# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 6 October 2018

તરાઈનું યુદ્ધ - 3


તરાઈનું યુદ્ધ - 3
·         પ્રકાશન તારીખ28 Jul 2018
·          

તરાઈના પહેલા યુદ્ધ પછી આગળ આપણે જોયું તેમ મહમૂદ ઘોરી ઘણો જ ધૂંધવાયેલો હતો. પૃથ્વીરાજની દાઝ તેણે પોતાના સૈનિકો અને સેનાપતિઓ ઉપર કાઢી અને બીજા વિશાળ હુમલા માટે લશ્કરને સજ્જ કર્યું.
ઘોરીના બીજા હુમલાની સમાંતર એક બીજો પ્રસંગ પણ ભારતીય ઈતિહાસમાં રચાઈ રહ્યો હતો અને તે પૃથ્વીરાજ અને સંયુક્તાની પ્રેમકહાની અને સ્વયંવરની કથા.
ઘોરીના બીજા હુમલાની સમાંતર એક બીજો પ્રસંગ પણ ભારતીય ઈતિહાસમાં રચાઈ રહ્યો હતો અને તે પૃથ્વીરાજ અને સંયુક્તાની પ્રેમકહાની અને સ્વયંવરની કથા.
કનોજના રાજા જયચંદની પુત્રી સંયુક્તાનો સ્વયંવર હતો. દેશભરમાંથી રાજાઓ અને રાજકુમારો તેને વરવા માટે તત્પર હતા પણ સંયુક્તા તો પહેલેથી જ પોતાનું દિલ પૃથ્વીરાજને દઈ બેઠી હતી. પરંતુ કનોજ નરેશ જયચંદ પૃથ્વીરાજને પહેલેથી જ પોતાનો હરીફ અને શત્રુ માનતો હોવાથી તેને આ સબંધ મંજુર ન હતો. પૃથ્વીરાજને અપમાનિત કરવા માટે જ જયચંદે તેને સંયુકતાના સ્વયંવરમાં નિમંત્રણ આપ્યું ન હતું. વિશેષમાં પૃથ્વીરાજનું પૂતળું મહેલના દરવાજે મૂકી અપમાનની પરાકાષ્ઠા દેખાડી. હાથમાં વરમાળા લઈ નીકળેલી સંયુક્તા એ પૃથ્વીરાજના પૂતળાને વરમાળા પહેરાવી દીધી.
સ્વયંવરમાં ઉપસ્થિત સહુ કોઈ ચોંકી ગયા. એટલામાં જ પૂતળામાંજ છુપાયેલો સાચુકલો પૃથ્વીરાજ પ્રગટ થયો અને પોતાના પવનવેગી ઘોડા પર સ્વાર થઈ સંયુક્તાને હરી ગયો. સંયુકતાહરણ રાજા જયચંદ માટે અકળાવનારું અને અપમાનજનક નીવડ્યું અને તેનો બદલો જયચંદે મહમૂદને મદદ કરી લેવાનું નક્કી કર્યું.
એક તરફ ઘોરી દુઃખી હતો. બીજી તરફ જયચંદ. આમ બે સમદુઃખિયા ભેગા થયા અને ભારતના ઇતિહાસે કરવટ બદલી.

ઘોરીને મદદ કરી જયચંદ એમ માનતો હતો કે ઘોરી તો લૂંટફાટ કરી ચાલ્યો જશે અને પૃથ્વીરાજનું રાજ્ય પોતાને મળશે! ટૂંકમાં પ્રતિશોધ અને સ્વાર્થની ટૂંકી ભાવના સાથે જયચંદ ઘોરી જેવા વિધર્મી સુલતાનને સહાય કરવા તૈયાર થયો. તેણે ખાસ દૂત મોકલી પૃથ્વીરાજ સામેના યુદ્ધમાં ઘોરીને સૈનિક સહાયની ખાતરી આપી. જયચંદના વચન પછી ઘોરી પૃથ્વીરાજ સામે નવું યુદ્ધ કરવા માટે તૈયાર થઇ ગયો.
આ જ સમયે ઉત્તર ભારતનાં રાજપૂત રાજ્યો પણ સંયુક્તાહરણની ઘટના પછી પૃથ્વીરાજથી નારાજ હતા. તેઓ પૃથ્વીરાજના મંત્રી ચંદ બરદાઈનાં કહેણ અને મદદની દુહાઈ છતાં ઘોરી - પૃથ્વીરાજ વચ્ચેના યુદ્ધથી દૂર રહ્યા હતા.

વર્ષ ૧૧૯૨માં ઘોરી અને પૃથ્વીરાજ ફરી સામસામા આવ્યા. આ સમયે પૃથ્વીરાજ પાસે લગભગ ૩ લાખનું સૈન્ય હતું. જ્યારે ઘોરી પાસે અંદાજે ૧ લાખ ૨૦ હજાર. પૃથ્વીરાજ પાસે હાથીઓનું મોટું દળ હતું તો ઘોરી પાસે અશ્વદળ. બંને સેનાઓ સામસામે ઘણો સમય લડતી અને ઇન્તજાર કરતી રહી. રાજપૂત સેના મહાભારત કાળથી ચાલ્યા આવતા યુદ્ધના નિયમોને અનુસરતી હતી. ઘોરીને યુદ્ધના કોઈ નિયમો લાગુ પડતા ન હતા. તેણે સૈનિકોને તાપણાં સળગાવવા કહ્યું જેથી રાજપૂત સેનાને ત્યાં લશ્કરી પડાવ છે તેવું લાગે અને પૃથ્વીરાજની સેના તેને ઘેરો ઘાલે. તે પહેલાં પાછળથી હુમલો કરી દેવો. મહમૂદ ઘોરીની આ યોજના કારગત નીવડી. ઘોરીના ઘોડેસવારોએ આક્રમક રીતે પૃથ્વીરાજના હાથીઓને ઘેરી લીધા. તીરમારાથી ઘાયલ થયેલા હાથીઓએ પોતાના જ સૈનિકોને કચડવાનું શરૂ કર્યું.
છેલ્લા યુદ્ધમાં ઘોરીએ રાજપૂત સેનાપતિઓને પણ ખરીદી લીધા. પૃથ્વીરાજના ઘોડાને પણ ભટકાવી દેવામાં આવ્યો. ભયંકર અને આરપારના તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજના લગભગ ૧ લાખથી વધુ સૈનિકો માર્યા ગયા. પૃથ્વીરાજ ઘેરાઈ ગયો. તે મરણિયો બની ઘોડા પરથી કૂદી લડવા લાગ્યો, પણ પાછળથી યવન સૈનિકે તીર મારતાં તે પડી ગયો. ઘોરી સેનાએ પૃથ્વીરાજને પકડી લીધો. અપમાનિત થવા કરતાં મરવું સારું એમ માની તેણે ભૂખ્યા તરસ્યા રહી મોતને ભેટવાનું નક્કી કર્યું. તેણે પણ ઘોરીને એકવાર પોતાને છોડવા માટે કહ્યું, પણ ઘોરી પૃથ્વીરાજ ન હતો. આખરે તેને કિલ્લામાં મોકલી દેવામાં આવ્યો, જ્યાં તેનું મોત અગમ્ય સંજોગોમાં થયું હોવાનું કહેવાય છે.
પૃથ્વીરાજ પાસે લગભગ ૩ લાખનું સૈન્ય હતું. જ્યારે ઘોરી પાસે અંદાજે ૧ લાખ ૨૦ હજાર. પૃથ્વીરાજ પાસે હાથીઓનું મોટું દળ હતું તો ઘોરી પાસે અશ્વદળ.
અજમેર વિજય પછી ઘોરી સેના અત્યાચાર વર્તાવતી છેક કનોજ સુધી પહોંચી કનોજ પણ કબજે કર્યું. આટલા મોટા વિજય પછી તેણે ભારત પર રાજ્ય કરવા માટે કુત્બુદ્દીન ઐબક નામના સૂબાની નિમણૂક કરી અને તે પાછળથી એ જ ઐબક દિલ્હી સલ્તનતનો પહેલો સુલતાન પણ બન્યો હતો.
આમ પૃથ્વીરાજ ચૌહાણ જેવા પરાક્રમી રાજાના પરાજય સાથે ભારતમાં એક યુગનો અંત આવ્યો અને નવો યુગ શરૂ થયો, જે અગાઉના યુગ કરતા જુદો હતો.
પૃથ્વીરાજ ભલે રણમેદાનમાં ખપી ગયો, પોતાની પ્રેયસી અને રાણી સંયુક્તા સાથે સંસાર ભોગવી ન શક્યો. છતાં આજે પણ તે એક આદર્શ અને પ્રેરણાપુરુષ તરીકે ભારતીય જનમાનસમાં જીવંત છે.
arun.tribalhistory@gmail.com

આભાર -  અરુણભાઈ  વાઘેલા


No comments:

Post a Comment