# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 2 October 2018

ગુજરાતનો જય : સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૨)


ગુજરાતનો જય : સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૨)
·         પ્રકાશન તારીખ23 Jul 2018

ગત હપ્તામાં આપણે મહમુદ ગઝનવીના સોમનાથ પરના વંટોળ જેવા આક્રમણની વાત જોઈ. એના પછી તે જ પ્રદેશમાંથી મહમૂદ ઘોરી આવવાનો હતો. પણ કાલાનુક્રમિક રીતે એ જ ગાળામાં ગુજરાતની અસ્મિતા ઘડાઈ રહી હતી. આપણે સોમનાથ વખતે જ ગુજરાતમાં મુલરાજ સોલંકી દ્વારા કેવી રીતે ગુજરાતમાં સોલંકી સત્તાની સ્થાપના થઇ હતી તેનો ઈતિહાસ જોયો હતો. આ જ સોલંકી સામ્રાજ્યને ગરિમા અપાવનાર સિદ્ધરાજ સોલંકી સને ૧૦૯૪માં પાટણપતિ બન્યો. તેણે ધાર્મિક અને વ્યવહારુ બાબતોમાં જૈન આચાર્ય હેમચંદ્રનો સધિયારો મળ્યો હતો. પરિણામે આજે જેને આપણે ગુજરાત, ગુજરાતીપણું અને ગુજરાતની અસ્મિતા કહીએ છીએ તેની શરૂઆત થઇ હતી.
પ્રાચીન ભારત એ આધુનિક ભારત ન હતું. ત્યાં મત્સ્ય ન્યાય કાર્યરત હતો અર્થાત મોટી માછલી નાની માછલીને ગળી જાય તેમ. સિદ્ધરાજ જયસિંહ પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં ગુજરાતનું મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યા ન હતા.
પ્રાચીન ભારત એ આધુનિક ભારત ન હતું. ત્યાં મત્સ્ય ન્યાય કાર્યરત હતો અર્થાત મોટી માછલી નાની માછલીને ગળી જાય તેમ. સિદ્ધરાજ જયસિંહ પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં ગુજરાતનું મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યા ન હતા. તેનો શાસનકાળ ૧૦૯૪થી ૧૧૪૨ સુધી એટલેકે લગભગ ૪૮ વર્ષનો રહ્યો હતો. સિદ્ધરાજ સોલંકી પાટણના રાજા કર્ણદેવ અને રાજમાતા મીનળદેવીનો પુત્ર હતો. એનું જન્મસ્થાન પાલનપુર હતું. માતા-પિતા વચ્ચે સાંસારિક સંબંધોનો અભાવ કે બીજા કોઈ કારણોસર સિદ્ધરાજનો જન્મ માતા-પિતાની પાછળની અવસ્થામાં થયો હતો. મીનળદેવી કર્નાટકના રાજકુમારી હોવાનું સમકાલીન સ્રોતો જણાવે છે, તો કેટલાક સંશોધકો અને દંતકથાઓ તેઓ ઊંઝાના પાટીદારનાં દીકરી હોવાનો મત વ્યક્ત કરે છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સિદ્ધરાજ તેની સિદ્ધિઓને કારણે દંતકથાનું પાત્ર બન્યો છે.
એક અંદાજ પ્રમાણે ગુજરાતના બીજા કોઈ રાજા વિશે જેટલી દંતકથાઓ કે રહસ્યકથાઓ નહીં રચાઈ હોય તેટલી તેના વિશે રચાઈ છે. ગુજરાતને કીર્તિવંત બનાવનાર આ શાસક માત્ર ત્રણ વર્ષની વયે રાજગાદી પર આવ્યો હોવાનું કહેવાય છે. પ્રબંધ ચિંતામણી ગ્રંથ મુજબ ત્રણ વર્ષની બાળવયે સિદ્ધરાજ રમતાં રમતાં સિંહાસન પર ચડી ગયો અને ત્યાં ઉપસ્થિત જ્યોતિષીઓએ એ જ વખતે અભ્યુદય કરેએમ કહી સિદ્ધરાજનો રાજ્યાભિષેક કરવા કહ્યું. એ દિવસ પોષ વદ ત્રીજ શનિવાર અને વૃષભ લગ્ન અને શ્રવણ નક્ષત્રમાં વર્ષ ૧૦૯૪ નો દિવસ હતો. આ દંતકથાથી વિપરિત હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ ૧૬ વર્ષની વયે પાટણની ગાદી પર આવ્યો હોવાનું કહે છે. તેનાં શાસનના શરૂઆતના ગાળામાં તેના વાલી કે સરક્ષક તરીકે રાજમાતા મીનળદેવી વહીવટ ચલાવતાં હતાં. દરમિયાન સિદ્ધરાજને ઉત્તમ શાસક બનાવવાની પ્રકિયા ચાલુ થઇ હતી.
મલ્લવિદ્યા, ગજ યુદ્ધ અને શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ બનાવવામાં આવ્યો. સિદ્ધરાજના શાસક બનવા પાછળ રાજકીય કાવાદાવાઓની અનેક વાતો પણ પ્રચલિત છે. સત્તાનું સુકાન સિદ્ધરાજના હાથમાં આવ્યા પછી તેણે સમાજજીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિશીલ કાર્યોની વણઝાર ઊભી કરી હતી. મોટાં ભવનો-મહેલો ઊભાં કરાયાં, સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કરાવ્યું, તો ગુજરાતની અસ્મિતાના પ્રતિક સમા રૂદ્રમહાલયનું બાંધકામ કરાવ્યું. સિદ્ધપુર નામ તેના નામ પરથી આવ્યું છે. એ જ રીતે સોમનાથ મહાદેવનાં દર્શન પર લેવાતો યાત્રાવેરો પણ માતા મીનળદેવીના કહેવાથી રદ કર્યો હતો. હિંદુ હોવા છતાં સિદ્ધરાજની છબિ ધર્મ નિરપેક્ષ રાજવી તરીકેની હતી. તેનું એક ઉદાહરણ ખંભાત બંદરનું પ્રાપ્ત થાય છે. ખંભાત બંદરે કેટલાક કોમવાદી તત્ત્વોએ મસ્જીદ તોડી પાડી અને સાંપ્રદાયિક માહોલ ખડો કર્યો હતો. તે સમયે સિદ્ધરાજે જાતે રસ લઈ કોમવાદી પરિબળોને ખદેડી મૂકી મસ્જીદનું પુનર્નિર્માણ કરાવ્યું હતું.
સોલંકીકાળમાં આજે આપણે જે ગુજરાતમાં રહીએ છીએ તે ભૌગોલિક સ્થિતિ ન હતી.
સત્તાનું સુકાન સિદ્ધરાજના હાથમાં આવ્યા પછી તેણે સમાજજીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિશીલ કાર્યોની વણઝાર ઊભી કરી હતી. મોટાં ભવનો-મહેલો ઊભાં કરાયાં, સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કરાવ્યું, તો ગુજરાતની અસ્મિતાના પ્રતિક સમા રૂદ્રમહાલયનું બાંધકામ કરાવ્યું.
પાટણના અધિકારનું ગુજરાત આનર્તકહેવાતું. આજનું સૌરાષ્ટ્ર સોરઠકે સુરાષ્ટ્રઅને દક્ષિણ ગુજરાત લાટતરીકે ઓળખાતું હતું. સિદ્ધરાજના સમયમાં ગુજરાત આખું એક કેન્દ્રીય સત્તા હેઠળ આવ્યું. સોરઠ, લાટ પ્રદેશ ઉપરાંત માળવા જેવા આજના મધ્યપ્રદેશમાં આવેલાં રાજ્યો સુધી તેની આણ પ્રવતતી હતી. તે બધું સિદ્ધરાજનાં યુદ્ધો, તેની કુશળ વ્યૂહરચનાઓ અને વિશાળ સૈન્ય વગેરેના સથવારે સિદ્ધ થયું હતું. સોરઠ, લાટ અને માળવા એમ સતત મોટાં રાજ્યો સાથે યુદ્ધો કરી સમગ્ર પશ્રિમ ભારતમાં સોલંકીઓનો કુક્કટ ધ્વજ (સોલંકી રાજાઓના ધ્વજ પર કુકડાનું ચિહ્ન હતું તે પરથી તે કુક્કટ ધ્વજ કહેવતો) લહેરાવ્યો હતો. તેના આક્રમણનો પહેલો ભોગ સૌરાષ્ટ્રમાં આવેલું જુનાગઢ બન્યું હતું. ચંદ્રવંશી ચુડાસમાઓએ સિંધમાંથી સ્થળાંતર કરી જૂનાગઢમાં રાજ્ય સ્થાપ્યું હતું. જુનાગઢમાં તે સમયે ચુડાસમા રાજા રા ખેંગાર રાજ્ય કરતો હતો. ચુડાસમાઓની પહેલી રાજધાની વંથલી હતી પાછળથી રાજધાની જૂનાગઢમાં બની હતી.
રા ખેંગાર પહેલાં રા નવઘણ લગભગ ૪૨ વર્ષ સુધી જુનાગઢના રાજા તરીકે રહ્યો હતો. રા ખેંગાર પણ બહાદુર અને જાંબાઝ રાજા હતો. બંને વચ્ચે આશરે ૧૦૨૦ માં યુદ્ધ થયું. યુદ્ધ જેવી મોટી ઘટના હોય એટલે વગર કારણે તો બને નહીં, પણ સિદ્ધરાજ અને રા ખેંગાર વચ્ચેનાં કારણો ઘણાં હતાં અને તેમાનાં કેટલાંક તો બહુ જ રસપ્રદ પણ છે. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com
સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો - 2
·         પ્રકાશન તારીખ24 Jul 2018

જુનાગઢના ચુડાસમા રાજાઓએ વંથલીથી પોતાની રાજધાની ગિરિનગરની તળેટીમાં આવેલા જીર્ણદુર્ગમાં વસાવી હતી. કાળક્રમે જીર્ણદુર્ગનું સંસ્કૃત સ્વરૂપ જુનાગઢ પ્રચલિત થયું હતું. રાજધાનીમાં ફેરફાર થવાથી જુનાગઢ પાટણથી વધુ નજીક આવ્યું, અને ચુડાસમાઓ અને સોલંકીઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ ચાલ્યા કરતો હતો. ત્યાંનો શાસક રા નવઘણ એક શક્તિશાળી રાજા હતો.
લાવ-લશ્કર સાથે રા ખેંગાર પાટણ પર ચડી ગયો. પાટણ પહોંચી નગરનો પૂર્વ તરફનો દરવાજો તોડી પડ્યો.
આખા સુરાષ્ટ્રમાં તેની આણ ફેલાઈ હતી. પરંતુ મૃત્યુ વખતે તેની ઘણી મનની મુરાદો પૂરી થઈ શકે તેમ ન હતી. તેમાંની એક મુરાદ પાટણનો કિલ્લો તોડવાની અને પાટણ ઉપર વિજય મેળવવાની હતી. પરંતુ મૃત્યુ સુધી તેની આ મહત્ત્વાકાંક્ષા ન સંતોષાતાં પિતાની મુરાદ પૂરી કરવાનું બીડું પુત્ર રા ખેંગારે ઉઠાવ્યું હતું. જોકે પાટણના અને સિદ્ધરાજ જેવા શક્તિશાળી રાજા સામે બાથ ભીડવી એ ખાવાનો ખેલ ન હતો. એટલે તેણે મોકા પરસ્તી અપનાવી. સતત ધીરજપૂર્વક પાટણ પર હુમલો કરવાની રાહ જોઈ. ઈ.સ.૧૧૩૫-૩૬ના વર્ષે સિદ્ધરાજ માળવા જીતવાના અભિયાન સાથે ઉજ્જૈનના પંથે હતો. આ બાબતની ખબર રા ખેંગારને તેના ગુપ્તચરો દ્વારા મળી. અને તેણે મોકો ઝડપી લીધો. લાવ-લશ્કર સાથે રા ખેંગાર પાટણ પર ચડી ગયો. પાટણ પહોંચી નગરનો પૂર્વ તરફનો દરવાજો તોડી પડ્યો. પાટણનો કિલ્લો પણ તોડી પડ્યો અને દુર્ગ તોડી પાડ્યો છે તેની સ્મૃતિ રૂપે કિલ્લાના કેટલાક પથ્થર જુનાગઢ લઈ આવ્યો અને તેમાંથી જુનાગઢમાં કાળવાનો દરવાજો ચણાવ્યો હતો.
આટલું ઓછું હોય તેમ સિદ્ધરાજ જયસિંહનું વેવિશાળ જે કન્યા સાથે નક્કી થયું હતું તે રાણક દેવીને જુનાગઢ ઉપાડી લાવ્યો અને તેની સાથે લગ્ન કર્યાં. આમ પિતાની સામ્રાજ્યવાદી મુરાદને સંતોષવાનો તત્કાલીન પુત્રધર્મ અને રાણકદેવી સાથે બળજબરીથી લઈ જવી આ બે બાબતો સિદ્ધરાજના સોરઠ સાથેના યુદ્ધના પાયામાં હતી.
સિદ્ધરાજ સોલંકીને પાટણ પરના રા ખેંગારના હુમલાની જાણ થતાં માળવા અભિયાન પછી તરત જ સોરઠ યુદ્ધ માટેની તૈયારી શરૂ કરી. પાટણ પરનો ખેંગારનો હુમલો એ સિદ્ધરાજનું નાક કાપી લેવા જેવી ઘટના તો હતી જ, સાથે ખેંગારે તેના હોઠ પણ ઘસીને કાપી લીધા હતા. આ પહેલા પણ ખેંગારે સિદ્ધરાજનું બબ્બે વાર અપમાન કર્યું હતું. હવે પાટણપતિ માટે પાણી માથાં સુધી આવી જવા જેવું હતું. મહત્ત્વાકાંક્ષી શાસકો માટે આટલાં પરિબળો પૂરતાં હોય છે. પાટણનો દુર્ગ તોડવો અને રાણક દેવીને ઉઠાવી જવી આવાં બે પ્રબળ કારણો સાથે જુનાગઢ પરના હુમલાની તેની તૈયારી પ્રચંડ હતી. રસ્તામાં વઢવાણ ખાતે કિલ્લો બાંધ્યો અને ત્યાંથી સમગ્ર સૈન્યના સંચાલનની જવાબદારી પણ ઉપાડી.
જુનાગઢ પહોચતાંની સાથે જ ત્યાંના ઉપરકોટને સિદ્ધરાજે વ્યૂહરચનાનું કેન્દ્ર બનાવ્યું. પ્રબંધો અને દંતકથાઓમાં સિદ્ધરાજે જુનાગઢને ૧૨ વર્ષ સુધી ઘેરો ઘાલ્યો હોવાનું કહે છે. છતાં પણ જુનાગઢ કબજે ના થયું. તે પછી યુદ્ધ અને પ્રેમમાં બધું જ જાયજ છે તે ન્યાયે રા ખેંગારના બે ભાણેજો નામે દેશલ અને વિશલને ફોડી નાખ્યા. બંને ભાણેજોએ મામાનાં તમામ રહસ્યો અને લશ્કરી વ્યૂહો ખુલ્લાં કરી દીધાં. પરિણામે સોલંકી સૈન્યનો માર્ગ આસાન થયો. ૧૨-૧૨ વર્ષ સુધી જુનાગઢ જીતવા તલસી રહેલું સિદ્ધરાજનું લશ્કર ગૌરવભેર ઉપરકોટમાં પ્રવેશ્યું. ઉપરકોટ પર તે પછી ઘમાસાણ સર્જાયું, પણ વેરની આગમાં તડપી રહેલા સિદ્ધરાજ સામે રા ખેંગારનું ઝાઝું ઊપજ્યું નહીં. ખેંગાર યુદ્ધમાં માર્યો ગયો. દંતકથા પ્રમાણે મારતાં પહેલાં સિદ્ધરાજે ખેંગારને મોઢામાં ઘાસનું તરણું લેવડાવ્યું હતું. પ્રાચીન કાળમાં દુશમનને પરાજિત કર્યા પછી અપમાનિત કરવાની આ પદ્ધતિ હતી. જે સિદ્ધરાજે પણ કર્યું.
સિદ્ધરાજ જયસિંહ માટે આટલું પર્યાપ્ત ન હતું. ખેંગાર પર પોતાના વિજય જેટલું જ અગત્યનું તેના માટે રાણકદેવીને ફરીથી મેળવવાનું પણ હતું. યુદ્ધવિજય પછી રાજમહેલમાંથી રાણકદેવીને પકડી પોતાની સાથે લઈ પાટણનો રસ્તો પકડ્યો. માર્ગમાં વઢવાણ પાસે ભોગાવો નદીના કાંઠે રાણકદેવી ખેંગાર પાછળ સતી થઈ. સતી થતાં પહેલાં તેણે ભગવાન શંકરને પ્રાર્થના કરી કે
"પ્રભુ રાખજે લાજ, મહારાજ પત્ત આજ મારી,
ઊઘડી ગયું પડ તરત ને પૃથ્વી ગઈ ફાટી,
રાણી પ્રવેશી પેટાળમાં મળી ગઈ માટીમાં માટી"
રાણકદેવીનાં સતી થવાથી સિદ્ધરાજનું જુનાગઢ અને સોરઠ જીતવાનું સ્વપ્ન તો સાકાર થયું, પરંતુ રાણકદેવીને પામવાનું અને તેની સાથે દામ્પત્ય જીવન વિતાવવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.
રાણકદેવીનાં સતી થવાથી સિદ્ધરાજનું જુનાગઢ અને સોરઠ જીતવાનું સ્વપ્ન તો સાકાર થયું, પરંતુ રાણકદેવીને પામવાનું અને તેની સાથે દામ્પત્ય જીવન વિતાવવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.
રાણકદેવીને પુન:પ્રાપ્ત કરવાની સિદ્ધરાજની મંશા ભલે ના સંતોષાઈ, પણ જુનાગઢ વિજય પછી જે પ્રાપ્ત થયું તે કમ ન હતું. સોરઠ વિજય પછી પહેલું કામ તેણે જુનાગઢને પોતાના સામ્રાજ્યમાં લાવી દીધું. સિદ્ધરાજ જાણતો હતો કે સૌરાષ્ટ્રની પ્રજા જુનાગઢના પરાજય અને રાણકદેવીને તેના ગઢમાંથી લઈ જવાવાળી વાત ભૂલવાની નથી. પણ તે પણ સોરઠવાસીઓને તેમનો પરાજય ભુલાવવા માગતો ન હતો. તે માટે માત્ર સોરઠ અમલી બને એ રીતે સિંહ સંવતશરુ કરાવ્યા હતા.
સોરઠની પ્રજાને અનૃણ કરાવવાનો સામ્રાજ્યવાદી સિદ્ધરાજનો આ પ્રયત્ન હતો. સોરઠ વિજય પછી તરત જ ભગવાન સોમનાથની યાત્રા કરી અને માતા મીનળદેવીનાં કહેણથી સોમનાથનો યાત્રાવેરો માફ કર્યો, જે તે જમાનામાં અંદાજે વાર્ષિક ૭૨ લાખ જેટલો હતો. છેલ્લે મહત્ત્વની વાત એ બની કે શાસકો પોતાના મહત્વના વિજયો પછી પદવીઓ અને ઉપાધિઓ ધારણ કરતા હતા. સોરઠ પરના વિજય પછી સિદ્ધરાજ સોલંકીએ ચક્રવર્તીનું બિરુદ ધારણ કર્યું હતું. અત્યાર સુધી જયસિંહ તરીકે ઓળખાતો તે હવે પછી સિદ્ધરાજ અને સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાવા લાગ્યો. સમગ્ર ગુજરાત તેની એકહથ્થુ સત્તા નીચે આવ્યું. હવે તેનું નિશાન માળવા બનવાનું હતું. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

સિદ્ધરાજનું માળવા સાથેનું યુદ્ધ (૧૧૩૫-૩૬)
·         પ્રકાશન તારીખ25 Jul 2018

જુનાગઢ સાથેના યુદ્ધમાં વિજય પછી મોટો વિસ્તાર સોલંકી સામ્રાજ્યમાં જોડાતાં સિદ્ધરાજનું રાજ્ય અને પ્રતિષ્ઠા બન્ને વધ્યાં હતાં. દરમિયાન જ સિદ્ધરાજને માળવા સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ૧૧૩૫-૩૬ના વર્ષે થયું હતું, પણ માળવા સામે યુદ્ધનો સોલંકીઓ માટે આ પહેલો પ્રસંગ ન હતો. પાટણના સોલંકીઓ અને માળવાના પરમાર રજાઓ ઠેઠ ભીમદેવ ભીજાના સમયથી પરસ્પર અથડાતા રહ્યા હતા. તેની અનેક કથાઓ-દંતકથાઓ પણ પ્રચલિત છે. તેમાંની એક રસિક દંતકથા જોઈએ.
પાટણનો રાજા ભીમદેવ ખુબ જ ચમત્કારી પરાક્રમી પુરુષ હતો અને તેનો ગાઢ પ્રભાવ માળવાના રાજા અને ત્યાંની જનતા પર પડ્યો હતો. તેણે જોવા માટે ખુદ ધારાપતિ ભોજ પાટણ આવ્યો હતો, પણ તેના આવતાં સાથે ભીમ અલોપ થઇ ગયો. તે પછી તે સીધો પોતાના સૈનિકો સાથે માળવા પહોંચી ધારાનગરીને ઘેરી લે છે... વગેરે વર્ણનો પ્રબંધોમાં દર્શાવવામાં આવ્યાં છે. આમાં સાચું-ખોટું તો શું હતું તે નક્કી ના કરી શકાય, પણ ગુજરાતનાં પાટણ અને માળવા વચ્ચે સત્તાની સાઠમારી ખૂબ જૂની હતી. તેનો આ દંતકથાઓ પુરાવો આપે છે. તેનો વઘુ એક મુકામ ગુર્જર પતિ સિદ્ધરાજ બન્યો હતો. માળવા સાથેના સિદ્ધરાજના યુદ્ધનાં ઘણાં વિચિત્ર કારણો ઇતિહાસમાં આપવામાં આવ્યાં છે.
એક, સિદ્ધરાજના રાજ્યમાં યોગિનીઓએ સિદ્ધરાજને યશસ્વી બનવા માટે ઉજ્જૈન જઈ મહાકાલની પૂજા કરવાનું સૂચન કર્યું. સિદ્ધરાજે પણ તે સ્વીકાર્યું, પણ ઉજ્જૈન માળવાના તાબામાં હતું અને કાલિકાની પૂજા માટે ત્યાં જતાં પહેલાં માળવાને જીતવું જરૂરી હતું, અને સિદ્ધરાજે માળવા જીતવા કૂચ કરી હતી.
ગુજરાતનાં પાટણ અને માળવા વચ્ચે સત્તાની સાઠમારી ખૂબ જૂની હતી. અનેક દંતકથાઓ તેનો પુરાવો આપે છે.
માળવા વિજય માટે બીજું કરણ એ આપવામાં આવ્યું છે કે સિદ્ધરાજ જ્યારે જુનાગઢ અભિયાન પછી સોમનાથની જાત્રા પર હતો ત્યારે માલવપતિ યશોવર્મા ગુજરાત પર ચડી આવ્યો હતો. રાજા વગરના પાટણમાં તેણે આક્રમણ કરી હાહાકાર મચાવી દીધો. સિદ્ધરાજના મંત્રી શાંતનુએ રાજા વતી યશોવર્મા સાથે વાટાઘાટો ચલાવી. યશોવર્માએ સિદ્ધરાજની સોમનાથની યાત્રાનું પુણ્ય પોતાના નામે થાય તો જ પાછા વળવા જણાવ્યું. સામેના રાજાની માગણી આજે આપણને રેશનાલિઝમના જમાનામાં વાહિયાત લાગે, પરંતુ મંત્રી શાંતનુએ તે સ્વીકારી લીધી અને પ્રતીકાત્મક રીતે વિધિઓ અને ધાર્મિક અનુષ્ઠાનો કરાવી જયસિંહનું પુણ્ય યશોવર્માના ખાતામાં થાય તેવું કરાવ્યું.
આ વિધિ પત્યા પછી જ યશોવર્મા માળવા પરત ફર્યો. સોમનાથ યાત્રા પછી પાછા આવેલા સિદ્ધરાજે પ્રસ્તુત વાત જાણી ત્યારે તેણે ત્યાજ ધારાનગરનો દુર્ગ તોડવાની અને યશોવર્માની ચામડી ધારદાર તલવારથી ઊતરડી લેવાની પ્રતિજ્ઞા લીધી. તાબડતોબ સિદ્ધરાજે સેના તૈયાર કરી માળવાના માર્ગે નીકળી પડ્યો.
માળવાનો રસ્તો વાયા સિદ્ધપુર, ગોધરા અને દાહોદ થઈ પસાર થતો હતો. તે માળવા પહોંચે તે પહેલાં રસ્તામાં તેણે સ્થાનિક આદિજાતિના બાબરા કે બર્બરક નામના ભીલ સરદારનો સામનો કરવો પડ્યો. સિદ્ધરાજે બાબરાને પરાસ્ત કર્યો પણ તેની પત્નીની વિનંતી સાંભળી બાબરાને જીવતદાન આપ્યું. બાબરા પરના વિજય પછી સિદ્ધરાજ બર્બરક જિષ્ણુ કહેવાયો હતો. આ જ બાબરાએ પાછળથી સિદ્ધરાજને પોતાની ચમત્કારિક શક્તિઓથી અશક્ય વિજયો અપાવ્યાં હોવાનું પણ દંતકથાઓમાં કહેવામાં આવે છે.

બાબરા સાથેના નાના યુદ્ધ પછી સિદ્ધરાજ જેના માટે નીકળ્યો હતો તે માળવા પહોંચ્યો. માળવા જીતવું એટલું આસાન ન હતું. અહીં પણ જૂનાગઢની જેમ જ સિદ્ધરાજે ૧૨-૧૨ વર્ષ સુધી ઘેરો રાખવો પડ્યો હોવાનું કહેવાય છે. આખરે પોતાના હાથીને પુષ્કળ મદિરાપાન કરાવી મદમસ્ત કરી ધારાનગરીનો દક્ષિણ તરફનો વિશાળ દરવાજો તોડી પાડ્યો. સેના સહિત મહારાજ સિદ્ધરાજ ધારાનગરીમાં દાખલ થયા. યશોવર્માને મહેલમાંથી શોધી કાઢી જીવતો પકડી સિદ્ધરાજ સામે પેશ કરવામાં આવ્યો. તેને કાષ્ઠના પિંજરામાં પૂરી ગુજરાત લાવવામાં આવ્યો. માળવા પર પોતાનું આધિપત્ય સ્થાપવા મહાદેવ નામની વ્યક્તિને ત્યાં સુબા તરીકે નિયુક્ત કર્યો. હવે માળવા ગુજરાતનું ખંડિયું રાજ્ય બન્યું. સિદ્ધરાજની સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું અને અવન્તીના વિજય પછી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું.
હેમચંદ્રે ભારતભરમાંથી વ્યાકરણ ગ્રંથો મંગાવી સિદ્ધહેમ શબ્દાનુશાસનનામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. સિદ્ધહેમ ગ્રંથમાં પહેલા બે અક્ષર સિદ્ધરાજ અને પછીના બે અક્ષર આચાર્ય હેમચંદ્રના છે.
માળવાના વિજય પછી સિદ્ધરાજની વૈયક્તિક પ્રતિભા તો નિખરી જ હતી, સાથે ગુજરાતમાં અનેક નવાં સાંસ્કૃતિક સીમાચિન્હો પણ રચાયાં હતાં. સૌપ્રથમ તો સિદ્ધરાજ માળવા વિજય પછી અઢળક દોલતની સાથે માળવાના ગ્રંથ ભંડારો પણ ગુજરાત ઉપાડી લાવ્યો હતો. પોતે સાહિત્ય અને સંશોધનનો સંરક્ષક તો હતો જ. તેણે માળવાનો ગ્રંથ ભંડાર આચાર્ય હેમચંદ્ર અને પાટણના વિદ્વાનો સમક્ષ રજુ કર્યો. હેમચંદ્રે તે પછી પણ ભારતભરમાંથી વ્યાકરણ ગ્રંથો મંગાવી સિદ્ધહેમ શબ્દાનુશાસનનામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. સિદ્ધહેમ ગ્રંથમાં પહેલા બે અક્ષર સિદ્ધરાજ અને પછીના બે અક્ષર આચાર્ય હેમચંદ્રના છે. આ ગ્રંથ રચાયા પછી સિદ્ધરાજ જયસિંહે તેણે હાથીની અંબાડી પર મુકાવી પાટણમાં તેની શોભાયાત્રા કાઢી હતી. ગ્રંથના ગૌરવની ગુજરાતના ઈતિહાસની આ પહેલી ઘટના હતી.
સાહિત્ય પદાર્થના સેવનની સાથે તે પછી પણ સિદ્ધરાજની વિજય યાત્રાઓ ચાલુ જ રહી હતી અને સમગ્ર પશ્ચિમ ભારત પર ગુજરાતનો ધ્વજ લહેરાવ્યો હતો. પણ તે અપુત્ર હતો પુત્રેષણામાં તે ભટકતો રહેતો હતો. તેનાં સગાંઓ જેને પોતાના પછી પાટણનો રાજા બનાવવા માગતા હતા તે કુમારપાળ તો સિદ્ધરાજ ને દીઠો પણ ગમતો ન હતો. પણ આખરે સિદ્ધરાજની ઈચ્છા વિરુદ્ધ તેના મૃત્યુ પછી કુમારપાળ જ પાટણપતિ બન્યો હતો. તેણે પણ સિદ્ધરાજની સાંસ્કૃતિક પરંપરાઓને આગળ વધારી હતી. પરંતુ ગુજરાતની આ અસ્મિતા દૂર સુધી ના જઈ શકી. વર્ષ ૧૩૦૪માં ગુજરાતના સોલંકી-વાઘેલા વંશ અને ગુજરાતની અસ્મિતાનું દિલ્હીપતિ અલાઉદ્દીન ખિલજીના હસ્તે પતન થયું.
arun.tribalhistory@gmail.com



No comments:

Post a Comment