# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 6 October 2018

તરાઈનાં યુદ્ધો ઈ.સ. ૧૧૯૧-૯૨ (મહમૂદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ) - 1


તરાઈનાં યુદ્ધો ઈ.સ. ૧૧૯૧-૯૨ (મહમૂદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ)
·         પ્રકાશન તારીખ26 Jul 2018
·        

ભારતના પશ્ચિમ પ્રાંત પર આરબોના હુમલા અને સોમનાથ પર મહમુદ ગઝનવીનાં આક્રમણોનો ઈતિહાસ આપણે ગત હપ્તાઓમાં જોયો. તે દરમિયાન ભલે તેઓ ભારતમાં સ્થાયી સત્તા સ્થાપવામાં નિષ્ફળ ગયો હોય, પરંતુ તેમના હુમલાઓ પછી ભારત પર સ્થાયી સત્તા સ્થાપવાની બારી તો જરૂર ખૂલી હતી. આ બારીને મોટું બારણું બનાવવાનું કૃત્ય મહમૂદ ઘોરીના આક્રમણ પછી પૂરું થયું હતું.

મહમૂદ ઘોરીનો હુમલો તે રીતે મહમુદ ગઝનવી કરતાં નિર્ણાયક હતો. પરંતુ આ બધું પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં નહોતું થયું. મહમૂદ ઘોરી જેવો આક્રમણખોર પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ભારત વિજય મેળવી શક્યો ન હતો. કારણ કે તેણે સબળ હરીફોનો સામનો કરવાનો હતો.
મહમૂદ ઘોરી જેવો આક્રમણખોર પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ભારત વિજય મેળવી શક્યો ન હતો. કારણ કે તેણે સબળ હરીફોનો સામનો કરવાનો હતો.
આ સમયે ઉત્તર ભારતમાં અજમેરનું શક્તિશાળી રાજ્ય હતું. ત્યાં શાસન કરતા ચૌહાણોની પહેલી રાજધાની અહીચ્છત્રપુર હતી. પછી તેઓ રાજધાની બદલી અજમેરમાં સ્થાપિત થયા હતા. ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ પણ આ રાજ્યની મુલાકાતે ગયો હતો. ચૌહાણો અગ્નિવંશી અને ચંદ્રવંશી કહેવાય છે. દંતકથાઓ મુજબ ચૌહાણોની ઉત્પત્તિ વશિષ્ઠના અગ્નિકુંડમાંથી થઈ હતી. અગ્નિવંશના અજમેરના રાજા પૃથ્વીરાજ ચૌહાણ હતા. સોમેશ્વરનો આ પુત્ર બાળવયે અજમેરનો રાજા બન્યો હતો.
બાળવયે તેના વતી રાજમાતા કર્પૂરીદેવી અને મંત્રી કદમ્બ શાસન કરતા હતા. રાજા બનતા પહેલાં ભાવિ રાજાને તૈયાર કરવા માટે અસ્ત્ર શસ્ત્રનું જે પ્રશિક્ષણ કુમારને આપવામાં આવે છે તે પૃથ્વીરાજને પણ આપવામાં આવ્યું હતું. યુવાવસ્થામાં તે એક પરાક્રમી અને કુશળ રાજા તરીકે તૈયાર થઇ ચૂક્યો હતો.
ચંદ બરદાઈ કૃત પૃથ્વીરાજ રાસો અને અન્ય સમકાલીન ગ્રંથોમાં પૃથ્વીરાજની પૂર્વાવસ્થા અને તેનાં પરાક્રમો અને સુશાસનની વિગતો પ્રાપ્ત થાય છે. બાળરાજા પૃથ્વીરાજે ઈ.સ.૧૧૮૨માં વાસ્તવિક રીતે સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લીધા હતા. પૃથ્વીરાજ વીર અને પરાક્રમી હતો. ૧૧મી અને ૧૨મી સદીમાં ઉત્તર ભારતમાં અસ્તિત્વ ધરાવતા મોટાભાગના રાજપૂત રાજાઓ પૃથ્વીરાજથી પરાસ્ત થયા હતા.
તે સમયે સત્તાની સાઠમારીનો જમાનો હતો અને યુદ્ધો કરી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો તે શૌર્યનું પ્રતીક ગણાતું હતું. તે પૃથ્વીરાજે પણ કર્યું. માળવાના પરમારો, ગુજરાતના સોલંકીઓ કે ચાલુક્યો અને ઉદેપુરના ગુહીલો તથા દિલ્હીના ચૌહાનો સુધી તેનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. વિશાળ સામ્રાજ્ય સ્થાપવા સાથે તેણે કુશળ અને ન્યાયપૂર્ણ શાસનવ્યવસ્થા પણ ગોઠવી હતી.

હિન્દુસ્થાનનું આવું રાજ્ય હોય તો તેને હરાવી મુસ્લિમ સત્તાની સ્થાપના કરવી એ હજારો માઈલ દુર બેઠેલા મહમૂદ ઘોરીનું સ્વપ્ન હતું. ઘોરીના હુમલા વખતે ઘોર પ્રદેશ અને અજમેર વચ્ચે ઘણા નાનાં-નાનાં રાજ્યો હતાં. તેમના કેટલાક પર ગઝનીનું આધિપત્ય હતું. સરહદી પ્રદેશોના પંજાબ પર ગઝનીનો સુબેદાર શાસન કરતો હતો અને તેની રાજધાની લાહોરમાં હતી. તેનું બીજું કેન્દ્ર મુલતાન હતું. મહમૂદ ઘોરીના શરૂના હુમલાઓ વખતે આ નાના પ્રાંતો ઘોરીનો સામનો ન કરી શક્યા અને ઘોરી સૈન્ય માટે ભારત પ્રવેશની બારી ખુલ્લી થઇ હતી.
મહમૂદ ઘોરી માટે પણ કહેવાય છે કે તેણે ભારત પર સત્તર વખત આક્રમણો કર્યાં હતાં અને સત્તર વખત પરાસ્ત થયો. પરંતુ તે હાર માને તેવો સુલતાન ન હતો. મહમૂદ ઘોરીનું આખું નામ મુઈઝુદ્દીન મુહમ્મદ બિન શાખ હતું. તે પોતાની પૂર્વેના હુમલાખોરોમાંથી ઘણા પદાર્થપાઠ શીખ્યો હતો. તેથી તેણે યોજનાબદ્ધ રીતે ભારત અભિયાન આદર્યું હતું. મહમૂદ ઘોરીએ ભારત આવવાના પ્રચલિત માર્ગ ખૈબર ઘાટના રસ્તે આવવાના બદલે સિંધુ પ્રદેશના મેદાનમાં આવેલા ગોમલનો માર્ગ પકડ્યો.
ઈ.સ. ૧૧૮૨ સુધીમાં સિંધના રાજાઓએ મહમૂદ ઘોરીનું આધિપત્ય સ્વીકારી લીધું હતું. અહીં એક બીજી વાત પણ નોંધપાત્ર છે કે ઘોરી પહેલાં હુમલાખોરોની જેમ યુદ્ધ કરી લૂંટફાટ કરી સ્વદેશ પાછા ફરવામાં માનતો ન હતો. તે ભારતમાં સ્થાયી સત્તા સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે લશ્કરી અભિયાન ગોઠવી રહ્યો હતો.
૧૧૮૫માં ઘોરી સેનાએ લાહોર કબજે કર્યું. હવે પછીના ક્રમમાં તે ગંગા નદીના મેદાની વિસ્તારોમાં આવેલા રાજપૂત રાજાઓને પોતાનું નિશાન બનાવવાનો હતો. તેના શરૂઆતના હુમલા વખતે તે આવી રહ્યો છે તેવી માહિતી પૃથ્વીરાજને પોતાના ચંદ્રરાજ નામના મુખબીર દ્વારા મળી હતી. પરિણામે રાજપૂત રાજાને સજ્જ થવાનો અને દુશ્મનને દબોચવાનો સમય મળી ગયો. મહમૂદ અજમેર સુધી આવે તે પહેલાં પૃથ્વીરાજ મુલતાન સુધી પહોંચી ગયો અને મહમૂદ ઘોરીને પકડ્યો.
પૃથ્વીરાજે ભારતીય યુદ્ધના સિદ્ધાંતો પ્રમાણે ઘોરીને મારવા અથવા તો પરત ફરવા ઓફર કરી. મહમૂદને તો યુદ્ધના સિદ્ધાંતો સાથે નહાવા નિચોવવાનોય સંબધ ન હતો.
પૃથ્વીરાજે ભારતીય યુદ્ધના સિદ્ધાંતો પ્રમાણે ઘોરીને મારવા અથવા તો પરત ફરવા ઓફર કરી. મહમૂદને તો યુદ્ધના સિદ્ધાંતો સાથે નહાવા નિચોવવાનોય સંબધ ન હતો. તેણે પૃથ્વીરાજ સાથે બનાવટ કરી. ઘોરીએ કહ્યું કે હું તો મારા ભાઈ સુલતાનનો સેનાપતિ માત્ર છું. તેની આજ્ઞા આવે ત્યાં સુધી તમે થોભી જાવ, યુદ્ધ બંધ કરો. મહમૂદના વચન પર વિશ્વાસ મૂકી પૃથ્વીરાજે તેને મુક્ત કર્યો. આમ પહેલી વાર મહમૂદ ઘોરી પૃથ્વીરાજની દયાને કારણે જીવતદાન પામ્યો. પરંતુ પૃથ્વીરાજને ક્યાં ખબર હતી કે તેની આ દિલાવરી ખુદ પૃથ્વીરાજ ઉપરાંત હિન્દુસ્તાનને કેટલી ભારે પડવાની છે? અને તે પછી તરતના સમયમાં સાર્થક થયું.
પૃથ્વીરાજની દયાને કારણે છૂટી દેશ પાછા ફરેલા મહમૂદ સાથે અનેક બાબતો અને ખાસ તો રાજપૂતો અને ભારતીય સૈન્યની યુદ્ધ કળા તેઓની ખાસિયતો અને મર્યાદાઓ જાણી ચૂક્યો હતો અને તેનો બખૂબી ઉપયોગ ઈ.સ.૧૧૯૧-૯૨ના તરાઈના યુદ્ધમાં કરવાનો હતો. તરાઈના સંઘર્ષની વાત આવતી કાલે.
arun.tribalhistory@gmail.com

આભાર -  અરુણભાઈ  વાઘેલા

1 comment: