# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 6 October 2018

ગુજરાતની અસ્મિતાને આઘાત : અલાઉદ્દીન ખિલજી અને કર્ણદેવ વાઘેલાનું યુદ્ધ (૧૩૦૪ - ૦૫)-1


ગુજરાતની અસ્મિતાને આઘાત : અલાઉદ્દીન ખિલજી અને કર્ણદેવ વાઘેલાનું યુદ્ધ (૧૩૦૪ - ૦૫)
·         પ્રકાશન તારીખ29 Jul 2018
·        

ગત હપ્તામાં આપણે ભારતમાં ઇસ્લામિક આક્રમણો અને સરવાળે અહી સલ્તનતની સ્થાપના વિષે જોયું. મહમૂદ ઘોરી પૃથ્વીરાજ ચૌહાણ સાથેના યુદ્ધ પછી અજમેર અને દિલ્હીના શાસન માટે કુત્બુદ્દીન ઐબક નામના પોતાના સુબાની નિમણૂક થઇ હતી. તેણે ઈ.સ.૧૨૦૬માં દિલ્હીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. તે પોતે ગુલામ હોવાથી તેનો વંશ ગુલામ કે માંમુલક વંશ તરીકે ઇતિહાસમાં ઓળખાય છે.
ઈ.સ. ૧૨૯૦ના વર્ષે દિલ્હીના તખ્ત પર ખિલજી રાજ્ય વંશની સ્થાપના થઇ અને ૭૦ વર્ષનો વયોવૃદ્ધ જલાલુદ્દીન ખિલજી દિલ્હીનો સુલતાન બન્યો. તેના સમયમાં વાયવ્ય ભારતમાંથી વાવાઝોડાની માફક મોંગોલોના હુમલાઓ થયા.
દિલ્હી સલ્તનત પર તે પછી ઘણા સુલતાનો અને વંશો આવ્યા. તેઓએ લગભગ ૩૨૦ વર્ષ સુધી દિલ્હી પર શાસન કર્યું. તેનો અંત લોદી વંશના છેલ્લા સુલતાન ઈબ્રાહીમ લોદીના સમયમાં પાણીપતના પહેલા યુદ્ધમાં બાબરના હાથે આવ્યો હતો. આ ૩૦૦ વર્ષનો ગાળો રાજકીય અને વહીવટી રીતે ઘણી ઉથલપાથલો અને આવનજાવનનો સમય રહ્યો હતો. રાજકીય અને વહીવટી રીતે નીતિમત્તાનાં ધોરણોનો પણ વ્યાપક અભાવ હતો. તેનું દૃષ્ટાંત રઝીયા સુલતાનાના સમયથી મળવાનું શરૂ થાય છે.

ઈ.સ. ૧૨૯૦ના વર્ષે દિલ્હીના તખ્ત પર ખિલજી રાજ્ય વંશની સ્થાપના થઇ અને ૭૦ વર્ષનો વયોવૃદ્ધ જલાલુદ્દીન ખિલજી દિલ્હીનો સુલતાન બન્યો. તેના સમયમાં વાયવ્ય ભારતમાંથી વાવાઝોડાની માફક મોંગોલોના હુમલાઓ થયા. જે તેણે ખાળ્યા એટલું જ નહિ, હુમલાખોરોને વશ કરી ભવિષ્યમાં તેઓ ખપમાં આવી શકે તે માટે તેમને નવ મુસ્લિમો તરીકે દિલ્હીમાં વસાવ્યા. જલાલુદ્દીન ખિલજીનો એક ભત્રીજો નામે અલાઉદ્દીન ખિલજી હતો. તે માત્ર સુલતાનનો ભત્રીજો જ ન હતો. તેનો જમાઈ પણ હતો. ભત્રીજો અને જમાઈ પણ હોય એટલે સ્વાભાવિક પણે શાસનમાં પણ સારા હોદ્દે હોય જ. અલાઉદ્દીન જલાલુદ્દીન ખિલજીના સમયમાં અવધનો સુબો હતો.

અલાઉદ્દીન અત્યંત મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. જલાલુદ્દીન સાથેના સગાઈ સંબંધોનો ગેરલાભ ઉઠાવવો તે તેના માટે સામાન્ય બાબત હતી. પોતાની સામ્રાજ્યવાદી મનોકામનાઓને સંતોષવા જલાલુદ્દીનને કીધા વગર દૂર આવેલા દેવગિરિને જીતવા નીકળી પડ્યો. દેવગિરિમાં તે સમયે રામચંદ્ર નામનો રાજા રાજ કરતો હતો. અહી એક ઘણી રસિક અને બોધપ્રદ ઘટના બની.
અલાઉદ્દીન પોતે દૂર દિલ્હીથી આવતો હતો અને દક્ષિણમાં હુમલો કરવા આવતો હોવાથી તેનાં ભયસ્થાનોથી પૂરેપૂરો વાકેફ હતો.
સાથે યુદ્ધકલા તો ખરી જ. યુદ્ધ દરમિયાન વપરાતી ખંધાઈઓથી પણ ભરેલો હતો. રામચંદ્રનું સૈન્ય પોતાનાથી મોટું જ હશે, સાથે ભૌગોલિક અને અન્ય સંજોગો પોતાની તરફેણ નહીં કરે તેની અલાઉદ્દીનને ગળા સુધી ખાતરી હતી. તેથી તેણે લુચ્ચાઈ આદરી. દેવગિરિના સીમાડે પહોચતાં જ તેણે પોતાના સૈનિકોને હવામાં પુષ્કળ ધૂળ ઉડાડવા કહ્યું. એ ઘૂળ સૈનિકોએ એટલી હદે ઉડાડી કે આકાશમાં ધૂળની ડમરીઓ ઊડવા લાગી. તે જ સમયે અલાઉદ્દીનના સૈનિકો છુપા વેશે દેવગીરી પહોંચી લોકોમાં અને લશ્કરમાં એવી અફવા ફેલાવી કે અલાઉદ્દીન દોઢ લાખનું સૈન્ય લઇ દેવગિરિ પર હુમલો કરવા આવી રહ્યો છે. અફવાને પગ નથી હોતા છતાં પવન કરતાં પણ વધુ ઝડપે તે ફેલાય છે અને અલાઉદ્દીને નક્કી કરેલી ફોર્મ્યૂલા કારગત નીવડી.
તુર્ક સેના વિશાળ મોરચો લઇ આવી રહી છે તેવી અફવા માત્રથી દેવગિરિનું લશ્કર અસ્ત વ્યસ્ત થઇ ગયું અને રાજા પોતે અલાઉદ્દીનને સંધિની શરતો સાથે મળવા માટે આવ્યો અને સુલતાનની અપમાનજનક સંધિ સ્વીકારવી પડી. પરંતુ એ જ સમયે રામચંદ્રનો પુત્ર કે જે અલાઉદ્દીનના આક્રમણ વખતે દક્ષિણમાં ગયો હતો તે આવી પહોચ્યો. તેણે પિતાએ સ્વીકારેલી સંધિને રદબાતલ ગણી અલાઉદ્દીન સાથે બાથ ભીડી પણ તે બહાદુર હોવા છતાં પરાસ્ત થયો.
દેવગિરિના વિજય પછી અલાઉદ્દીનને સોના-ચાંદી સહિત વિશાળ માત્રામાં દલ્લો હાથ લાગ્યો જે તેને પોતાના સસરા અને કાકા જલાલુદ્દીનને આપવાની લેશમાત્ર ઈચ્છા ન હતી. બીજી તરફ પોતાનો ભત્રીજો અને જમાઈ દેવગિરિ પર વિજય મેળવી દિલ્હી આવી રહ્યો છે તે જાણતાં જલાલુદ્દીન ફૂલ્યો સમાતો ન હતો. પોતાના આનંદના અતિરેકને રોકી ન શકતા ભત્રીજાને વધાવી લેવા - શાબાશી આપવા અવધના કડા ગામે પહોંચ્યો. પણ તેને ક્યાં ખબર હતી કે તેની ખુશી ટૂંક જ સમયમાં તેના મોતનું કારણ બનવાની છે.

ભત્રીજા અને જમાઈને ભેટવા તલપાપડ જલાલુદ્દીન પર અલાઉદ્દીને પાછળથી પ્રાણઘાતક હુમલો કર્યો અને કાકા કમ સસરાનું માથું વાઢી નાંખ્યું. સત્તાની પિપાસા શું ન કરાવી શકે તેનું આ વરવું દૃષ્ટાંત! જલાલુદ્દીનનું માથું કાપી લીધા પછી તેણે માથાને ભાલાની અણી પર ભેરવી આખા દિલ્હીમાં ફેરવ્યું જેથી પોતાના નામનો ખોફ લોકો અને ખાસ તો દિલ્હીના અમીર-ઉમરાવોમાં ફેલાય. અને થયું પણ તેમજ.
અલાઉદ્દીન અત્યંત મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. જલાલુદ્દીન સાથેના સગાઈ સંબંધોનો ગેરલાભ ઉઠાવવો તે તેના માટે સામાન્ય બાબત હતી.
અલાઉદ્દીનના નામનો ખોફ આખાય દિલ્હીમાં ફેલાઈ ગયો. લોકો અને દરબારીઓ તેનાં નામમાત્રથી કાંપતા હતા. એટલું પૂરતું ન હોય તેમ જલાલુદ્દીનના પુત્રો અને સગાઓને બંદી બનાવ્યા. કેટલાક પુત્રો અને બેગમોની આંખો ફોડી નંખાવી આંધળા બનાવી દીધા. લગભગ દિલ્હીમાંથી પોતાના માર્ગમાંના ભાવી કંટકોનો નિકાલ કરી દીધો. બીજી તરફ દેવગિરિ લૂંટીને લાવેલી સંપત્તિ સૈનિકો અને પોતાના મદદગારોમાં છૂટે હાથે વહેંચી. ગમતા અમીરોને ઊંચા હોદ્દાઓ આપી પોતાના મજબૂત સહાયકો પણ તૈયાર કર્યા.

આટલી ઘટનાઓ પૂરી થઇ ત્યારે ઈસવીસન ૧૨૯૬નું વર્ષ ચાલતું હતું અને તે જ વર્ષે અલાઉદ્દીન ખિલજી દિલ્હીના પાયતખ્ત પર બેઠો. સુલતાન નહોતો ત્યારે જે વ્યક્તિ આટલો સામ્રાજ્યવાદી હોય તે સુલતાન બન્યા પછી શું ન કરે? આખી દુનિયા મારે જીતી લેવી છે તેવા બુલંદ ઈરાદા સાથે તેણે ભારતવિજયનું અભિયાન શરૂ કર્યું અને તેનો એક મુકામ તે ગુજરાત હતું. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

આભાર -  અરુણભાઈ  વાઘેલા

No comments:

Post a Comment