્યા. અંતે ગઝનીનો શાસક મહેમુદ ગોરી (શહાબુદ્દીન ગોરી (ઘોરી)) થયો. તેની નિયત હતી કે પૂરા ભારતને ઇસ્લામિક દેશ બનાવી દેવો. તેણે પંજાબ ઉપર હુમલો કર્યો, મુલતાનના શિયા મુસ્લિમોને હરાવીને સુન્ની હાકેમ નિયુક્ત કર્યો. લાહોર અને પેશાવર જીતી લીધાં. ત્યાંના ગઝનીવંશને સમાપ્ત કરી દીધો.
34. શહાબુદ્દીન ગોરી ગુજરાતના અણહિલપુર – પાટણ ઉપર ચઢી આવ્યો. ભીમદેવ દ્વિતીય રાજ કરતો હતો. ગોરી હાર્યો અને પાછો ભાગ્યો પણ રાજાએ પાછળ પડીને તેનું નિકંદન ન કાઢ્યું. રાજીરાજી થઈ ગયા. હો જીતી ગયા!
35. ઈ.સ. 1191માં ગોરી, દિલ્હી ઉપર ચઢી આવ્યો. તરાઈનના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે લડાઈ થઈ. ગોરી હારી ગયો અને પાછો ચાલ્યો ગયો. પૃથ્વીરાજે પીછો ન કર્યો. ન પ્રત્યાક્રમણ કર્યું.
36. યુદ્ધના પરાજયથી ગોરી ભારે દુ:ખી હતો. તેણે ફરી તૈયારી કરી ફરી ચઢી આવ્યો. તરાઈનના મેદાનમાં ફરી યુદ્ધ થયું. પૃથ્વીરાજ હાર્યો અને ભાગ્યો. દિલ્હી ઉપર પહેલી વાર તુર્કોની રાજસત્તા સ્થાપિત થઈ ગઈ.
37. ગોરીએ કુતુબુદ્દીન ઐબકને વહીવટ સોંપીને તે સ્વદેશ ચાલ્યો ગયો. ઐબકે, દિલ્હીનાં મંદિરોનો નાશ કર્યો અને તેની જગ્યાએ મસ્જિદો બંધાવી. દિલ્હી ઉપરથી રાજપૂતોની સત્તા સમાપ્ત થઈ ગઈ અને મુસ્લિમોની સત્તા સ્થાપિત થઈ ગઈ.
38. ઈ.સ. 1194માં ગોરી ફરી પાછો ભારત આવ્યો. અને કનોજના રાજા જયચંદ રાઠોડને હરાવીને છેક બનારસ સુધી પોતાની આણ વર્તાવી. તેના ત્રાસથી કેટલાક રાજપૂત રાજાઓ હિમાલયમાં જઈને વસ્યા.
39. ઈ.સ. 1195-96માં ગોરી ફરી પાછો ભારત આવ્યો. બયાના, ગ્વાલિયરના રાજાઓને હરાવી સંધિ કરી. તેનો સૂબો ઐબક અજમેર થઈને ગુજરાત પહોંચ્યો. ભીમદેવ દ્વિતીય સામો થયો પણ હારી ગયો. તેને ભાગી જવું પડ્યું. ફરી વાર પાટણ લૂંટાયું. જો પ્રથમવાર હારેલા ગોરીને જીવતો ન જવા દીધો હોત તો આ ફરી વારની દુર્દશા ન થાત. ગોરીએ દિલ્હીની સત્તા પોતાના ગુલામ કુતુબુદ્દીન ઐબકને સોંપી હતી. અંતે ગોરીની હત્યા એક મુસલમાને જ કરી નાખી. તેને સંતાન ન હતું તેથી જ તેનું સામ્રાજ્ય તેના તુર્ક ગુલામોમાં વહેંચાઈ ગયું.
મહેમુદ ગઝનવી માત્ર મંદિરો તોડવા અને લૂંટવા જ આવતો હતો, પણ ગોરીએ તો ભારતમાં સત્તા જ જમાવી દીધી. આપણે એકે વાર સામે ચાલીને શત્રુના દેશ ઉપર આક્રમણ ન કર્યું. કે ન તો આક્રમણ થયા પછી પ્રત્યાક્રમણ કર્યું. આપણે તો પ્રત્યેક વાર શત્રુની રાહ જોતા પૂરી તૈયારી અને વ્યૂહ વિનાના બેસી રહ્યા અને ન છૂટકેની લડાઈ લડતા રહ્યા અને હારતા રહ્યા. આ બોધપાઠ હજી પણ લેવાય તો સારું. મને લાગે છે કે આમ થવાનું કારણ બૌદ્ધ-જૈન અને હિન્દુ ચિંતનનું જે મિશ્રિત ચિંતન હતું તેનું પરિણામ છે. જ્યારે સામા પક્ષ ઇસ્લામનું જે આક્રમક ચિંતન હતું તેનું પરિણામ એ હતું કે તેઓ વારંવાર આક્રમણ કરવા ધસી આવતા અને લાભ મેળવીને ચાલ્યા જતા. બન્ને વચ્ચેનું ધર્મચિંતન બન્નેને ભિન્ન-ભિન્ન પરિણામ આપતાં થયાં હતાં. આપણે આક્રમણવાદી ન હતા. તેથી રક્ષિત જીવન જીવતા. પેલા આક્રમણવાદી હતા તેથી ધસી આવતા. બન્નેના ચિંતનનો આ ફરક હતો.
#KnowYourHistory

ભારતીય યુધ્ધો નો ઈતિહાસ – ૨

['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨, ભાગ-૩ ]

તુર્કો પછી

પહેલાં આરબોએ સિંધ ઉપર સત્તા સ્થાપિત કરી અને પછી તુર્કોએ દિલ્હી ઉપર સત્તા સ્થાપિત કરી. તેઓ દિલ્હીથી બાકીના ભારતનાં જુદાં-જુદાં રજવાડાં ઉપર ચઢાઈ કરતા રહ્યા અને સીમા વધારતા રહ્યા. પણ (મરાઠા સિવાય) કોઈ હિન્દુ રજવાડાંએ દિલ્હી ઉપર હુમલો કર્યો હોય તેવું જણાયું નથી.
મારી દૃષ્ટિએ આ મુસ્લિમ સત્તાની સ્થાપનાથી ભારતને એક લાભ એ થયો કે તે પછી બહારની કોઈ જાતિઓ ભારત ઉપર ચઢી ન આવી. (જેમ પહેલાં શક-હૂણ વગેરે આવતા તેમ). તેમ છતાં મંગોલો ભારત ઉપર ચઢી આવ્યા. તે રાજ કરવા નહિ માત્ર લૂંટફાટ અને હત્યાઓ કરવા વિશ્વભરમાં ફરતા અને ધાડ પાડતા હતા. ચંગીઝ ખાંની પરંપરામાં તૈમૂર થયો.
1. ઈ.સ. 1396-97માં તૈમૂર ભારત ઉપર ચઢી આવ્યો. અનેક નગરો લૂંટતો બાળતો તે દિલ્હી પહોંચ્યો. દિલ્હીનો સુલતાન ભાગી ગયો. 27-12-1398ના રોજ તૈમૂરે દિલ્હી લૂંટ્યું. તૈમૂરના પ્રત્યેક તાતાર સૈનિકને 150-150 જેટલી ગુલામ સ્ત્રીઓ લૂંટમાં મળી. પાંચ દિવસ દિલ્હી રહી, બધું ખેદાનમેદાન કરીને તે મેરઠ પહોંચ્યો. મેરઠની પણ આવી જ દશા થઈ. ઘણી સ્ત્રીઓને ગુલામ બનાવી.
2. તૈમૂર મેરઠથી હરદ્વાર પહોંચ્યો. ત્યારે કુંભમેળો ભરાયો હતો. તેણે પૂરા કુંભમેળાના સાધુ-સંતોને કાપી નાખ્યા. એક મહિના સુધી આજુબાજુનો પ્રદેશ લૂંટ્યો. અહીંથી પ્રત્યેક તાતારી સૈનિકને 20-20 સ્ત્રીઓ ગુલામ તરીકે મળી. અને અસંખ્ય ગાયો પકડી.
3. તૈમૂરે કાશ્મીર લૂંટ્યું. પછી જમ્મુના રાજાને હરાવ્યો. બંદી બનાવ્યો. તેણે ઇસ્લામ સ્વીકાર્યો એટલે તેને મુક્ત કર્યો. તે પછી સ્વદેશ ચાલ્યો ગયો.
4. ફરી પાછા મંગોલો સુલેમાન પર્વતો પાર કરીને ભારત ઉપર ત્રાટક્યા. આ વખતે દિલ્હી ઉપર અલાઉદ્દીન ખીલજીની સત્તા હતી. તેણે પોતાના ભાઈ ઉલૂઘખાંને સામનો કરવા મોકલ્યો. (યાદ રહે, મંગોલો દિલ્હી પહોંચે ત્યાં સુધી તે બેસી ન રહ્યો. આ ઉલૂઘખાં ગુજરાત ઉપર પણ ચઢી આવેલો. તેણે સિદ્ધપુરનો રુદ્રમાળ તોડ્યો હતો. તથા પાટણના રાજા કરણસિંહ વાઘેલાને ભગાડીને તેની રાણી કમલાદેવીને દિલ્હી લઈ જઈ બાદશાહને પરણાવી હતી.) આ ઉલૂઘખાંએ મંગોલોને રોક્યા અને હરાવ્યા. વીસ હજાર મંગોલોને મારી નાખ્યા. ઘાયલ મંગોલોને પણ મરાવી નાખ્યા. બંદી બનાવેલા મંગોલોને દિલ્હી લઈ આવ્યો અને હાથીઓના પગ નીચે કચડાવીને મારી નાખ્યા.
5. હારેલા મંગોલો સલ્દી નામના નેતાની સરદારીમાં ફરીથી આવી પહોંચ્યા. ઉલૂઘખાંએ ફરીથી તેમને હરાવ્યા.
6. ફરી પાછા મંગોલો કુતુલુગ ખ્વાજાની સરદારીમાં છેક દિલ્હી સુધી પહોંચી ગયા. ઉલૂઘખાં ફરી પાછો યુદ્ધે ચઢ્યો. જોકે આ યુદ્ધમાં ઉલૂઘખાં મરાયો પણ મંગોલોને હરાવી દીધા. ભગાડી દીધા.
7. ફરી પાછા અલીબેગની સરદારીમાં મંગોલો ચઢી આવ્યા. પણ અમરોહા પાસે પાછા જતા રહ્યા.
8. ફરી પાછા મંગોલો ઇકબાલના નેતૃત્વમાં ચઢી આવ્યા. આ વખતે પણ તે હાર્યા. ઇકબાલ મરાયો. મંગોલોથી ભારતને બચાવવાનું શ્રેય મુસ્લિમ શાસકોને મળવું જોઈએ. જે હિંમત અને કુશળતાથી તેમણે પ્રત્યાક્રમણ કરીને સામનો કર્યો તે દાદ માગી લે તેવી વાત હતી.
9. કુતુલુગ ખ્વાજા મંગોલ સેનાપતિ બે લાખની સેના લઈને ભારત આવી ગયો. દિલ્હીથી છ કિ.મી. નજીક જ શિબિર નાખી. અલાઉદ્દીન ખીલજીએ તેનો સામનો કર્યો. લગભગ પાંચ દિવસ યુદ્ધ ચાલ્યું. આ વખતે અલાઉદ્દીને જે કુશળતા, મક્કમતા અને બહાદુરીથી મંગોલો સામે લડાઈ કરી તે દાદ આપવા જેવી છે. અંતે મંગોલો ભાગી ગયા. દિલ્હી બચી ગયું.
10. મંગોલ સરદાર તરગી ફરીથી દિલ્હી ઉપર ધસી આવ્યો. ત્યારે સુલતાન ચિત્તોડના યુદ્ધમાં રોકાયેલો હતો તે તરત જ ઝડપથી દિલ્હી પહોંચ્યો. અને મંગોલોને ભગાડી દીધા.
11. ફરીથી અલીબેગ, તરતાક અને તરગી એમ ત્રણે સરદારો મળીને મંગોલસેના સાથે ભારત ચઢી આવ્યા. અલાઉદ્દીને હિન્દુસેનાપતિ નાયકને સેના લઈને સામે મોકલ્યો. મંગોલો હાર્યા, અલીબેગ અને તરતાકને બંદી બનાવ્યા.
12. હારનો બદલો લેવા ફરી પાછા મંગોલો ચઢી આવ્યા. આ વખતે સુલતાને મલિક કાફૂરને સામનો કરવા મોકલ્યો. મંગોલો હાર્યા. તેના સેનાપતિને બંદી બનાવ્યો. મંગોલ સેનાપતિ કલકને દિલ્હી લાવી મારી નાખ્યો. તેના લોહી તથા હાડકાંનો ઉપયોગ કિલ્લો ચણવામાં કર્યો. મંગોલ સૈનિકોને હાથીના પગ નીચે કચડાવી નાખ્યા.
બસ, હવે મંગોલોના ત્રાસથી પ્રજા મુક્ત થઈ ગઈ. આ પછી તેમણે કદી ભારત ઉપર હુમલા ન કર્યા. આ એક જ કાર્ય માટે અલાઉદ્દીન ખીલજીને ધન્યવાદ ઘટે. તેની બીજી પ્રવૃત્તિનાં વખાણ ન થાય પણ કદાચ બીજા રાજાઓ આ મંગોલોના ત્રાસથી ભારત અને ભારતની પ્રજાને બચાવી શક્યા ન હોત. હવે ખેડૂતો નિર્ભય થઈને ખેતી કરવા લાગ્યા.
યાદ રહે, અહીં પ્રત્યેક વાર સુલતાને સફળતાપૂર્વક સામે ચાલીને પ્રત્યાક્રમણ કર્યું હતું. જો તે કિલ્લા સુધી આવવાની રાહ જોઈને બેસી રહ્યો હોત તો મંગોલો દિલ્હી તથા ભારતને ધમરોળી નાખત. પ્રત્યાક્રમણથી રક્ષા થઈ.
આ રીતે લગભગ 200 વર્ષ સુધી ભારત વિદેશીઓથી રક્ષિત રહ્યો. મુસ્લિમો ભારતના રાજાઓ તથા પોતાના સરદારોના વિદ્રોહો સાથે લડતા રહ્યા. પણ બહારથી કોઈએ ભારત ઉપર ચઢી આવવાની હિંમત ન કરી આ જમા પાસું હતું.
13. ઈ. સ. 1525માં મોગલ બાબર ભારત ઉપર ચઢી આવ્યો. પહેલીવાર તે તોપો લઈને આવ્યો હતો. તેની પાસે માત્ર આઠ જ હજાર સૈનિકો હતા. જ્યારે ઇબ્રાહિમ લોદી પાસે એક લાખ સૈનિકો હતા. પાણીપતના મેદાનમાં બન્ને સેનાઓ લડી. જોતજોતામાં બાબરની તોપોએ અને કુશળ રણનીતિએ લોદીના એક લાખ સૈનિકોનો કચ્ચરઘાણ વાળી નાખ્યો. લોદી હારી ગયો. 1192માં પૃથ્વીરાજને હરાવીને શહાબુદ્દીન ગોરીએ જે મુસ્લિમ રાજસ્થાપના કરી હતી તે 1526માં બાબરે સમાપ્ત કરી દીધી અને મોગલવંશની સ્થાપના કરી દીધી. જે કામ બાબર કરી શક્યો તે આપણે ન કરી શક્યા. અર્થાત્ લોદીવંશની સમાપ્તિ ન કરી શક્યા.
14. ઈ. સ. 1739માં ઈરાનનો બાદશાહ નાદીરશાહ દિલ્હી ઉપર ચઢી આવ્યો. ઔરંગઝેબ પછી મહમ્મદ શાહ દિલ્હીનો બાદશાહ હતો. તેણે 20 કરોડ આપીને સંધિ કરી, તે નાદીરશાહને મળવા તેની છાવણીમાં ગયો. તેને બંદી બનાવી લીધો. નાદીરશાહે પોતાને દિલ્હીનો બાદશાહ જાહેર કરી દીધો. તેણે તા. 11-3-1739ના રોજ કત્લેઆમનો હુકમ આપ્યો અને સાંજ સુધીમાં ત્રીસ હજાર માણસો કાપી નાખ્યા. દિલ્હી સળગાવી દીધું. મયૂરાસન વગેરે લૂંટી લીધું. 348 વર્ષમાં જે સંપત્તિ દિલ્હીમાં ભેગી થઈ હતી તે ઈરાનીઓએ લૂંટી લીધી. 57 દિવસ નાદીરશાહ દિલ્હીમાં રહ્યો. મુહમ્મદ શાહને મુક્ત કરીને તે પાછો ઈરાન ચાલ્યો ગયો. આ બાદશાહ યોગ્ય ન હતો. તેથી મોગલોની પડતી થઈ અને વારંવાર હાર થવા લાગી.
આ બધું લખવા પાછળ મારો હેતુ પરદેશીઓનાં ભારત ઉપરનાં થનારાં આક્રમણો અને તેના પ્રતિકારમાં આપણા તરફથી આક્રમણ કે પ્રત્યાક્રમણ ન થવાથી દેશની રક્ષા ન થઈ શકી તે બતાવવાનો છે. આપણે આરબ, ઈરાન કે ગઝની ઉપર આક્રમણ ન કર્યાં. ન પ્રત્યાક્રમણ કર્યાં. તેથી દેશ આક્રાન્તાઓના હાથે રગદોળાતો રહ્યો. કારણ શું? મારી દૃષ્ટિએ ઇસ્લામના ચિંતન અને આપણા ચિંતનનો ભેદ કારણ છે. જે આક્રમકતા ઇસ્લામ આપે છે તે બૌદ્ધ-જૈન-હિન્દી ત્રણનું સંયુક્ત ચિંતન નથી આપતું. આપણે ખૈબર બોલનઘાટ પાર કરીને પેલી તરફ ન ગયા. તેથી પેલા અહીં આ તરફ આવ્યા. અહીંનાં મંદિરો સોનાથી ઊભરાતાં હતાં તેની ચમક ત્યાં સુધી પહોંચી. ગઝનવીને તો સોના કરતાં પણ મંદિર-મૂર્તિઓ તોડવામાં વધુ આકર્ષણ હતું. તેનાં સત્તર આક્રમણોમાં તે કદી હાર્યો નહિ. જો આપણે પહેલેથી જ ગઝનીને ધમરોળ્યું હોત તો તે અહીં ન આવ્યો હોત. અરે, પછી પણ પ્રત્યાક્રમણ કર્યાં હોત તોપણ ઘણું બચી જાત. પણ એવું ન થયું. કારણ કે ચિંતન જ એવું હતું. આક્રમણ નહિ, પ્રત્યાક્રમણ પણ નહિ, રક્ષિતજીવન, શસ્ત્રોની ઉપેક્ષા, ત્યાગ-વૈરાગ્ય અને મોક્ષની વાતો, પલાયનવાદ—આ બધું મળીને આપણને હરાવતાં રહ્યાં. કારણ કે આક્રમણ કે પ્રત્યાક્રમણ વિનાના આપણે હતા.
અત્યાર સુધી જે હુમલા થયા તે ખૈબર બોલનના રસ્તે થયા. હવે સમુદ્ર તરફ જોઈએ.
16. વાસ્કો-ડી-ગામા નવ મહિનાની ભારે સાહસભરી સમુદ્રયાત્રા કરીને 22-5-1498ના રોજ તે કાલીકટ પહોંચ્યો. કેરલમાં ત્યારે ત્રણ રાજાઓ રાજ કરતા હતા. 1. કાલીકટમાં ઝામોરીન, કોચીન અને ત્રાવણકોરમાં ક્ષત્રિયવંશના રાજાઓ હતા. આ બન્ને ઝામોરીનને શૂદ્ર માનીને તિરસ્કાર કરતા હતા. આ કુસંપનો લાભ ગામાએ લીધો. તેણે ઝામોરીનનો પક્ષ લીધો. મસાલાઓ ભરીભરીને પોતાનાં ચાર જહાજો લઈને તે પાછો પોર્ટુગીઝ ચાલ્યો ગયો. તેનાં બે જ વર્ષ પછી પેડ્રો અલવેરેજ 13 મોટાં જહાજો લઈને ભારત ચઢી આવ્યો. તેનાં જહાજોમાં તોપો જોડેલી હતી. ત્યારે આ સમુદ્ર ઉપર આરબોનું નિયંત્રણ હતું. કેરલમાં આરબ વ્યાપારીઓ વસી ચૂક્યા હતા. (આજે મોપલા જિલ્લો તેમનો ગણાય છે.) પેડ્રો આરબોનો નાશ કરી વ્યાપાર પોતાના હાથમાં લેવા માગતો હતો. આપણે તો મહત્ત્વાકાંક્ષા વિનાના સમુદ્રથી અભડાઈને સમુદ્રથી દૂર રહેતા હતા. ધરતી ઉપરના રાજ્યથી જ સંતોષ હતો. પેડ્રોએ આરબોનું દમન શરૂ કર્યું.
17. ઈ.સ. 1503માં ઓલ્ફોન્સો અલબુકર્ક ચઢી આવ્યો. તેણે કોચીનના રાજાને પોતાના પક્ષમાં લઈને ઝામોરીનના મહેલને આગ લગાડી દીધી. સમુદ્રકિનારો પડાવી લીધો. કિલ્લો બનાવી લીધો. બીજાપુરના નવાબ પાસેથી ગોવા પડાવી લીધું. તેને કેન્દ્ર બનાવ્યું. દીવ, દમણ, પોંડિચેરી વગેરે સમુદ્રકિનારાનાં કેટલાંય બંદરો પડાવી લીધાં અને સત્તા સ્થાપી દીધી.
પ્રશ્ન એ થાય છે કે પેલા જે સમુદ્ર રસ્તે અહીં આવ્યા તે રસ્તે આપણે જહાજોનો મોટો કાફલો લઈને યુરોપ કેમ ન પહોંચ્યા? જો આપણે ત્યાં ગયા હોત તો પેલા અહીં ન આવત. આપણે પહેલું આક્રમણ ન કર્યું. પછી પ્રત્યાક્રમણ પણ ન કર્યું. કારણ કે આપણને એવી મહત્ત્વાકાંક્ષા જ ન હતી. ચિંતન જ એવું ક્યાં હતું? પ્રત્યાક્રમણ પણ ન કર્યું એટલે ગુલામ થઈ ગયા.
કેટલાક લોકો કહે છે કે વાસ્કો લૂંટારો હતો. ડાકુ હતો. વગેરે. પ્રશ્ન એ થાય છે કે તે કાંઈ દાન-ધર્માદા કરવા ભારત નહોતો આવ્યો. તે તો ચોર-ડાકુ હતો, પણ આપણે કેમ લૂંટાયા? તે સફળ કેમ રહ્યો? શું આપણે સંત-સજ્જન હતા તેથી લૂંટાયા કે પછી નમાલા હતા? દૂરંદેશી ન હતા? પોતાના પક્ષની દુર્બળતાઓ સ્વીકારીએ તો ભવિષ્ય સુધરે.
18. પોર્ટુગીઝો પછી ઈ.સ. 1602માં ડચો આવ્યા. હવે રસ્તો ખૂલી ગયો હતો. તેમણે મદ્રાસ તરફ કોઠીઓ સ્થાપી.
19. પોર્ટુગીઝો પછી, સો વર્ષ પછી, ભારતમાં અંગ્રેજો આવ્યા. યાદ રહે એ રસ્તે આપણે ક્યાંય ગયા ન હતા. ચિંતન જ એવું હતું. કોઈ ધર્મ સમુદ્ર ખૂંદી વળવા અને દૂર-દૂર સુધી ભારતનો ધ્વજ લહેરાવવાની પ્રેરણા આપતો ન હતો, બધા મોક્ષ તરફ લોકોને વાળતા હતા અને સમુદ્રથી અભડાવાતા હતા. વળી પાછું અંગ્રેજો કંપની બનાવીને વ્યાપાર કરવા આવ્યા. ઇંગ્લૅન્ડનો રાજા આવ્યો ન હતો. કંપનીના નોકરો આવ્યા હતા.
20. અંગ્રેજોએ ડચોને ભારતમાંથી ભગાડી મૂક્યા (આપણે નહિ) ડચો ઇન્ડોનેશિયા તરફ ચાલ્યા ગયા. અંગ્રેજોએ ક્રમેક્રમે પૂરા ભારત ઉપર સત્તા જમાવી દીધી.
21. ઈ.સ. 1746થી 1885 સુધીનાં 140 વર્ષ સુધી અંગ્રેજો સતત યુદ્ધો કરતા રહ્યા. માત્ર કંપનીના નોકરો. આ રીતે વતનથી દશ હજાર માઈલ દૂર આવાં યુદ્ધો કરે, જીતે, રાજ કરે અને પાંચ વર્ષ પૂરાં કરીને વાઇસરોય પાછો ચાલ્યો જાય. (ગાદી પચાવી ન પાડે) તે નવાઈની જ વાત કહેવાય. અંગ્રેજ પ્રજાની ડિસિપ્લિન અને મોરલ દાદ માગી લે તેવું કહેવાય. છેક કાબુલથી રંગૂન અને લ્હાસાથી કોલંબો સુધીનો વિશાળ પ્રદેશ તેમણે કબજે કરી ભારતમાં જોડી દીધો. પહેલી વાર આ પ્રદેશ આક્રમણોથી મેળવ્યો હતો. કંપનીના નોકરો કઈ પ્રેરણાથી આટલાં યુદ્ધો કરતા રહ્યા અને દેશને વિશાળ અને શત્રુના ભયથી મુક્ત કરતા રહ્યા તે ઇતિહાસના વિદ્યાર્થીએ જાણવું જોઈએ. આપણે આવાં આક્રમણો કેમ ન કર્યાં? અરે પ્રત્યાક્રમણો પણ કેમ ન કર્યાં.
જેણે આ બધાં યુદ્ધોની વિગત જાણવી હોય તેણે મારાં ઇતિહાસ સંબંધી બે પુસ્તકો (ભારતીય યુદ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ અને ભારતમાં અંગ્રેજોનાં યુદ્ધો) જરૂર વાંચવાં. સિકંદર, નેપોલિયન વગેરે રાજાઓ હતા. તેઓ પોતાના માટે કે પોતાના વારસદારો માટે વિશ્વયુદ્ધો કરતા હતા. જ્યારે આ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરો હતા. આ યુદ્ધોથી તેમને કે તેમના વારસદારોને ભવિષ્યનો કોઈ લાભ ન હતો. શા માટે શાંતિથી હિમાલયમાં બેસીને ધ્યાન કરવા ન લાગ્યા? હા, તેઓ હિમાલય ગયા, પણ હિલસ્ટેશનો (સિમલા વગેરે) બનાવી સારી રીતે રાજ ચલાવવા ગયા.
22. ભારતને સંપૂર્ણ સુરક્ષિત બનાવવા અંગ્રેજોએ અફઘાનો સાથે ત્રણ યુદ્ધો કર્યાં.
પ્રથમ અફઘાનિસ્તાન ઉપર 1839માં અંગ્રેજોએ હુમલો કર્યો. કારણ કે અફઘાનિસ્તાનનો બાદશાહ દોસ્તમહમદ રશિયાના પ્રભાવમાં ચાલ્યો ગયો હતો અને ભારતના સીમાડા માટે તે બહુ ચિંતાનો વિષય હતો. રશિયાને દૂર રાખવા અંગ્રેજોએ આક્રમણ કર્યું અને સફળ રહ્યા. હવે ખૈબર – બોલનવાળો માર્ગ રક્ષિત થઈ ગયો. ભારતની રક્ષા થઈ.
23. અફઘાનિસ્તાનના પ્રથમ યુદ્ધ પછી બીજા યુદ્ધની ઘડી આવી. રશિયા સીમાડા વધારી રહ્યું હતું. તે છેક અફઘાનિસ્તાન સુધી પહોંચી ગયું હતું. તેને રોકવા ગવર્નર-જનરલ લીટનના સમય કાળમાં 20-11-1878ના રોજ લીટનની ત્રણ સેનાઓ અફઘાનિસ્તાન ઉપર હુમલો કરવા આગળ વધી. અફઘાનિસ્તાનનો શાસક શેરઅલી ગભરાઈ ગયો અને રશિયા તરફ ભાગી ગયો. અંગ્રેજોએ તેના પુત્ર યાકુબખાં સાથે સંધિ કરી, રશિયાનો પ્રભાવ સમાપ્ત કર્યો. પણ થોડા જ સમયમાં અંગ્રેજ એલચીને હિંસક ટોળાંએ મારી નાખ્યો. અંગ્રેજો રોષે ભરાયા. ફરી બીજી સેના મોકલી અને યાકુબખાંની જગ્યાએ શેરઅલીના ભત્રીજા અબ્દુલ રહેમાનને નવો અમીર બનાવી પોતાને અનુકૂળ કરી લીધો.
અંગ્રેજોએ જો આ બીજું આક્રમણ ન કર્યું હોત તો રશિયા છેક પંજાબ સુધી આવી જાત. અફઘાનિસ્તાનના અમીર હબીબુલ્લાહની હત્યા ધર્મઝનૂની લોકોએ કરી નાખી. હબીબુલ્લાહ સુધારાવાદી હતો. પેલા ધર્મઝનૂનીઓને તે પસંદ ન હતું. તેથી તેની હત્યા કરી નાખી. અફઘાનિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ. આ તકનો લાભ રશિયા વગેરે દેશો લેવા માગતા હતા. આવા સમયે અમીર તરીકે અમાનુલ્લા આવ્યો. તેણે દસ વર્ષ શાસન ચલાવ્યું પણ પછી તેણે અંગ્રેજોનો વિરોધ કરવા માંડ્યો, તે રશિયા સાથે સંધિ કરવા માગતો હતો. અંગ્રેજોએ ખૈબરઘાટથી સેના મોકલી, 1919માં અફઘાનો સાથે ત્રીજું યુદ્ધ શરૂ થઈ ગયું. હવે હવાઈ જહાજો આવી ગયાં હતાં. અંગ્રેજોએ લડાકુ હવાઈ જહાજ દ્વારા કાબુલ ઉપર બોમ્બમારો શરૂ કર્યો. ધર્મઝનૂની ટોળાં કાબુલ છોડીને ભાગવા માંડ્યાં. અંતે અફઘાનો થાક્યા અને હાર્યા. 1919માં રાવલપીંડીમાં સંધિ થઈ. જો આ ત્રણ આક્રમણો અંગ્રેજોએ ન કર્યાં હોત તો રશિયા ભારત ઉપર ચઢી આવત. અંગ્રેજો રહ્યા ત્યાં સુધી કદી અફઘાનોએ ફરી ઉત્પાત મચાવ્યો નહિ.
આક્રમણ જ રક્ષાનું પ્રથમ સાધન છે, તે સિદ્ધ થયું. ઉત્તર-પશ્ચિમ ભારતની સીમાઓ સુરક્ષિત થઈ ગઈ.
હવે નેપાળે પ્રશ્નો ઊભા કર્યા હતા તે ભારત તરફ સીમાડા વધારતું હતું. તેને રોકવું જરૂરી હતું.
25. ઈ.સ. 1801માં અંગ્રેજોએ આક્રમણ કરીને ગુરખાઓ પાસેથી ગોરખપુર જિલ્લો લઈ લીધો.
ઈ.સ. 1814માં લોર્ડ હેિસ્ટંગ્સે ફરી પૂરી લડાઈ શરૂ કરી. ચારેતરફથી અંગ્રેજી સેના નેપાળમાં દાખલ થઈ. અને 1815માં ગુરખાઓએ હાર માની લીધી. પણ સંધિ સફળ ન રહી તેથી ફરી યુદ્ધ ચાલુ થયું. 28-2-1816ના રોજ અંગ્રેજોએ કાઠમંડુ લઈ લીધું. હવે નેપાળીઓ પૂરા હારી ગયા અને પહેલી કરેલી સંધિનું પાલન કરવા તૈયાર થયા.
આ સંધિ દ્વારા નેપાળ તરફથી અને તેની ઉત્તરે તિબેટ-ચીન તરફથી ભારત સુરક્ષિત થઈ ગયું.
26. ભારતની છેક પૂર્વમાં બર્મા રાજ્ય હતું. બર્મા સૈનિક રાજ્ય હોવાથી તે અવાર-નવાર પાડોશીઓ ઉપર આક્રમણ કરતું રહેતું. તેણે ભારત ઉપર હુમલો કરી દીધો. ચિતાગોંગ પાસેનો શાહીપુર નામનો બેટ લઈ લીધો. તે સેના આગળ વધવા લાગી ત્યારે ગવર્નર જનરલ આર્મહસ્ટ હતો તેણે તુરત જ પ્રત્યાક્રમણનો હુકમ કર્યો. બર્મી સેનાએ, આસામ જીતી લીધું હતું. 1824માં અંગ્રેજોએ યુદ્ધ શરૂ કરી દીધું. ભારે ખુવારી વેઠીને અંગ્રેજોએ શાહી બેટ પાછો મેળવી લીધો. એકસાથે ત્રણ ક્ષેત્રોમાં અંગ્રેજોએ પ્રત્યાક્રમણ કર્યાં : 1 આસામમાં, 2. અરાકાન – ચિતાગોંગમાં અને 3. રંગૂનમાં. અંગ્રેજોએ આસામ પાછું લઈ લીધું. અરાકાનમાં બર્મી સેનાપતિ મહાબંદુલા ભારે બાહોશ અને જબરો હતો, તેણે બ્રિટિશ સેનાને હરાવી દીધી. આવા સમયે અંગ્રેજોએ ચુપચાપ એક મોટી નૌસેના રંગૂન બંદરે મોકલી અને તોપોના ગોળા છોડવા માંડ્યા. ત્યારે રંગૂન રેઢું હતું. આ તકનો લાભ અંગ્રેજોએ ઉઠાવ્યો. તેમણે રંગૂન લઈ લીધું. બ્રિટિશ સેના ઇરાવતી નદીના સહારે આગળ વધી. બંદુલા હેરાન થઈ ગયો. તે સેના લઈને પાછો ફર્યો. રંગૂન બચાવવું જરૂરી હતું. બંદુલા અને અંગ્રેજો વચ્ચે રંગૂન આગળ લડાઈ થઈ પણ બંદુલા હારી ગયો. અને ભાગી ગયો. અંગ્રેજોએ પૂરેપૂરો વિજય મેળવી બર્માને કાયમી રીતે આધીન કરી લીધું. આ રીતે પૂર્વતરફનાં આક્રમણોથી ભારતની રક્ષા થઈ. જો અંગ્રેજોએ જોરદાર પ્રત્યાક્રમણ ન કર્યું હોત તો ભારતનો ઘણો પૂર્વનો ભાગ બર્મા ગળી ગયું હોત.
27. બર્માનું બીજું યુદ્ધ 1852માં થયું.
બર્માના પ્રથમ યુદ્ધ વખતે જે સંધિ થઈ હતી તેને બર્મી સરકાર તોડવા માંડી. અંગ્રેજ વ્યાપારીઓની કનડગત શરૂ થઈ. આ વ્યાપારીઓએ ગવર્નર જનરલ ડેલહાઉસીને ફરીયાદ કરી. ગવર્નરે કેપ્ટન લેમ્બર્ટને બે યુદ્ધ જહાજો સાથે રંગૂન મોકલ્યો. તેણે રંગૂનથી દૂર રહીને બધાં અંગ્રેજ બાળબચ્ચાંને જહાજ ઉપર બોલાવી લીધાં. તરત જ ગોળા દાગવા માંડ્યા. બર્માના મહારાજાનું જહાજ બંદરમાં ઊભું હતું તે હાઇજેક કરી તેમાં અંગ્રેજ વ્યાપારીઓને શરણ આપી દૂર સમુદ્રમાં મોકલી દીધા. યુદ્ધજહાજો ભયંકર તોપમારો કરી રહ્યાં હતાં, તેવામાં જનરલ ગાડવિન એક મોટી સેના લઈને રંગૂન પહોંચી ગયો. 11-4-1852ના રોજ યુદ્ધ ચાલુ થઈ ગયું. અંગ્રેજોએ ઘણો પ્રદેશ જીતી લીધો. ‘લોઅર બર્મા’ નામનો નવો પ્રાન્ત બનાવ્યો. રંગૂનને રાજધાની બનાવી. આ રીતે છેક પૂર્વમાં અંગ્રેજોએ ભારતની સુરક્ષા નિશ્ચિત કરી દીધી. અંગ્રેજોએ જો આ આક્રમણો ન કર્યાં હોત તો શું થાત? તો બર્મા છેક બંગાળ સુધીનો પ્રદેશ હડપ કરી જાત.
28. બર્માનું તૃતીય યુદ્ધ
ઈ. 1886. અંગ્રેજોએ દ્વિતીય બર્મા યુદ્ધમાં બર્માના બે ભાગ કરીને લોઅર બર્માનો પ્રાંત બનાવી દીધો હતો. હવે અપર બર્માનો વારો હતો, ત્યાંથી પૂર્વી ભારત ઉપર હુમલો થવાનો ભય હતો, ત્યારે ગવર્નર-જનરલ ડફરીન હતો. અપર બર્મામાં થીબો રાજ કરતો હતો. તેણે ફ્રાંસ સાથે ગાઢ સંબંધો વધારવા માંડ્યા. ડફરીન ચમક્યો. તેણે તરત જ રંગૂનથી ઇરાવતી નદીના રસ્તે અપર બર્માની રાજધાની માંડલે સેના મોકલી. યુદ્ધ વિના જ માંડલે કબજે થઈ ગયું. તેણે થીબાને પકડીને રત્નાગીરી મોકલી દીધો, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. હવે પૂરા બર્મા ઉપર અંગ્રેજોની સત્તા સ્થાપિત થઈ ગઈ. જો અંગ્રેજોએ આ આક્રમણ ન કર્યું હોત તો બર્મામાં ફ્રાંસ પેસી જાત અને ભારતની સુરક્ષાને હાનિ થાત. હવે રંગૂનથી કાબુલ સુધી કોઈ ભય ન રહ્યો. આ રીતે રાષ્ટ્રની રક્ષા થતી હોય છે.
29. તિબેટ યુદ્ધ
ઈ. 1904 હિમાલયનાં ત્રણ રાજ્યો નેપાળ, ભુતાન અને સિક્કિમ ઉપર અંગ્રેજોનો પૂરેપૂરો પ્રભાવ થઈ ગયો હતો. નેપાળથી ઉત્તરમાં તિબેટની સમીપમાં બે મોટાં રાષ્ટ્રો હતાં. રશિયા અને ચીન. રશિયાને દૂર રાખવા અંગ્રેજોએ ચીનને મહત્ત્વ આપ્યું. લોર્ડ કર્ઝનને દિલ્હીમાં બેઠાં બેઠાં દેખાયું કે પામીરની પર્વતશૃંખલાઓ ઉપરથી રશિયનો તિબેટ તરફ હાથ લંબાવી રહ્યા છે. તેમને દૂર રાખવા જોઈએ. કર્ઝને એક પત્ર લઈને દૂતને લ્હાસા દલાઈ લામા પાસે મોકલ્યો. જેથી વાટાઘાટો માટે તે દૂત મોકલે. દલાઈ લામાએ પત્ર ખોલ્યો પણ નહિ અને દૂતને પાછો વાળી દીધો. કર્ઝને ફરી પત્ર મોકલ્યો પણ કાંઈ નહિ. તિબેટ રશિયા તરફ ઝૂકી રહ્યું હતું. ઝાર સાથે વારંવાર મંત્રણાઓ થતી હતી, અંગ્રેજો સાવધાન થઈ ગયા. તેમણે સેના મોકલી તિબેટ ઉપર આક્રમણ કરી દીધું. 1904માં લ્હાસા કબજે કરી લીધું. કઠોર શરતો સાથે સંધિ થઈ. જોકે બ્રિટિશ સરકારે તે શરતો ઢીલી કરાવી. વિજયી અંગ્રેજો હજી પાછા કલકત્તા પહોંચ્યા પણ ન હતા ત્યાં તો ચીની સેનાએ લ્હાસા કબજે કરી લીધું. અંગ્રેજો ફરી લ્હાસા આવ્યા અને ચીન સાથે સંધિ કરી, જેમાં અંગ્રેજોનું એક થાણું કાયમ માટે લ્હાસામાં સ્થાપવાનું થયું. 1947માં દેશ આઝાદ થયો ત્યાં સુધી આ થાણું હતું. પણ પછી ચીન-મૈત્રીની ઘેલછામાં પં. નહેરુજીએ આ થાણું ઉઠાવી લીધું. સરદાર સાહેબે સખત વિરોધ કરેલો. પણ નહેરુ માન્યા નહિ. હવે ચીન છેક લદાખ અને નેફાની સીમા સુધી પહોંચી ગયું અને ભારતના વિશાળ ભૂભાગ ઉપર અધિકાર બતાવવા માંડ્યું. આપણે તેને દૂર રાખી શક્યા નહિ. આપણે તો આક્રમણ ન કરી શક્યા, પણ અંગ્રેજોએ જે મેળવેલું અને આપણને આઝાદીના વારસામાં આપેલું એ પણ સાચવી શક્યા નહિ. હવે ચીન આપણી છાતી ઉપર બેસી ગયું છે.
30. ભુતાન યુદ્ધ ઈ. 1869
ભુતાને આસામ જતા બધા રસ્તાઓ કબજે કરી લીધા. જેથી આસામનો સંપર્ક તૂટી જાય તેવી સ્થિતિ થઈ. અંગ્રેજોએ તરત જ સેના મોકલી, પર્વતીયક્ષેત્રમાં ભારે પડ્યું. પણ અંતે અંગ્રેજો જીત્યા અને બધા રસ્તા પાછા મેળવ્યા. દાજિર્લિંગ, સીલીગુડી જલપાઈગુડી વગેરે પ્રદેશો આ વિજયથી ભારતમાં ભળ્યા. વિચાર કરો. આક્રમણ ન કર્યું હોત તો પૂર્વ ભારત ગુમાવવું જ પડત. આવું જ સિક્કિમ સાથે પણ યુદ્ધ કરીને અગવડને દૂર કરી રાજકીય સગવડો મેળવી.
આવી રીતે ભારતની ચારે તરફ યુદ્ધો કરી કરીને અંગ્રેજોએ ભારતને સુરક્ષિત કર્યું. આઝાદી પછી આ બધું આપણે સાચવી ન શક્યા. જેથી ભારત અસુરક્ષિત થઈ ગયું છે.
31. પીંઢારા યુદ્ધ—1817-18. દેશના સીમાડાને સુરક્ષિત કરવા જેટલી જ જરૂર અંદરના ભાગોને શાંત કરવાની હોય છે. તે સમયે દેશી રજવાડાંઓની સેનામાંથી છૂટા થયેલા પઠાણો—બલોચો આરબો વગેરે પીંઢારા થઈ ગયા હતા. હજારોનાં ટોળાં બેફામ રીતે લોકો ઉપર ત્રાટકતાં. લૂંટફાટ અને બળાત્કારો કરી પ્રજાને ત્રાહિ-ત્રાહિ કરી મૂકતાં. કોઈ રજવાડું તેમને રોકી શકતું નહિ. આ વખતે લોર્ડ હેસ્ટંગ્સિ ગવર્નર જનરલ હતો, તેણે નિશ્ચય કર્યો કે પીંઢારાઓ-નો મૂળમાંથી નાશ કરવો. તેણે એક લાખ ને તેર હજારની સેના તૈયાર કરી. 300 તોપો આપી. સેનાને બે-ત્રણ ભાગમાં વહેંચી. ઉત્તરી સેનાનું નેતૃત્વ તેણે પોતે લીધું. ચારે તરફથી ખદેડતા-ખદેડતા પીંઢારાઓને ચંબલના એવા ક્ષેત્રમાં લઈ આવ્યા, જ્યાં તેમનો સર્વનાશ કરી નાખ્યો. પીંઢારાઓના ચાર સરદારો હતા. 1. વાસીબ મોહમ્મદ, 2. આમીરખાન, 3. કરીમખાન અને ચિત્તુ. ચિત્તુને ચિત્તાઓએ ફાડી ખાધો. આમીરખાનને ટોંકની જાગીર આપી કાયમી દાસ બનાવી લીધો. બાકીના બેને મારી નાખ્યા. પ્રજા પીંઢારાઓના ત્રાસથી મુક્ત થઈ ગઈ. હવે શાંતિથી ખેતી કરવા લાગી. અંગ્રેજોએ આ કામ ન કર્યું હોત તો ભારતની પ્રજા કદી સુખી ન થઈ શકી હોત. અંગ્રેજોના આ પીંઢારાનાશના એક જ કામ માટે ભારતની પ્રજા જેટલો આભાર માને તેટલો થોડો.
આઝાદી પછી પૂર્વ ભારતમાં નક્સલવાદ, માઓવાદ વગેરે સંગઠનો હાહાકાર મચાવી રહ્યાં છે. સરકાર કશું કરી શકતી નથી, અંગ્રેજોના આ પીંઢારાયુદ્ધમાંથી પ્રેરણા લઈને મક્કમ ઇચ્છાશક્તિથી ચારેતરફથી આક્રમણ કરીને તેમનો નિવેડો લાવી શકાય. પણ ‘વો દિન કહાં કિ મિયાં કે પાંવમેં જૂતિયાં.’
આટલો લાંબો ઇતિહાસ મારે એટલા માટે લખવો પડ્યો કે આક્રમણનું મહત્ત્વ લોકો સમજી શકે. શત્રુ ઉપર પ્રથમ આક્રમણ કરીને કે પછી પ્રત્યાક્રમણ કરીને જ તમે દેશની રક્ષા કરી શકો. અહિંસાની તાલીઓ વગાડીને નહિ. અંગ્રેજો સુધી ભારત ઉપર ચઢી આવનારા એક એકથી ચઢિયાતા તેથી પૂર્વવર્તીને હરાવીને રાજ કરતા રહ્યા. અંગ્રેજો પછી ફરી પાછા આપણે આવ્યા અને દેશની કેવી રક્ષા કરી તે જુઓ આગળ. *

ભારતીય યુધ્ધો નો ઈતિહાસ – ૩

['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨, ભાગ-૩ ]

આઝાદી પછીનાં યુદ્ધો


આઝાદીની સાથે જ આપણને ગાંધીચિંતન પણ વારસામાં મળ્યું. આ ચિંતનનો ત્યારે ભારે પ્રભાવ હતો. તેથી વર્ષો સુધી આપણું અર્થતંત્ર, રક્ષાતંત્ર, ગૃહરક્ષા વગેરે ગાંધીવિચાર પ્રમાણે ચાલતાં રહ્યાં. ક્રમે ક્રમે શાસકોને સમજાવા લાગ્યું કે આ વિચારોથી રાષ્ટ્રના પાયાના પ્રશ્નો ઉકેલી શકાતા નથી, તેથી ગાંધીવિચારોથી શાસકો દૂર હટવા લાગ્યા. તોપણ તેની પ્રેરણા અને પકડ તો બની જ રહી. ગાંધીવિચારો-માં આક્રમણ તો હતું જ નહિ, પ્રત્યાક્રમણ પણ નહોતું. આપણે અહિંસા-લડતથી આઝાદી મેળવી હતી અને તેનો ભારે નશો ગાંધીવાદીઓને હતો. પણ નિઝામ, જૂનાગઢ, કાશ્મીર, ગોવા વગેરે સ્થળે અહિંસા જરાય ન ચાલી. સેના જ કામમાં આવી. એનો અર્થ એવો થયો કે અહિંસા માત્ર અંગ્રેજો સામે જ ચાલી શકે છે. બીજે નહિ, ગાંધીજીએ હિન્દ સ્વરાજમાં જે લખ્યું છે તેની થોડી ઝલક જોઈએ.
1. ‘દારૂગોળો એ હિન્દને સદે તેવી વસ્તુ નથી.’
2. ‘ગાયની રક્ષા કરવાનો ઉપાય એક જ છે, મારે મારા મુસલમાન ભાઈની પાસે હાથ જોડવા ને તેને દેશની ખાતર ગાયને ઉગારવા સમજાવવું. જો તે ન સમજે તો ગાયને જતી કરવી… મને એ ગાયની ઉપર અત્યંત દયા આવતી હોય તો મારે મારા પ્રાણ દેવા પણ કોઈ મુસલમાનનો પ્રાણ લેવો નહિ.’ (હિન્દ સ્વરાજ, પૃ. 27)
આ અહિંસામાર્ગ અને તેમાંથી પ્રગટેલી શરણાગતિ કહેવાય. પણ માનો કે ગાયની જગ્યાએ કોઈ ગુંડો મારી દીકરીને બળાત્કાર માટે લઈ જતો હોય તો? મારે હાથ જોડવા? અને ગુંડો ન માને તો વલવલતી દીકરીને જતી કરવી?
‘જેને વૈર નહિ તેને તલવાર નહિ.’
આવા બધા અનેક વિચારો ગાંધીજીએ આપણને આપ્યા હતા તેના ગર્વમાં નેતાઓ છાતી ઠોકીઠોકીને કહેતા હતા કે ‘આ દેશ ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીનો દેશ છે.’ અર્થાત્ આ દેશ અહિંસાવાદી દેશ છે. આ પરિપ્રેક્ષ્યમાં આઝાદી મળી એટલે સેના, શસ્ત્રો અને સેનાનાયકોની ઘોર ઉપેક્ષા થઈ. કારણ કે આક્રમણ કરવું જ ન હતું. કશી જ તૈયારી ન કરી. પણ બધી ધારણાઓ ખોટી ઠરી, વગેરે વગેરે પાકિસ્તાને ચાર-પાંચ વાર આક્રમણ કર્યાં, ચીને એક વાર આક્રમણ કર્યું. ગાંધીવિચારો અપ્રસ્તુત થઈ ગયા. હવે જે યુદ્ધ થશે તે ચીન અને પાકિસ્તાન બન્નેની સાથે એકસાથે થશે. જરૂર થવાનું છે. ગમે તેટલી આજીજી-પ્રાર્થના-વિરોધપત્રો મોકલો, યુદ્ધ થવાનું જ છે. પેલા પૂરી તૈયારી કરી રહ્યા છે. આપણે હજી પણ ઘેનમાં છીએ. ભાનમાં નથી, ભવિષ્યમાં થનારા આ યુદ્ધથી થથરી જવાય છે. કારણ આપણે હજી પણ શસ્ત્રો, સેના અને વ્યૂહની રીતે તૈયાર નથી, 1962માં જે ધબડકો કર્યો હતો તેવો જ ફરીથી થશે તેવું દેખાય છે. ભગવાન બચાવે અને સાચું ચિંતન આપે.
હવે આપણે આ બન્ને પાડોશીઓ સાથે અનેક મોરચે લડવાનું છે. સ્થિતિ તો એવી છે કે કોઈ એક સાથે પણ આપણે લાંબો સમય વિજયી યુદ્ધ લડી શકીએ તેમ નથી. વહેલી તકે પરિસ્થિતિ સુધારવી જોઈએ. જેમાં, મિત્રો બનાવવા, પ્રચુર આધુનિક શસ્ત્રો મેળવવાં, આક્રમક વ્યૂહ રચવો અને સેનાને તૈયાર રાખવી : આ બધું તરત જ કરવા જેવું છે.
હવે આગળ વાંચો…
અત્યાર સુધીના કાળને ત્રણ ભાગમાં વહેંચી ત્રણ તારણ કાઢી શકાય : 1. હિન્દુકાળ, 2. મુસ્લિમકાળ અને 3. અંગ્રેજકાળ.
1. હિન્દુકાળમાં આપણે ક્યાંય આક્રમણ કર્યાં નહિ. અરે, પ્રત્યાક્રમણ પણ કર્યાં નહિ, તેથી ભારત ઉપર સતત આક્રમણો થતાં રહ્યાં અને આક્રાન્તાઓ જીતતા રહ્યા : માત્ર દક્ષિણ ભારતના ચૌલ અને પાંડ્યવંશના રાજાઓ તથા ઉડિસાના રાજાઓ જે શ્રમણપ્રભાવમાં ન હતા તેઓ પૂર્વમાં ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ વગેરે દૂર દૂરના દેશો ઉપર પહોંચ્યા અને ભારતીય સંસ્કૃતિની સ્થાપના કરી. કાળાન્તરમાં તે બધા બૌદ્ધ થયા અને પછી મુસ્લિમ થઈ ગયા.
2. મુસ્લિમકાળમાં તુર્કો, અફઘાનો અને મોગલો ભારત ઉપર એક પછી એક ચઢી આવ્યા. પ્રથમ હિન્દુરાજાઓ અને પછી મુસ્લિમો એકબીજાને હરાવતા રહ્યા. અફઘાનોએ તુર્કોને અને મોગલોએ અફઘાનોને હરાવી ભારત ઉપર રાજ કર્યું : આ સમયમાં મુખ્ય લડાઈઓ મુસ્લિમોમાં અંદરોઅંદર થઈ. હિન્દુઓ પ્રભાવહીન થઈ ગયા. મોગલકાળમાં બે શક્તિઓએ માથું ઊંચક્યું. 1. મરાઠા, અને 2. શીખ. બાકી ખાસ કાંઈ પ્રતિક્રિયા થતી દેખાઈ નહિ. હિન્દુઓ પાસે માત્ર 2-4 જાતિઓમાં જ યોદ્ધાઓ થતા. બાકીની બધી પ્રજા યોદ્ધા વિનાની હતી. 2-4 જાતિઓમાંથી રાજપૂત જાતિના કેટલાક રાજાઓ મોગલો સાથે ભળી ગયા અને તેમના સેનાપતિ થઈને તેમની તરફથી લડતા રહ્યા. મુસ્લિમકાળમાં ભારત બહાર ખાસ આક્રમણો થયાં નથી, તેમ જ સમુદ્રી આક્રમણો પણ થયાં નથી, ભારતની અંદર જ વધુ લડાઈઓ થઈ.
3. અંગ્રેજકાળમાં અંગ્રેજોએ ભારતની અંદરની લડાઈઓ પૂરી કરી, તેઓ અર્થપૂર્ણ લડાઈ લડતા. હારેલા શત્રુને પાછળથી મિત્ર બનાવી પોતાની સાથે કાયમી રીતે જોડી દેતા. મુસ્લિમોની મોટા ભાગની લડાઈઓ વિદ્રોહને દબાવવાની થતી. જ્યારે અંગ્રેજો એવી સંધિ કરતા કે વિદ્રોહ કરવાનું કારણ રહેતું નહિ. અંગ્રેજોએ ભારત બહાર દશ આક્રમણો કર્યાં. જેમાં અફઘાનિસ્તાન ઉપર ત્રણ વાર, નેપાળ ઉપર એક વાર, સિક્કિમ ઉપર એક વાર, ભુતાન ઉપર એક વાર, તિબેટ ઉપર એક વાર, બર્મા ઉપર ત્રણ વાર—આ બધાં યુદ્ધો હેતુપૂર્ણ રહ્યાં. આના કારણે ભારતની સીમા ચારે તરફ વધી ગઈ. અને ભારત સુરક્ષિત થઈ ગયું. અંગ્રેજોએ ફ્રેંચો અને ડચો સાથે સમુદ્રી યુદ્ધો કરી તેમને કાં તો ભગાડી દીધા કે પછી પ્રભાવહીન કરી નાખ્યા. આરબ સમુદ્રમાં છેક એડન અને હોરમુઝ સુધી પોતાની સત્તા સ્થાપી તો લક્ષદ્વીપો કબજે કરી હિન્દમહાસાગરમાં દૂર-દૂર સુધી રક્ષાપંક્તિ ઊભી કરી. બીજી તરફ બંગાળની ખાડીમાં આંદામાન-નિકોબારની લાંબી દ્વીપમાળા છેક ઇન્ડોનેશિયા સુધીની કબજે કરી લીધી. સિંગાપોર, હોંગકોંગ વગેરે દૂર-દૂરના ટાપુઓ કબજે કરી પોતાની આણ વર્તાવી. એથી ભારત સુરક્ષિત થઈ ગયું. પછી ભારત ઉપર ન તો કોઈ આંતરિક યુદ્ધ થયું, ન બહારથી આક્રમણ આવ્યું. જો આ બધાં આક્રમણો ન કર્યાં હોત તો ભારત સતત દેશી-વિદેશી આક્રાન્તાઓના યુદ્ધોમાં રગદોળાતું રહેત.
અંગ્રેજોના ગયા પછી—આઝાદી આવી તેની સાથે જ પાછું ચિંતન બદલાયું. આ દેશ બુદ્ધ—મહાવીર અને ગાંધીનો છે એવું પં. નહેરુજી એક ખાસ હેતુ માટે ગૌરવથી બોલતા રહ્યા. ખરેખર તો આ ત્રણેનું નિશ્ચિત ચિંતન આપણે સ્વીકાર્યું. અર્થાત્ ‘અહિંસા’. આપણે સેના અને શસ્ત્રોની ઉપેક્ષા કરી. ગાંધીજી કહેતા કે ‘જેને વૈર નહિ તેને તલવાર નહિ’ જૈનો તો સબમરિનનું નામ ‘અરિહંત’ પાડ્યું તેમાં જ ઊકળી ઊઠ્યા. શત્રુનો નાશ કરનારું નામ અમારા ભગવાનનું છે. ને આવાં ભયંકર ઘાતક હથિયાર ઉપર ન શોભે. જરા વિચાર કરો કે નામ માત્રથી આટલો બધો ધાર્મિક વિરોધ થાય તો કાલે યુદ્ધ સમયે, આ સબમરિન અણુમિસાઇલ છોડી અણુબોમ્બ દ્વારા 5-25 હજાર માણસોની હત્યા કરી નાખે તો તો શુંય થઈ જાય? ચિંતન જ આવું છે. નાગાસાકી અને હિરોસીમા ઉપર અણુબોમ્બ ફેંકી લાખ્ખોનો કચ્ચરઘાણ વાળનાર અમેરિકન પાઇલોટોએ એટલું જ કહ્યું હતું કે અમે અમારા કર્તવ્યનું પાલન કર્યું છે, તેનો સંતોષ છે. બોમ્બ ફેંકતાં તે ધ્રૂજ્યા નહિ, ગભરાયા નહિ, હિચકિચાયા નહિ. એક આવું ચિંતન છે. બીજી તરફ નામ માત્ર રાખવાથી હાહાકાર થઈ ગયો, તો સમય આવ્યે, પરિણામ લાવતાં તો શુંનું શું થઈ જાય? આ બીજું ચિંતન છે. કદાચ ખરા સમયે અણુબોમ્બના ફેંકનારને બિરદાવનારા નીકળી પડે તો નવાઈ નહિ. દોષ તો કોઈનો નથી. ચિંતનનો જ દોષ છે. છેલ્લી ઘડીએ અર્જુન પણ આવા પલાયનવાદી ચિંતનનો શિકાર થયો હતો, પણ શ્રીકૃષ્ણે ગીતાજ્ઞાનથી તેનું ચિંતન સુધાર્યું હતું. નવાઈ તો જુઓ, આ જ કારણસર (લાખ્ખોનો નાશ કરાવવાના કારણસર) કેટલાક ચુસ્ત અહિંસાવાદીઓ તેમને નરકે ગયાનું કથન કરે છે. તેમનો દોષ નથી, ચિંતનનો જ દોષ છે. આ બધા ચિંતનમાં મ. ગાંધીજીએ ત્રણ છોગાં લગાવી દીધાં. બધા જ પ્રશ્નો અહિંસાથી ઉકેલાય છે, તેથી સેના અને શસ્ત્રોની જરૂર જ નથી, આપણે વિશ્વને આવો ઉપદેશ આપતા રહ્યા. અને કશી સૈનિક તૈયારી કરતા ન રહ્યા. આવી સ્થિતિમાં ભારત વધુ ને વધુ દુર્બળ થતું ગયું. આપણે સદીઓથી માર ખાતા હતા, મ. ગાંધીજીએ આદર્શપૂર્વકનો માર ખાતાં શિખવાડ્યું. આપણને સદી ગયું, ગુરુ ગોવિંદસિંહજી સિવાય મારવાનું શિખવાડનાર કોઈ ન નીકળ્યું. હવે પરિણામ જુઓ.

ભારતીય યુધ્ધો નો ઈતિહાસ – ૪

['વાસ્તવિકતા' પુસ્તક માંથી સાભાર. ૧૫ મી ઓગસ્ટ ને ધ્યાન માં રાખી ને થોડીક ઈતિહાસ ની વાતો. ભાગ-૧, ભાગ-૨, ભાગ-૩ ]

આઝાદી પહેલાં અને પછીની સ્થિતિ

1947માં આપણને આઝાદી મળી અંગ્રેજો ચાલ્યા ગયા. તે પછી પાકિસ્તાને પાંચ વાર આક્રમણો કર્યાં. અને ચીને એક વાર આક્રમણ કર્યું. આપણે એકે વાર પણ કોઈ ઉપર આક્રમણ ન કર્યું. કારણ કે ચિંતન જ એવું હતું. થોડી વિગત જોઈએ. ગાંધીજીનું નવું ચિંતન તો આક્રમણમાં માનતું જ ન હતું. થોડી વિગત જોઈએ.

પ્રથમ કાશ્મીર ઉપર આક્રમણ

1. આઝાદી પછી ઘણાં રજવાડાં સરદાર સાહેબના પ્રયત્નોથી ભારતમાં ભળી ગયાં. પણ નિઝામ હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર જેવાં થોડાં રજવાડાં ભળ્યાં નહિ, સરદાર સાહેબે નિઝામ અને જૂનાગઢને તો ભારતમાં ભેળવી દીધાં. પણ કાશ્મીર પ્રશ્ન નહેરુજીના હાથમાં હતો. ત્યાંના રાજા હરિસિંહ સ્વતંત્ર રહેવા માગતા હતા, ભારતમાં ભળવા માગતા ન હતા. પં. નહેરુજી તેને સમજાવી શક્યા નહિ. લાગ જોઈને પાકિસ્તાને કાશ્મીર ઉપર છદ્મ હુમલો કરી દીધો. 22-10-1947ના રોજ સેનાના માણસોને કબાયલીઓના વેશમાં બંદૂકો સાથે કાશ્મીર ઉપર આક્રમણ કરવા મોકલી દીધા. હરિસિંહે પોતાની સેના સામનો કરવા મોકલી પણ તેમાં મુસ્લિમોની બહુલતા હોવાથી તે પેલા પક્ષમાં ભળી ગઈ. આક્રાન્તા છેક શ્રીનગર સુધી પહોંચવાની તૈયારીમાં હતા ત્યાં હરિસિંહને ભાન થયું. તેણે મદદ માટે દિલ્હી સરકારને પ્રાર્થના કરી. પં. નહેરુને મોડેમોડે સદ્બુદ્ધિ સૂઝી. તેમણે કેસ સરદાર સાહેબને સોંપ્યો. સરદાર સાહેબે પહેલી શરત હરિસિંહ સામે મૂકી કે તમે ભારતમાં ભળી જાવ તો મદદ કરીએ. હરિસિંહે ભારતમાં ભળી જવાની સહી કરી. સરદાર સાહેબે રાતોરાત શ્રીનગરના હવાઈ મથકે સેના ઉતારી દીધી. જનરલ થિમૈયાના નેતૃત્વમાં સેનાએ શ્રીનગર બચાવી લીધું અને પછી પાકિસ્તાનીઓને ખદેડવા લાગ્યા. હવે થોડું જ કાશ્મીર લેવાનું બાકી હતું, ત્યાં સરદાર સાહેબની ઇચ્છા વિરુદ્ધ નહેરુજી યુનોમાં ગયા. યુનોએ યુદ્ધવિરામ કરાવ્યો. આપણી સેના અટકી ગઈ. 2/3 ભારતમાં અને 1/3 કાશ્મીર પાકિસ્તાનમાં ગયું. હજી પણ આ જ દશા છે. L.O.C. ઉપર આપણા લાખ્ખો સૈનિકો રોકાયેલા રહે છે. પ્રશ્ન બગડી ચૂક્યો છે. કોઈ ઉકેલ દેખાતો નથી.
આ પાકિસ્તાનનું પહેલું આક્રમણ હતું. સરદાર સાહેબ ન હોત તો આજે આટલું કાશ્મીર પણ આપણી પાસે ન હોત. આપણે આક્રમણ તો ન કર્યું, પૂરું પ્રત્યાક્રમણ પણ ન કર્યું. પ્રશ્ન સળગતો રહી ગયો.

ચીનનું આક્રમણ

2. તિબેટ ઉપર આક્રમણ કરીને અંગ્રેજોએ લ્હાસામાં ભારતનું થાણું સ્થાપી, ચીનને દૂર રાખ્યું હતું. પણ આઝાદી પછી પં. નહેરુજીએ (સરદારના વિરોધ છતાં) તે થાણાં ઉઠાવી લીધાં, ચીનને રાજી કરવા. પરિણામે ચીન છેક ભારતના સીમાડે આવી ગયું. લદ્દાખ અને નેફામાં તેણે વિશાળ જમીન ઉપર દાવો કર્યો. પ્રથમ નકશાયુદ્ધ થયું અને પછી ઈ.સ. 1962માં રીતસરનું આક્રમણ કરી દીધું. આપણી કશી તૈયારી ન હતી. ચીન છેક બોમદીલા સુધી પહોંચ્યું. હવે તેલ રિફાઇનરીઓ અને પછી કલકત્તા હાથવેંતમાં હતું. પણ હવે કદાચ અમેરિકા કૂદી પડશે તેવી બીકથી એકપક્ષીય યુદ્ધવિરામ કરીને તે પાછું જતું રહ્યું. ભારત માટે આ નાલેશીભર્યો પરાજય હતો. પં. નહેરુને ભારે આઘાત લાગ્યો. પછી બે જ વર્ષમાં તેમનું અવસાન થઈ ગયું. પણ દેશને ચિંતન બદલવાનો બોધપાઠ તો મળ્યો. આપણે ચીન ઉપર ન તો આક્રમણ કર્યું, ન પ્રત્યાક્રમણ કર્યું. શક્તિ જ ન હતી, ના, તેવું ચિંતન હતું.

કચ્છયુદ્ધ

3. 1964માં પાકિસ્તાને અણધાર્યું કચ્છ ઉપર આક્રમણ કરી દીધું. કચ્છનો કેટલોક ભાગ પડાવી લીધો. આપણું ગુપ્તચર તંત્ર સૂતું જાગ્યું. આપણે તો સામનો પણ ન કર્યો. ટ્રિબ્યુનલ રચાઈ, અને તેમાં આપણે કાયદેસર કેટલોક પ્રદેશ પાકિસ્તાનને આપી દેવો પડ્યો. આ વખતે પણ ન તો આક્રમણ કર્યું, ન પ્રત્યાક્રમણ કર્યું. ત્યારે શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા.
4. કચ્છમાં આપણી દુર્બળતા જોઈને 1965માં પૂરી તૈયારી સાથે જમ્મુના છામ્બક્ષેત્ર ઉપર પાકિસ્તાને આક્રમણ કરી દીધું. જનરલ યાહ્યાખાન અમેરિકન બનાવટની 90 ટૅન્કો લઈને પૂરી તૈયારી કરીને આગળ ધસ્યો. હંમેશાં આક્રમણ કરનાર પૂરી તૈયારી કરીને આક્રમણ કરતો હોય છે. જ્યારે રક્ષાત્મક જીવન જીવનારા તૈયારી વિનાના હોય છે. યાહ્યાખાન આગળ વધતો જ ગયો. જ્યારે અખનૂર માત્ર ત્રણ જ કિલોમીટર દૂર રહ્યું ત્યારે ભયંકર દબાણ નીચે શાસ્ત્રીજીએ લાહોર સિયાલકોટ તરફ સેના મોકલી. દશ દિવસ મોડું થયું હતું. પાકિસ્તાનની તુલનામાં આપણાં શસ્ત્રો બધી રીતે ઊતરતાં હતાં. તેની પાસે અમેરિકાની આધુનિક પેટન્ટ ટૅન્કો હતી તો આપણી પાસે થોડા પ્રમાણમાં અંગ્રેજો મૂકી ગયેલા એ જૂની ટૅન્કો હતી, પાકિસ્તાન પાસે અમેરિકન બનાવટનાં સૈબર જેટ અને ફેન્ટમ ફાઇટરો હતાં તો આપણી પાસે જૂનાં હન્ટર, કેનબરા અને માખી જેવાં ગ્નેટ હતાં. આ યુદ્ધમાં નૌસેના કામે ન લાગી. પાકિસ્તાને પીલબોક્સ અને ઇચ્છુગીલ નહેર બનાવી હતી, જેથી આપણે લાહોર ન લઈ શક્યા. સિયાલકોટ પણ ન લઈ શક્યા. આઠ-દશ કિ.મી. સુધી જઈને અટકી ગયા. અંતે યુદ્ધવિરામ થયો. તાશ્કંદ કરાર થયો. શાસ્ત્રીજીને એટેક આવ્યો અને તાશ્કંદમાં જ તેમનો દેહવિલય થયો. બન્ને પક્ષોએ પોત-પોતાની જીતનો દાવો કર્યો. કોઈ પરિણામ ન આવ્યું.

બાંગ્લાદેશ

5. પાકિસ્તાનના બે ભાગ હતા. પૂર્વ અને પશ્ચિમ. બન્ને વચ્ચે બે હજાર કિ.મી.નું અંતર હતું. ક્ષેત્રફળની દૃષ્ટિએ પશ્ચિમ પાકિસ્તાન મોટું હતું પણ વસ્તી પૂર્વ પાકિસ્તાન અર્થાત્ પૂર્વ બંગાળની વધારે હતી. ભાગલા વખતે જ લાખ્ખો હિન્દુ બંગાળીઓ નિરાશ્રિત થઈને ભારત આવ્યા હતા તોપણ હજી ત્યાં ઘણા હિન્દુઓ હતા. અવામી લીગના નેતા શેખ મુજ્જીબુર રહેમાન ચૂંટણીમાં જીત્યા પણ તેમને પ્રધાનમંત્રી બનાવવાની જગ્યાએ જેલમાં નાખ્યા. માર્શલ લો લાગુ કરી દેવાયો. કાયમી ઉકેલ એ હતો કે પૂર્વ પાકિસ્તાનની વધારાની એક કરોડ વસ્તીને ઓછી કરી નખાય. હિન્દુઓ ઉપર જુલમ તૂટી પડ્યો અને બધા ભાગીને ભારત આવી ગયા, જનરલ યાહ્યાખાન શાસક હતો. તેણે કસાઈ જેવા ટીક્કાખાનને પૂર્વ બંગાળ સોંપીને હાહાકાર મચાવી દીધો. હવે શું કરવું? ભારત ચૂપ હતું. સવા કરોડ નિરાશ્રિતોથી દેશ ઊભરાઈ રહ્યો હતો. ત્યારે ઇંદિરાબહેન પ્રધાનમંત્રી હતાં. આ બાઈ બાહોશ અને કુશળ રાજનેતા હતી. તેણે માણેકશાને ફિલ્ડ માર્શલ બનાવી પૂર્વ પાકિસ્તાન ઉપર ભરડો કસવા માંડ્યો. પાકિસ્તાને જ પ્રથમ હુમલો કર્યો. ભારતે પ્રત્યાક્રમણ કર્યું અને પૂર્વ પાકિસ્તાનને ‘બાંગ્લાદેશ’ બનાવી દીધો. આ સાચો વિજય હતો. જોકે આ વિજયમાં મુખ્ય કારણ તો બન્ને પાકિસ્તાનો વચ્ચે 1500થી 2000 કિ.મી.નું અંતર હતું. તોપણ વિજય તો થયો. પણ સિમલા કરારમાં આપણે બધું ગુમાવી દીધું. સંધિ કરતાં ન આવડી. ચાલો એક વાર તો વિજય થયો.
6. ઈ.સ. 1992માં કારગિલ યુદ્ધ થયું. લુચ્ચાઈથી પાકિસ્તાને આપણી કારગિલ પર્વતમાળાની ઊંચી ચોકીઓ પચાવી પાડી. એક બૌદ્ધ ધર્મીએ આપણને સમાચાર આપ્યા કે શિખરો ઉપર પાકિસ્તાનીઓ જામી ગયા છે. ઉતાવળમાં-હડબડાટમાં આપણે તોપોના ગોળા છોડવા માંડ્યા. પણ આના પહેલાં આપણા દશ શસ્ત્ર ડેપો એક પછી એક બળી ચૂક્યા હતા. બોફોર્સ તોપના ગોળા ખૂટી પડ્યા. આપણા જવાનોએ ઘણી બહાદુરી બતાવી, ઘણી ખુવારી પણ વેઠી અંતે અમેરિકાના દબાણથી બધી ચોકીઓ ખાલી કરીને પાકિસ્તાનના માણસો પાછા ચાલ્યા ગયા, આપણે રાજી થઈ ગયા. પ્રત્યાક્રમણ કરવાનો સારો મોકો હોવા છતાં પણ આપણે પ્રત્યાક્રમણ ન કર્યું. મને લાગે છે કે આપણે કમજોર હતા, તેથી સહન કરતા રહ્યા.
7. પાર્લમેન્ટ ઉપર હુમલો, મુંબઈ ઉપર હુમલો, નકલી નોટો દાખલ કરવી, વારંવાર આતંકવાદીઓ દ્વારા વિસ્ફોટો કરાવવા વગેરે અનેક પ્રબળ કારણો હોવા છતાં આપણે કદી આક્રમણ કરતા નથી. મને લાગે છે કે આપણે કમજોર છીએ. આ રહ્યાં કમજોરીનાં કારણો :
1. તટસ્થ નીતિના કારણે આપણો કોઈ મિત્ર નથી. પીઠબળ વિના યુદ્ધ ન કરી શકાય.
2. આપણી પાસે શું છે તે મહત્ત્વનું નથી પણ શત્રુપક્ષની તુલનામાં તે કેટલું છે તે મહત્ત્વનું છે. પાકિસ્તાનની તુલનામાં આજે પણ આપણાં શસ્ત્રો ઊતરતાં અને ક્ષેત્રફળની દૃષ્ટિએ ઓછાં છે, પાકિસ્તાન પાસે અમેરિકન બનાવટનાં ઉત્તમ શસ્ત્રો છે. જ્યારે આપણી પાસે રશિયન બનાવટનાં કચરા જેવાં અને ઊતરતાં શસ્ત્રો છે. જેમાં 30% નિષ્ક્રિય પડ્યાં રહે છે. મિગવિમાનો આપોઆપ આકાશમાં નષ્ટ થઈ જાય છે.
પાકિસ્તાનની સાથે ચીન-અમેરિકા અને મુસ્લિમ દેશો છે. આ કુલ શક્તિ ઘણી મોટી છે. જ્યારે આપણા પક્ષે કોઈ નથી. પાકિસ્તાને કરાંચી અમેરિકાને અને ગ્વાદર (બલૂચિસ્તાનમાં) ચીનને સોંપી રાખ્યું છે. જેથી આપણે આ બંદરો ઉપર હુમલો કરી શકીએ તેમ નથી. આવાં બધાં અનેક કારણોસર આજે પણ આપણે તેમના સરવાળા આગળ કમજોર છીએ. જેથી આક્રમણ કરી શકાતું નથી. જો વિચારધારા બદલાય અને આપણે વિશ્વાસુ મિત્રો કરીએ તથા પ્રબળ શસ્ત્રસરંજામ ભેગો કરીએ તથા આક્રમક ચિંતન અપનાવીએ તો જ આક્રમણ કરી શકાય.
8. ખરેખર તો જ્યારે દેશના ભાગલા પડ્યા ત્યારે માત્ર બે જ ભાગલા ન પાડતાં 4-5 ભાગલા કરવાની જરૂર હતી. પઠાણો તથા બલોચી પાકિસ્તાનમાં ભળવા તૈયાર ન હતા. સરહદના ગાંધી બૂમો પાડતા રહ્યા કે અમને વરુઓના હવાલે ન કરો. પણ આપણે તેમનો પક્ષ લીધો નહિ. જો પખ્તુનિસ્તાન અને બલૂચિસ્તાનને અલગ રાષ્ટ્ર બનાવ્યાં હોત તો તે ભારે મુત્સદ્દી થઈ કહેવાત. પણ તેવું ન થયું. આપણા કાચા નેતાઓએ પાકિસ્તાનને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું. હવે પરિણામ ભોગવીએ છીએ.
9. અંગ્રેજોના સમયમાં ભારતના ચારે તરફના સીમાડા શાંત હતા. હવે ચારે તરફ સીમાડા સળગી રહ્યા છે. કાશ્મીર પ્રશ્ન અહિંસાથી કે વાટાઘાટોથી ઉકેલી શકાય તેમ છે જ નહિ. તેનો એક માત્ર ઉકેલ યુદ્ધ જ છે, જે આપણે કરી શકતા નથી. કારણ કે આક્રમણ આપણા ચિંતનમાં જ નથી. તેથી આપણે કમજોર છીએ. હવે તો કાશ્મીરની પ્રજા પણ પકડ બહાર નીકળી ગઈ છે. એટલે આ પ્રશ્ન વધુ વિકટ બન્યો છે. વણઉકેલાયેલો આ પ્રશ્ન આપણી સેનાના 1/3 ભાગને કાયમી રીતે રોકી રાખે છે. જેનો ખર્ચો હવે તો પાંચેક ખરબ જેટલો થવા જાય છે.
10. આવી જ રીતે ચીન સાથેની સીમાનો પ્રશ્ન પણ ઉકેલાતો નથી. આ પ્રશ્ન કાયમ લટકતી તલવાર જેવો થઈ ગયો છે. અહિંસા કે વાટાઘાટો કામ આવતી નથી, આ નિમિત્તે જ્યારેત્યારે ચીન જ પ્રથમ આક્રમણ કરશે. તે મોકાની રાહ જોઈને બેઠું છે. આપણે ત્યાં પણ મોટી સેના રોકી રાખવી પડે છે અને કિંકર્તવ્યવિમૂઢ થઈને બેઠા છીએ.
ભારતના સીમાડા સુરક્ષિત નથી. જેથી પ્રજાને જે રાજસુખ મળવું જોઈએ તે મળતું નથી, વાસ્તવિકતા એ છે કે આપણે વફાદાર મિત્રો બનાવીએ, પ્રચંડ શસ્ત્રસામગ્રી મેળવીએ, પ્રખર સેનાપતિઓને આગળ કરીએ અને આક્રમક બનીએ, ચિંતન બદલીએ.
11. આક્રમણનો અર્થ એવો નથી કે ગમે ત્યારે ગમે તેની ઉપર હુમલો કરી દેવો. પણ આક્રમણનો અર્થ એવો છે કે જેનાથી આપણને ભય હોય, આપણી સુરક્ષા જોખમાતી હોય તેને પ્રથમ સમજાવવા પૂરા પ્રયત્નો કરવા, તેમ છતાં પણ જો ન માને અને આપણી અસુરક્ષા વધારવાની પ્રવૃત્તિ ચાલુ રાખે તો, તે બળવાન બનીને હુમલો કરે તેના પહેલાં જ તેના ઉપર આક્રમણ કરીને તેને તેના ઘરમાં જ પંગુ બનાવી દેવો, જેથી આપણી સુરક્ષાને આંચ ન આવે. તેની સાથે એવી સંધિ કરવી કે જેથી તે મિત્ર બની જાય. કદાચ મિત્ર ન બને લો કાંઈ નહિ, દુશ્મન તો ન જ બને. કોઈ વાર કોઈ દુશ્મન આક્રમણ કરી બેસે તો તેને બોધપાઠ આપવા માટે ભરપૂર પ્રત્યાક્રમણ કરી દેવું. તેની કમજોર કડી ઉપર સખત ફટકો મારવો અને તેની રક્ષાસાંકળ તોડી નાખવી, જેથી તેને બોધપાઠ મળે. ફરી આક્રમણ ન કરે. આ બન્નેનો હેતુ રાષ્ટ્રરક્ષા જ છે. યુદ્ધનો ઉન્માદ નથી, આ બન્ને ન કરી શકાય તો રાષ્ટ્રરક્ષા થઈ શકે નહિ.

No comments:

Post a Comment