# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Monday 13 August 2018

સ્વાતંત્ર્ય સંગ્રામના સૌ પ્રથમ શહીદ ક્રાંતિકારી : તિલકા માઝી


સ્વાતંત્ર્ય સંગ્રામના સૌ પ્રથમ શહીદ ક્રાંતિકારી : તિલકા માઝી





SadhanaWeekly.com       | ૧૨-ફેબ્રુઆરી-૨૦૧૬





તા. ૧૧ ફેબ્રુઆરીએ જન્મજયંતિ નિમિત્તે વિશેષ






ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની આદિવાસી જનજાતિઓની ઉલ્લેખનીય ભૂમિકા રહી છે. સંથાલી હોય કે પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતની ભીલ જનજાતિ કે પછી પૂર્વીય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ગોડ અને કોરકૂ વનવાસી, દેશના અન્ય અનેક વિસ્તારોમાં વનવાસી જનજાતિઓએ તત્કાલીન રાજાઓ અને સામંતો વિરુદ્ધ વિદ્રોહનાં બ્યૂગલ બજાવ્યાં હતાં, જે પાછળથી અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પરિણમ્યાં. વનવાસીઓ સાથેના સંઘર્ષમાં શક્તિશાળી બ્રિટિશ હુકૂમતને પણ અનેક વખત મોઢાની ખાવી પડી હતી.

ઝારખંડના છોટા નાગપુર અને સંથાલ પરગણાના સ્વતંત્રતા સંગ્રામના સેનાનીઓમાં સિરસા મુંડા, સિદો કાન્હૂ, ચાંદ ભોરમ, બુદ્ધ ભગત, રઘુનાથ મંગૂ સહિત અનેક ક્રાંતિકારીઓ દ્વારા અંગ્રેજ શાસન વિરુદ્ધ શંખનાદ કરાયો હતો. આમાં સૌથી મહત્ત્વનું નામ એટલે ‘તિલકા માઝી.’ એ સમયે ઝારખંડ બિહારનો જ એક ભાગ હતું. આ પહાડી વિસ્તારમાં સંથાલ જાતિ અને અંગ્રેજ સેના વચ્ચે ભયંકર લડાઈ છેડાઈ ચૂકી હતી. એક તરફ સંથાલીઓમાં પોતાની ભૂમિ અંગ્રેજોના કબજામાંથી મુક્ત કરાવવાનું ઝનૂન હતું તો બીજી તરફ અંગ્રેજો પણ આ વિસ્તાર પર કબજો જાળવી રાખવા મરણિયા બન્યા હતા. અંગ્રેજ સરકાર કોઈપણ ભોગે અહીંની રાજમહેલ પહાડીઓ પર પોતાનો અધિકાર સ્થાપવા માંગતી હતી. પરિણામે અહીંની સંથાલ જાતિઓના વનવાસીઓએ વિદ્રોહ કરી દીધો, જેનું નેતૃત્વ તિલક માઝી નામનો વનવાસી યુવક કરી રહ્યો હતો. તેણે છાપામાર યુદ્ધ છેડી અંગ્રેજોને ભાગલપુર અને રાજમહેલની પહાડીઓ પરથી ભાગી જવા મજબૂર કરી દીધા. છેક ૧૭૭૧થી ૧૯૮૪માં આ વનવાસી યુવકે છાપામાર યુદ્ધ થકી અંગ્રેજ હુકૂમતના નાકમાં દમ કરી દીધો હતો.

ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની તરીકે જાણીતા તિલકા માઝીનો જન્મ એક સંથાલ વનવાસી પરિવારમાં ૧૧ ફેબ્રુઆરી ૧૭૫૦માં તિલકપુર ગામના સુલતાનગંજમાં  થયો હતો. તે સમયે બિહારની મુર્શિદાબાદની આસપાસના થોડા ઘણા વિસ્તારોમાં અલીવર્દી ખાન નામના સૂબાનું શાસન હતું. અંગ્રેજો વિરુદ્ધ આ યુવા વનવાસી લડવૈયાની શૌર્યપૂર્ણ લડાઈગાથાઓ આજે પણ અહીંનાં લોકગીતોમાં સાંભળવા મળે છે. અહીંની પહાડીઓમાં આજે પણ ‘બાબા તિલકા માઝી ખામ ખૂટી કાના હો, ગાંધી બાબાય મુતુલખામ ખૂંટ કાનાસન’ લોકગીત ગુંજે છે.’

તિલકા માઝી સંથાલી ક્રાંતિકારીઓના સર્વમાન્ય નેતા હતા. એક દિવસ અંગ્રેજ સેના પહાડીઓથી કેટલે દૂર છે તે જોવા માટે ખૂબ જ ઊંચા તાડના ઝાડ પર ચડી ગયા. તે સમયે અંગ્રેજ સેના પાસેની પહાડીઓમાં છુપાઈ સંથાલી ક્રાંતિકારીઓ પર હુમલો કરવાની તાકમાં હતી તે સમયે અંગ્રેજ સેનાના સેનાપતિ મજિસ્ટ્રેટ ક્લીવલેડની નજર તાડના ઝાડ પર ચડી રહેલા તિલકા માઝી પર પડી ગઈ. સ્થિતિનો લાભ લેવા તે પોતાના સૈન્ય સાથે એ સ્થળે ધસી આવ્યો. તેઓ તિલકા માઝીને જીવતો પકડવા માંગતા હતા પરંતુ જો તેમ શક્ય ન બને તો તેને મારી નાંખવાની તૈયારી પણ તેમની હતી. તાડના ઝાડની નીચે પહોંચી તેઓએ તિલકાને તેનાં ધનુષ-બાણ ફેંકી આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી. પરંતુ વીર તિલકાએ પોતાના બન્ને પગોની આંટી તાડના થડ પર વાળી હાથ છોડી ખભે ટિંગાડેલ ધનુષ ઉતારી એક તીર ક્લિવલેડ પર છોડ્યું. સનનન... કરતું તીર તેની છાતીમાં ઘૂસી ગયું અને ક્લિવલેન્ડ ઘોડા પરથી નીચે પટકાઈ તરફડિયાં મારવા લાગ્યો. તિલકા ખૂબ જ સ્ફૂર્તિ સાથે સડસડાટ કરતો ઊંચા તાડ પરથી ઊતર્યો અને અંગ્રેજ સેના આવે તે પહેલાં ગાઢ જંગલોમાં અદૃશ્ય થઈ ગયો. અંગ્રેજ સેના જ્યારે આ સ્થળે પહોંચી ત્યારે તેમને પોતાના સેનાપતિનો મૃતદેહ જ હાથ લાગ્યો. અહીંના મુંગેર, ભાગલપુર અને પરગણા વિસ્તારોમાં તિલકાના છાપામાર યુદ્ધે અંગ્રેજ સેનાના હાંજા ગગડાવી મૂક્યા હતા.

આ ઘટના બાદ અંગ્રેજ સેનાએ સર આર્થર ફટ નામના એક અંગ્રેજ અધિકારીના નેતૃત્વમાં તિલકાને ફસાવવા માટે એક છટકું ગોઠવ્યું. અંગ્રેજ સેનાએ કેટલાક દિવસો સુધી વનવાસીઓનો પીછો કરવાનું બંધ કરી દીધું. પરિણામે તિલકા અને તેના સાથીઓને લાગ્યું કે અંગ્રેજ સેના હતાશ થઈ પાછી ચાલી ગઈ છે અને સંથાલ ક્રાંતિકારીઓ વિજય ઉત્સવ મનાવવા લાગ્યા. તે જ સમયે ઘાત લગાવી અંગ્રેજ સૈન્યે વિજય ઉત્સવ મનાવતા વનવાસીઓ પર હુમલો કરી દીધો જેમાં મોટા ભાગના સંથાલીઓ શહીદ થયા અને અનેકોને બંદી બનાવી લેવામાં આવ્યા. ખૂબ જ મુશ્કેલીથી તિલકા માઝી અને તેમના અન્ય કેટલાક વનવાસી ક્રાંતિકારી સાથી ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા. છતાં પણ તેઓે અહીંની પહાડીઓમાં છુપાઈ છુપાઈને અંગ્રેજો સામે યુદ્ધ કરતા રહ્યા. જેમાં તિલકાના સાથીઓ એક પછી એક શહીદ થતા રહ્યા. અંગ્રેજોએ પહાડીઓને ઘેર લીધી હોવાથી તેમને ખોરાક મળતો પણ બંધ થઈ ગયો હતો, પરિણામે તિલકા માઝી અને બચેલા વીર વનવાસી ક્રાંતિકારીઓએ નક્કી કર્યંુ કે ભૂખથી મરવા કરતાં વીરોની માફક અંગ્રેજો સામે સામી છાતીએ લડવું અને તેમને વધુમાં વધુ નુકસાન પહોંચાડી શહીદ થવું. દૃઢસંકલ્પ લઈ તિલકા માઝી પોતાના બચેલા કેટલાક સાથીઓ સાથે અંગ્રેજો પર ટૂટી પડ્યો અને કેટલાય અંગ્રેજ સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા પણ સામે અંગ્રેજ સૈન્યનું સંખ્યાબળ ઘણું હતું. છેવટે તિલકાને બંદી બનાવી લેવાયો. પોતાને થયેલા નુકસાન અને હારનો બદલો લેવા અને અન્ય ક્રાંતિકારીઓમાં ડર પેદા કરવા તિલકા માઝીને બે ઘોડા વચ્ચે દોરડાથી બાંધી ભાગલપુર સુધી ઢસડીને લઈ જવામાં આવ્યો અને ખૂબ જ ક્રૂરતાપૂર્વક બજાર વચ્ચેના પીપળાના વૃક્ષની ડાળીએ લટકાવી ફાંસી આપી દેવામાં આવી.

આજે પણ અહીંના લોકો તિલકા માઝીને અંગ્રેજો વિરુદ્ધની આઝાદી જંગના સૌપ્રથમ શહીદ ગણે છે. અતીતના પાનામાં કેદ સ્વતંત્રતા સેનાનીને તેમના જન્મદિને કોટિ કોટિ વંદન....


No comments:

Post a Comment