# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday 16 October 2017

કબીરવડ જેવો એક બીજો મોટો વડ કંથારપુરા

 કબીરવડ જેવો એક બીજો મોટો વડ ગુજરાતમાં છે , એ તમે જાણો છો ? કંથારપુરા ગામમા આ વડ આવેલો છે. ફોટો જુઓ. કંથારપુરા ગામ અમદાવાદ થી આશરે ૫૦ કી.મી. દુર આવેલું છે. અમદાવાદથી હિંમતનગરના રસ્તે ચિલોડા પછી છાલા ગામ આવે છે, ત્યાંથી સાઈડમાં ૭ કી.મી. જાવ એટલે કંથારપુરા પહોચી જવાય. અહી વડ નીચે રાજ રાજેશ્વરી મહાકાળી માતાનું મંદિર છે.  વડ નીચે એસી જેવી આહલાદક ઠંડક છે. વડનો ફેલાવો એટલો બધો છે કે વડ નીચે માણસો આરામથી બેસે, છોકરાઓ રમે, એક બાજુ ગાય-ભેંસો બેઠેલી હોય, દુકાનો હોય, રસ્તો પણ ખરો, એમ માહોલ બરાબર જામેલો લાગે. ક્યારેક આ વડ જોવા જજો.

જરવાણીનો ધોધ

એવી કલ્પના આવે ખરી કે હિમાલયમાં હોય એવા ધોધ ગુજરાતમાં પણ હોય?  અરે ! કલ્પના નહિ, એવા ઘણા ધોધ ગુજરાતમાં છે. એવો એક ધોધ- જરવાણીનો ધોધ અહી દર્શાવ્યો છે. રાજપીપળાથી આશરે ૧૨ કી.મી. દુર આવેલો આ ધોધ ખરેખર જોવા જેવો છે. છેલ્લા ૪ કી.મી. કાચા અને ઊંચાનીચા રસ્તે જંગલમાં થઈને જવાનું છે, પણ ગાડી જઈ શકે. અહી એક ઉંચી ટેકરી પર કોટેજોમાં રહેવા-જમવાની પણ સગવડ છે. અહીનું  સૌન્દર્ય માણવા તો જાતે જ જવું પડે. 

પાયકારા ધોધ, બંધ અને સરોવર

પાયકારા ધોધ, બંધ અને સરોવર
તમે આ હિન્દી વિડીયો ગીતો જોયાં જ હશે.
(૧) જબ સે મિલે નયના…..   (ફિલ્મ ફર્સ્ટ લવ લેટર)
(૨) તુજ સંગ પ્રીત લગાઈ સજના…..  (કામચોર)
(૩) અબ હમેં તુમસે કિતના પ્યાર હૈ…..  (ગેંગસ્ટર)
આ ગીતોમાં કોઈ કોમન વસ્તુ દેખાય છે? આ ત્રણેમાં સ્થળ ધોધનું છે. એ છે પાયકારા ધોધ. આ ઉપરાંત પણ બીજાં હિન્દી અને ઘણી તમિલ ફિલ્મોનાં ગીતોનું શુટીંગ અહીં થયેલું છે. આ ગીતોમાં આ ધોધ કેટલો સરસ લાગે છે ! એ જોઇને જ આ ધોધ જોવા જવાનું મન થઇ જાય એવું છે.
પાયકારા ધોધ ઉટીથી ગુડાલુર જવાના રસ્તે, ઉટીથી માત્ર ૧૯ કી.મી.દૂર આવેલો છે. એટલે ઉટી જાવ ત્યારે આ ધોધ અવશ્ય જોઈ લેવો.  મુખ્ય રસ્તા પરના બ્રીજથી અંદર ફંટાઈને ૬ કી.મી. જાવ એટલે પાયકારા ગામ આવે. ત્યાં પાર્કીંગમાં ગાડી મૂકી દેવાની. બસમાં પણ અવાય છે. પાર્કીંગથી ફક્ત અડધો કી.મી. ચાલો એટલે ધોધ આવી જાય. ગામથી ધોધ સુધી ઘણી જ દુકાનો છે. ખાણીપીણી તો ખૂબ જ છે.
પાયકારા નદી જ ધોધ રૂપે પડે છે. આ નદીને તોડાસ લોકો બહુ પવિત્ર માને છે. આ નદી મૂકૂર્તિ શિખરમાંથી નીકળીને ઉત્તર તરફ વહે છે. આ નદી પર ઘણા ધોધ છે. એમાં જે છેલ્લા બે છે તે જ પાયકારા ધોધ. અહીં ધોધ, ઉપરથી સીધો નીચે પડે એવું નથી. પણ આખી નદીમાં ઉંચાનીચા ખડકો અને પત્થરો હોવાથી, નાના નાના કેટલા ય ધોધ હોય એવું લાગે છે. કોઈક જગાએ મોટા તો ક્યાંક નાના એવા આ ધોધ છે. પણ ધોધનું આખું દ્રશ્ય બહુ જ સરસ લાગે છે. કિનારે બેસી રહીને જોયા કરવાનું મન થાય એવું છે. ફોટા પાડવા માટે સરસ જગા છે. લોકો, સલામત લાગે એવી જગાએ ધોધમાં ઉતરે છે પણ ખરા.
આ નદી પર ધોધથી દોઢ કી.મી. દૂર ઉપરવાસમાં બંધ બાંધેલો છે. આ બંધ પણ પાયકારા બંધ તરીકે જ ઓળખાય છે. આ બંધમાંથી છોડેલું પાણી જ ધોધમાં આવે છે. બંધની પાછળ વિશાળ સરોવર ભરાયું છે. પાયકારા ધોધ જોવા જાવ ત્યારે આ બંધ અને સરોવર પણ જોઈ લેવા.
સરોવરને કિનારે બોટહાઉસ છે. આ જગા બહુ જ સરસ લાગે છે. જોવા જેવી છે. સરોવરનું નીતર્યું કાચ જેવું પાણી, સરોવરની બંને બાજુ જંગલો અને આરામથી બેસાય એવી ખુલ્લી ચોખ્ખી જગા – કુદરતના અદભૂત સાનિધ્યમાં આવી ગયા હોઈએ એવું લાગે.
અહીં બોટીંગની વ્યવસ્થા છે. મોટરબોટ સરોવરમાં ૧૫ થી ૨૦ મિનીટની સફર કરાવે છે, તે માણવા જેવી છે. જાતે ચલાવાય એવી બોટો પણ છે. બોટહાઉસ ટી.ટી,ડી.સી. ને હસ્તક છે. કિનારે ઘણાં રેસ્ટોરન્ટસ છે. સરોવરને કિનારે ફરવા માટે ટોય ટ્રેન છે. સરોવર આગળ રહેવાની પણ વ્યવસ્થા છે. પાયકારા ગામમાં જંગલ ખાતાનું રેસ્ટ હાઉસ છે. બંધ આગળ પાવર સ્ટેશન છે, ત્યાં વીજળી પેદા થાય છે.
પાયકારામાં ઘરની બનાવેલી ચોકલેટો ખાસ વખણાય છે. લોકો ગામની દુકાનોમાંથી ચોકલેટો ખરીદતા હોય છે. ગામ અને ધોધ આગળ વાંદરાઓનો ત્રાસ ખૂબ જ છે. વાંદરાઓ હાથમાંથી ખાવાનું ઝૂંટવી લે છે. એ માટે ખાસ ધ્યાન રાખવું.
પાયકારા ધોધ જોવા જવા માટે જુલાઈ મહિનો વધુ અનુકૂળ છે. એ વખતે વરસાદ હોવાથી ધોધમાં પૂરતુ પાણી હોય છે. ઓગસ્ટથી ડિસેમ્બર સુધી પણ ધોધમાં પાણી હોય છે. બંધમાંથી છોડેલું પાણી જ અહીં ધોધમાં આવતું હોવાથી, બંધમાં જયારે પાણીનું લેવલ બહુ નીચું ઉતરી જાય ત્યારે ધોધમાં પાણી ના હોય.
પાયકારા ધોધ,બંધ અને સરોવર એ ટુરિસ્ટોનું ખાસ આકર્ષણ છે. ફિલ્મવાળાઓનું તો આ માનીતું સ્થળ છે. અહીંથી નજીકમાં શુટીંગ પોઈન્ટ અને નીડલ પોઈન્ટ જોવા જઇ શકાય છે. એક વાર તો આ ધોધ જોવા જેવો ખરો જ.
1_Pykara falls2_Pykara3_Pykara falls4_Pykara5_Pykara falls6_Dam7_Pykara Lake & boat house8_Pykara Lake, Boat House

હીલ સ્ટેશનની મહારાણી ઉટી

હીલ સ્ટેશનની મહારાણી ઉટી
ઉટી દક્ષિણ ભારતનું એક સુંદર હીલ સ્ટેશન (હવા ખાવાનું સ્થળ) છે. તે નીલગીરી પર્વતમાળાના એક પર્વત પર વસેલું છે. દરિયાની સપાટીથી તેની ઉંચાઈ ૨૨૪૦ મીટર છે. આપણા આબુની જેમ અહીં પણ દર વર્ષે લાખો ટુરિસ્ટો આવે છે અને અહીંનું સૌન્દર્ય જોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે. ઉટી સરોવર, બોટાનીકલ ગાર્ડન, ગુલાબનો બગીચો, ડોડાબેટા શિખર વગેરે અહીંનાં જાણીતાં આકર્ષણો છે. ખાસ તો એક નાનકડી ટ્રેન, જે નીચેથી, ટેકરીઓમાં થઈને ઉપર ઉટી સુધી લઇ જાય છે, તેમાં બેસવાની અને આજુબાજુની સીનસીનરી જોવાની બહુ જ મજા આવે છે.
નીલગીરી અર્થ છે બ્લ્યુ પર્વતો. આ પર્વતો પર દર બાર વર્ષે કુરુંજી નામનાં વાદળી કલરનાં ફુલ થાય છે. આ ફૂલો ટેકરીઓના ઢાળ પર છવાઈ જાય છે. એટલે કદાચ આ પર્વતમાળાનું નામ નીલગીરી પડ્યું હશે. ઉટી આ પર્વતોમાંનું એક છે. તેનું મૂળ નામ ઉટાકામંડ કે ઉટાકામંડલમ છે. પણ લોકો હવે તેને ટૂંકમાં ઉટી કહે છે. તમિલનાડુ રાજ્યના નીલગીરી જીલ્લાનું તે મુખ્ય મથક છે.
પહેલાં અહીં તોડા જાતિના લોકો વસતા હતા. ઈ.સ. ૧૭૯૯થી ઉટી, ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના તાબામાં આવ્યું. જ્હોન સુલીવન નામના અંગ્રેજ અધિકારીને આ જગા ગમી ગઈ. તેમણે આ સ્થળને વિકસાવ્યું. તેમણે ૧૮૨૨માં અહીં પહેલો બંગલો બંધાવ્યો, એ સ્ટોન હાઉસના નામે જાણીતો છે. ઉટી સરોવર પણ તેમણે જ ૧૮૨૪માં અહીં બનાવડાવ્યું. પછી તો અહીં ગવર્નર હાઉસ, ક્લબ હાઉસ, ગોલ્ફ કોર્સ, પોલો, ટેનીસ અને ક્રિકેટ માટેનાં મેદાનો વગેરે બન્યાં. ઘણા માલદાર લોકોએ અહીં કોટેજો બાંધી. આજે ઉટીની વસ્તી ૮૮૦૦૦ જેટલી છે. ઉટી આજે ઉનાળુ અને શનિ-રવિના રીસોર્ટ જેવું છે.
એ જમાનામાં ઉપર ઉટી સુધી જવા માટે ૧૯૦૮માં રેલ્વે શરુ કરવામાં આવી. આ રેલ્વે ‘નીલગીરી પર્વત રેલ્વે’ કે ‘ટોય ટ્રેન’ તરીકે ઓળખાય છે. નીચેના મેટપાલ્યમ સ્ટેશનથી આ ટ્રેન શરુ થાય છે અને ૪૬ કી.મી.નું અંતર કાપી ઉપર ઉટી પહોંચે છે. ધીમી ગતિએ દોડતી આ ટ્રેનને આ અંતર કાપતાં આશરે સાડા ચાર કલાક લાગે છે. ફક્ત ચાર ડબ્બાની, બ્લ્યુ રંગની અને મોટી બારીઓવાળી આ ટ્રેનમાં સફર કરવાની બહુ જ મજા આવે છે. આ ટ્રેન જૂના સ્ટીમ એન્જીનથી ચાલે છે. આ ટ્રેનમાં ખાસ ખૂબી એ છે કે તેના બે પાટા વચ્ચે દાંતાવાળો રેક બેસાડેલો છે. ટ્રેન ઉપર ચડતી હોય ત્યારે ટ્રેનની નીચે રાખેલાં ગીયરના દાંતા આ રેકમાં ભરાતા જાય, એટલે ટ્રેન ઢાળ પરથી પાછી ના સરકી પડે.
મેટપાલ્યમથી શરુ કરી કલ્લાર, એડરલે, હીલ ગ્રુવ, રનીમેડ અને કટેરી સ્ટેશનો પછી કૂનૂર સ્ટેશન આવે છે. કૂનૂર મોટું સ્ટેશન છે. કૂનૂર પછી વેલીંગટન, અરુવનકડુલ, કેટ્ટી, લવડેલ અને ફ્રેનહીલ પછી છેલ્લું સ્ટેશન ઉટી આવે. ફ્રેનહીલ સ્ટેશન હાલ બંધ કરેલ છે. કૂનૂરથી ઉટી ૧૮ કી.મી. છે. ટ્રેનના આ માર્ગમાં ૨૦૮ વળાંકો અને ૧૩ બોગદાં આવે છે. ટ્રેન ઘણા બધા બ્રીજ પરથી પસાર થાય છે. વચ્ચે ઠેર ઠેર ચાના બગીચા જોવા મળે છે. ટ્રેન માર્ગે નદીઓ, ખીણો, જંગલો, બોગદાં, બ્રીજ – આ બધાને લીધે આ ટ્રેનમાં મુસાફરી કરવાની બહુ મજા પડે છે. આ એક યાદગાર મુસાફરી છે અને એ માણવા જેવી છે. યુનેસ્કોએ આ રેલ્વેને ૨૦૦૫માં વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સામેલ કરી છે.
મેટપાલ્યમથી ઉટી જવા માટે બસની પણ ઘણી સારી સગવડ છે. ટેક્સી અને જીપ પણ ઉપલબ્ધ છે. ઉટીથી સૌથી નજીકનું મોટું શહેર કોઈમ્બતોર છે. તે ઉટીથી દક્ષિણમાં ૮૮ કી.મી. દૂર છે. કોઈમ્બતોરમાં વિમાની મથક છે. કોઈમ્બતોરથી ટ્રેન તેમ જ બસથી મેટપાલ્યમ આવી શકાય છે. માયસોર, બેંગ્લોર, ચેન્નાઈ, ગુડાલુર વગેરે શહેરોથી પણ ઉટી જવાની બસો મળે છે. ઉટીમાં હેલીપેડ છે.
હવે ઉટીમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ. ઉટી લેક ખૂબ જાણીતું સરોવર છે. ૬૫ એકર વિસ્તાર ધરાવતા આ સરોવરની આજુબાજુ યુકેલીપ્ટસનાં ઝાડો ઉગાડેલાં છે. કિનારે બોટહાઉસ છે. લોકો બોટમાં બેસી સરોવરમાં વિહાર કરતા હોય છે. સરોવરના કિનારે ફરવાની અને બેસવાની મજા કોઈ ઓર જ છે. મે મહિનામાં અહીં બોટ રેસ (હરીફાઈ) યોજાય છે. અહીં લોકો ઘોડેસવારીની મોજ પણ માણે છે. આવી જગાએ ખાણીપીણીની સગવડ તો હોય જ. સરોવરને એક કિનારે પેલી રેલ્વેલાઈન પસાર થાય છે. ઉટીનું આ સરોવર એ એક અનેરું આકર્ષણ છે.
ઉટીનો બોટાનીકલ ગાર્ડન ટુરિસ્ટોમાં ખૂબ જાણીતો છે. ૨૨ એકરમાં પથરાયેલો આ ગાર્ડન ૧૮૪૭માં બન્યો હતો. આ ગાર્ડનમાં ફૂલો, ઝાડપાન, બોન્સાઈ વૃક્ષો, ઉંચાનીચા રસ્તા, લોન – આ બધું જોવાનો બહુ આનંદ આવે છે. અહીં મે મહિનામાં ફૂલોનું પ્રદર્શન ભરાય છે. આ ગાર્ડનમાં ઔષધિ માટેની વનસ્પતિઓ પણ ઉગાડવામાં આવે છે.
રોઝ ગાર્ડન (ગુલાબનો બગીચો) એ ઉટીનું એક ખાસ આકર્ષણ છે. ભારતનો આ ગુલાબનો મોટામાં મોટો બગીચો છે. આ બાગમાં બસ ગુલાબો જ ગુલાબો છે. ગુલાબનાં ફુલ કોને ન ગમે? અહીં હજારો જાતના ગુલાબ થાય છે. અહીં વાદળી, લીલા અને કાળા રંગના ગુલાબો પણ થાય છે. અહીં ગુલાબના છોડને જાતજાતની રીતે કાપી, બહુ જ આકર્ષક આકારો આપવામાં આવે છે. લોકો ગુલાબના છોડને મોર, સિંહ, ચકલી, પોપટ, મોટર, ટ્રેન, વગેરે આકારમાં જોઇને ખુશ થઇ જાય છે.
ઉટી સરોવરના એક છેડે હરણ પાર્ક છે. અહીં ઘણી જાતનાં હરણ જોવા મળે છે. આ પાર્કમાં બીજાં પ્રાણીઓ પણ છે.
ડોડાબેટા એ ઉટીની નજીક આવેલું ખૂબ જ જાણીતું શિખર છે. નીલગીરી પર્વતમાળાનું આ ઉંચામાં ઉંચું શિખર છે. તેની ઉંચાઈ ૨૬૩૭ મીટર છે. તે ઉટીથી કોટાગીરી જવાના રસ્તે ઉટીથી ૯ કી.મી. દૂર આવેલું છે. ત્યાં જવા માટે બસ, રીક્ષા કે ટેક્સી મળી રહે છે. ડોડાબેટા શિખર પરથી આજુબાજુનો નઝારો જોવાની બહુ જ મજા આવે છે. એમ થાય કે બસ, અહીં બેસી જ રહીએ. આજુબાજુના નીચાણમાં ગાઢ જંગલો છે. અહીંનું વાતાવરણ ઘણી વાર ધુમ્મસછાયુ હોય છે. ડોડાબેટા શિખર પર ટેલીસ્કોપ હાઉસ છે. એમાં રાખેલા દૂરબીનની મદદથી દૂરદૂરનાં દ્રશ્યો જોઈ શકાય છે.
ઉટીથી કૂનૂર જવાના રોડ પર એક વેક્સ મ્યુઝીયમ છે. આ મ્યુઝીયમમાં ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિમાં થઇ ગયેલ પ્રખ્યાત વ્યક્તિઓનાં મીણનાં પૂતળાં બનાવીને મૂકેલાં છે. ફુલસાઈઝનાં આ પૂતળાં એટલાં આબેહૂબ છે કે જાણે જીવતી વ્યક્તિ જ આપણી સામે ઉભી હોય એવું લાગે. આ મ્યુઝીયમ એક જૂના બંગલામાં ઉભું કરેલું છે. કોલ્હાપુરમાં પણ આવું મ્યુઝીયમ છે. દુનિયાનાં ઘણાં શહેરોમાં આવાં વેક્સ મ્યુઝીયમ છે.
બોટનીકલ ગાર્ડનની ઉપરના ભાગમાં ટોડા લોકોની થોડી ઝુંપડીઓ આવેલી છે. જો કે તેઓની વસ્તી ધીરે ધીરે ઘટતી જાય છે. ઉટીમાં એક ટ્રાઇબલ રીસર્ચ સેન્ટર આવેલું છે. એમાં ઉટીની જૂની જાતિઓના લોકોનાં ઘરો, ઘરવખરી, ઘરેણાં, ફોટા વગેરે સાચવી રાખેલું છે.
ઉટીથી માયસોર જવાના રસ્તે સેન્ટ સ્ટીફન ચર્ચ આવેલું છે. આ ચર્ચ ૧૮૩૧માં બન્યું હતું. ઉટીની નજીક એક મોટું રેડિયો ટેલીસ્કોપ ગોઠવેલું છે. તે તાતા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ સંસ્થાએ ઉભું કરેલું છે. ૫૩૦ મીટર લાંબા આ ટેલીસ્કોપમાં સૂર્ય અને બ્રહ્માંડમાંથી આવતાં રેડિયો સિગ્નલો ઝીલાય છે. એની મદદથી અવકાશના તારા વગેરેનો અભ્યાસ કરી શકાય છે. ઉટીની નજીકમાં હેંગ ગ્લાઈડીંગ એડવેન્ચર સ્પોર્ટ છે. જીપમાં બેસીને ત્યાં જવાય છે.
ઉટીથી ગુડાલુર જવાના રસ્તે ૧૯ કી.મી. દૂર પાયકારા ધોધ આવેલો છે. આ એક ખાસ જોવા જેવી જગા છે. પાયકારા નદી પરનો આ ધોધ એટલો સરસ છે કે જોતાં મન ધરાય નહિ. અહીં ઘણી તમિલ અને હિન્દી ફિલ્મોનાં ગીતોનાં શુટીંગ થયેલાં છે. થોડાં નામ ગણાવું? (૧) જબ સે મિલે નયના….(ફિલ્મ ફર્સ્ટ લવ લેટર) (૨) તુજ સંગ પ્રીત લગાઈ સજના…..(કામચોર) (૩) અબ હમેં તુમસે કિતના પ્યાર હૈ…..(ગેંગસ્ટર) (૪) આજ કલ યાદ કુછ ઓર…..(નગીના). ઉટી પોતે જ ફિલ્મોના શુટીંગ માટેનું એક સરસ લોકેશન છે. પાયકારા ધોધ આગળ ડેમ, રીઝર્વોયર અને બોટીંગની સગવડ છે.
આ ઉપરાંત, ઉટીની નજીક મુદુમલાઈ નેશનલ પાર્ક, કામરાજ સાગર ડેમ, ઇકો રોક વગેરે જગઓ છે. કોટાગીરી, નીલગીરી પર્વતમાળામાં જ ઉટીથી ૨૮ કી.મી. દૂર છે.
ઉટીના લોકોના મુખ્ય ધંધા ટુરીઝમ, ચાના બગીચા અને દવાનાં કારખાનાં છે. ઘણા ગૃહઉદ્યોગો પણ છે. પહેલાં અહીં ફોટો ફિલ્મ (‘ઇન્દુ’ના રોલ) બનતી હતી. પણ હવે તે બંધ થઇ ગઈ છે. ઉટીમાં ઘણું મોટું બજાર છે. ટુરિસ્ટો અહીંથી ચોકલેટ, અથાણાં, યુકેલીપ્ટસ તેલ, મધ, મસાલા, લાકડાની ચીજો વગેરે ખરીદતા હોય છે. ઉટીમાં રહેવા માટે હોટેલો, કોટેજો, ગેસ્ટ હાઉસ અને રીસોર્ટ ઘણા છે. ગરીબ અને તવંગર બધાને પોષાય એવું રહેવાનું મળી રહે છે. ફરવા માટે ઘણી કંડક્ટેડ ટુરો ઉપલબ્ધ છે. ઉટીમાં ફરવા માટેની સીઝન એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર વધુ અનુકૂળ છે. ઉટીનું શિક્ષણ સારું ગણાય છે. પૈસાપાત્ર લોકો પોતાનાં બાળકોને ઉટીની સ્કૂલોમાં ભણવા મૂકતા હોય છે.
ઉટી એક સરસ ફોટોજીનીક અને પીકનીક પોઈન્ટ છે. અહીંની કુદરતી લીલા પ્રવાસીઓનાં મન મોહી લે છે. એટલે તો ઉટીને Queen of hill stations કહે છે. બોલો, ક્યારે ઉપડો છો ઉટી?
1_Nilgiri Mountain Railway2_Nilgiri Mountain Railway on Bridge3_Ooty rly station4_Ooty bus stand5_Ooty panaromic view6_Ooty Lake7_Botanical Gardens8_Ooty botanical garden9_Rose garden110_Rose garden211_Rose flower train12_Rose variety at rose garden13_Angel statue in rose garden14_Dodabetta15_Doddabetta216_Telescope house at Doddabetta peak17_Toda Hut18_Ststephens church19_Ooty Radio Telescope20_Tea garden21_Golf course22_Pykara falls

મુરુડેશ્વર મંદિર

 મુરુડેશ્વર મંદિર
દુનિયામાં શીવ ભગવાનનું સૌથી ઉંચું પૂતળુ (સ્ટેચ્યુ) ક્યાં આવેલું છે, તે જાણો છો? એ છે નેપાળમાં આવેલું કૈલાસનાથ મહાદેવનું સ્ટેચ્યુ. એની ઉંચાઈ ૪૩ મીટર છે. દુનિયાનું બીજા નંબરનું ઉંચું શીવનું સ્ટેચ્યુ ભારતના કર્ણાટક રાજ્યના મુરુડેશ્વર ગામના મુરુડેશ્વર મંદિરમાં આવેલું છે. એની ઉંચાઈ ૩૭ મીટર છે. ભારતમાં શીવજીનું આ સૌથી ઉંચું સ્ટેચ્યુ છે. આ મંદિર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. મંદિરનું પ્રવેશદ્વાર (ગોપુરમ) તો શીવજીના સ્ટેચ્યુ કરતાં પણ ઉંચું છે. અહીં આવતા પ્રવાસીઓ શીવનું સ્ટેચ્યુ, ગોપુરમ અને બીજાં શિલ્પો જોઇને છક થઇ જાય છે. મુરુડેશ્વર, ભારતના સૌથી ઉંચા ધોધ જોગના ધોધથી માત્ર ૯૦ કી.મી. દૂર છે. એટલે જોગનો ધોધ જોવા જતા પ્રવાસીઓ મુરુડેશ્વરનાં દર્શને અચૂક જતા હોય છે. શીવ ભક્તોને શીવજી પ્રત્યેની આસ્થા અહીં ખેંચી લાવે છે. ચાલો, અહીં મુરુડેશ્વરના મંદિરની વિગતે વાત કરીએ.
મુરુડેશ્વર, કર્ણાટક રાજ્યના ઉત્તર કનાડા જીલ્લાના ભટકલ શહેરથી ૧૬ કી.મી. દૂર આવેલું છે. મુરુડેશ્વરને રેલ્વે સ્ટેશન છે. મુંબઈથી ગોવા થઈને મેંગલોર જતી કોંકણ રેલ્વે લાઈન પર તે આવેલું છે. મુરુડેશ્વર ગામ અરબી સમુદ્રના કિનારે છે. અહીં દરિયા કિનારે કંદુક નામની ટેકરી પર મુરુડેશ્વર મંદિર અને શીવજીનું સ્ટેચ્યુ ઉભાં કર્યાં છે. આ મંદિરની ત્રણે બાજુ દરિયો છે, એટલે આ સ્થળ બહુ જ સરસ લાગે છે.
મંદિરનું ગોપુરમ અને સ્ટેચ્યુ પૂર્વાભિમુખ છે. ગોપુરમ ૭૫ મીટર ઉંચું અને ૨૦ માળનું છે. દક્ષિણ ભારતનાં બધાં મંદિરોને ગોપુરમ હોય છે, પણ મુરુડેશ્વરનું ગોપુરમ ખૂબ જ ભવ્ય છે. ગોપુરમ પર દેવદેવીઓનાં ચિત્રો અને કોતરણી મનમોહક છે. ગોપુરમના પ્રવેશ આગળ કોન્ક્રીટના બનેલા બે મોટા ફુલ સાઈઝના હાથી મૂકેલા છે, પ્રવાસીઓનું તે તરત જ ધ્યાન ખેંચે છે. આ ગોપુરમ રાજા ગોપુરમ કહેવાય છે. એક ખાસ વાત એ છે કે ગોપુરમમાં લિફ્ટ બેસાડેલી છે, તે ગોપુરમની ટોચે લઇ જાય છે. ટોચ પરથી દેખાતું શીવજીનું સ્ટેચ્યુ અને વિશાળ દરિયાનું દ્રશ્ય બહુ જ ભવ્ય લાગે છે.
ગોપુરમમાંથી મદિર સંકુલમાં પેઠા પછી મુખ્ય મંદિર આવે છે. એમાં મુરુડેશ્વર ભગવાન બિરાજે છે. કહે છે કે લંકાનો રાજા રાવણ, શીવજીને પ્રસન્ન કરી, તેમની પાસેથી આત્મ લીંગ મેળવી, લંકા પાછો ફરી રહ્યો હતો ત્યારે લીંગનો એક ટુકડો અહીં રહી ગયો હતો. લીંગનો આ ટુકડો અત્યારે પણ મંદિરમાં મોજુદ છે અને તે જમીન પર બે ફૂટ ઉંડા ખાડામાં રાખેલું છે. જે ભક્તો ખાસ પૂજા જેવી કે અભિષેક, રુદ્રાભિષેક, રથોત્સવ વગેરે કરે છે, તેમને, પૂજારી ગર્ભગૃહમાં ખાડાની નજીક ઉભા રાખી, તેલના દીવાના અજવાળે લીંગનાં દર્શન કરાવે છે. બધા લોકો આ લીંગનાં દર્શન નથી કરી શકતા.
મંદિરનું શિખર ખૂબ જ શોભાયમાન છે. બહારથી આખું મંદિર સુધારીને સરસ બનાવ્યું છે, પણ અંદરનું ગર્ભગૃહ અને રચના જૂની સ્ટાઈલ પ્રમાણેનાં જ જાળવી રાખ્યાં છે.
મુરુડેશ્વર ભગવાનનાં દર્શન કર્યા પછી સૌથી વધુ આકર્ષણ શીવજીના સ્ટેચ્યુનું છે. આ સ્ટેચ્યુ ઘણે દૂરથી પણ દેખાય છે. અહીં નજીકથી તો તે ઘણું જ મોટું લાગે છે. વ્યાઘ્રચર્મ પર બિરાજેલા શીવજી, હાથમાં ડમરું અને ત્રિશુલ, ગળામાં નાગ, માથે જટા – એવી મૂર્તિને જોઈ દરેકના મનમાં ભક્તિભાવ પ્રગટે છે. બેઘડી જોયા જ કરવાનું મન થાય છે. સ્ટેચ્યુની સામે નંદી પોતાના સ્થાન પર શોભે છે. સ્ટેચ્યુની નીચે ગુફા છે, એમાં મંદિરના ઈતિહાસને લગતું એક મ્યુઝીયમ છે.
શીવજીનું આ સ્ટેચ્યુ તથા ગોપુરમ આર.એન.શેટ્ટી નામના એક વેપારી ભક્તે બનાવડાવ્યું છે. એને બનાવતાં બે વર્ષ લાગ્યાં છે અને પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સ્ટેચ્યુ એવી રીતે બનાવ્યું છે કે તેના પર સીધો સૂર્યપ્રકાશ પડે અને તેનાથી તે ચમકે.
સ્ટેચ્યુના પાયા આગળ બીજાં બે મંદિર છે. એક છે રામેશ્વર લીંગ. અહીં પણ પૂજા થઇ શકે છે. બીજું શનેશ્વર મંદિર છે. મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે. એમાં બીજાં ઘણાં સ્થાપત્યો છે. શીવજીની બીજી એક મૂર્તિ છે. એક જગાએ ઘોડા જોડેલો સૂર્ય ભગવાનનો રથ છે. બીજી એક જગાએ કૃષ્ણ ભગવાન સારથિ બનીને અર્જુનનો રથ હાંકે છે. આ ઉપરાંત પણ બીજા પ્રસંગોનાં શિલ્પો કંડારેલાં છે. પ્રવાસીઓને આ બધું ફરી ફરીને  જોવાની મજા આવે છે. મંદિરમાં ‘પ્રસાદ’ લેવાની વ્યવસ્થા છે. પછી જે ભેટ આપવી હોય તે આપી દેવાની. મંદિરની પાછળ એક કિલ્લો છે. કહે છે કે માયસોરના રાજા ટીપુ સુલતાને આ કિલ્લો સુધારાવ્યો હતો.
મંદિરની બાજુમાં જ દરિયો છે. અહીંનો બીચ ઘણો લાંબો અને સુંદર છે.એટલે અહીં રમવાનું અને ચાલવાનું સરસ ફાવે એવું છે. લોકો દરિયામાં નહાય છે અને બોટીંગની મજા માણે છે. ગામના માછીમારો દરિયામાં માછલાં પકડતા હોય છે. દરિયા કિનારે જાતજાતની દુકાનો છે. રમકડાં, ખાણીપીણી, કપડાં અને ઘણું બધું મળે છે.
અહીંથી ૧૫ કી.મી. દૂર નેત્રાની નામનો ટાપુ છે. લોકો ત્યાં પણ ફરવા જતા હોય છે. ત્યાં ડાઈવીંગ કરવાની સગવડ છે.
મુરુડેશ્વર ગામમાં રહેવા માટે ઘણી હોટેલો છે. આ મંદિરથી આકર્ષાઈને ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. અહીં આવવા માટે વર્ષનો કોઈ પણ સમય અનુકૂળ છે. મુરુડેશ્વરથી ઉડુપી ૧૦૦ કી.મી અને કારવાર ૧૨૦ કી.મી. દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ મેંગલોર ૧૬૫ કી.મી. દૂર છે.
જોગનો ધોધ જોવા જાવ ત્યારે મુરુડેશ્વરના શીવજીના દર્શનનો લાભ લેવાનું ચૂકશો નહિ.
1_Lord Shiva statue at Murudeshwara2_Shiva statue3_Statue4_Gopuram of Murudeshwara5_Murudeshwara temple entrance6_Shikhar of Murudeshwara Temple7_Shiva Temple, Murudeshwar8_Murudeshwar9_Murudeshwar10_Murudeshwar11_Murudeshwar12_Murudeshwar13_Murudeshwar14_Sea15_Murudeshwar