# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Tuesday 2 October 2018

તરાઈનાં યુદ્ધો ઈ.સ. ૧૧૯૧-૯૨ (મહમૂદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ)


તરાઈનાં યુદ્ધો ઈ.સ. ૧૧૯૧-૯૨ (મહમૂદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ)
·         પ્રકાશન તારીખ26 Jul 2018
·        

ભારતના પશ્ચિમ પ્રાંત પર આરબોના હુમલા અને સોમનાથ પર મહમુદ ગઝનવીનાં આક્રમણોનો ઈતિહાસ આપણે ગત હપ્તાઓમાં જોયો. તે દરમિયાન ભલે તેઓ ભારતમાં સ્થાયી સત્તા સ્થાપવામાં નિષ્ફળ ગયો હોય, પરંતુ તેમના હુમલાઓ પછી ભારત પર સ્થાયી સત્તા સ્થાપવાની બારી તો જરૂર ખૂલી હતી. આ બારીને મોટું બારણું બનાવવાનું કૃત્ય મહમૂદ ઘોરીના આક્રમણ પછી પૂરું થયું હતું.

મહમૂદ ઘોરીનો હુમલો તે રીતે મહમુદ ગઝનવી કરતાં નિર્ણાયક હતો. પરંતુ આ બધું પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં નહોતું થયું. મહમૂદ ઘોરી જેવો આક્રમણખોર પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ભારત વિજય મેળવી શક્યો ન હતો. કારણ કે તેણે સબળ હરીફોનો સામનો કરવાનો હતો.
મહમૂદ ઘોરી જેવો આક્રમણખોર પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ભારત વિજય મેળવી શક્યો ન હતો. કારણ કે તેણે સબળ હરીફોનો સામનો કરવાનો હતો.
આ સમયે ઉત્તર ભારતમાં અજમેરનું શક્તિશાળી રાજ્ય હતું. ત્યાં શાસન કરતા ચૌહાણોની પહેલી રાજધાની અહીચ્છત્રપુર હતી. પછી તેઓ રાજધાની બદલી અજમેરમાં સ્થાપિત થયા હતા. ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ પણ આ રાજ્યની મુલાકાતે ગયો હતો. ચૌહાણો અગ્નિવંશી અને ચંદ્રવંશી કહેવાય છે. દંતકથાઓ મુજબ ચૌહાણોની ઉત્પત્તિ વશિષ્ઠના અગ્નિકુંડમાંથી થઈ હતી. અગ્નિવંશના અજમેરના રાજા પૃથ્વીરાજ ચૌહાણ હતા. સોમેશ્વરનો આ પુત્ર બાળવયે અજમેરનો રાજા બન્યો હતો.
બાળવયે તેના વતી રાજમાતા કર્પૂરીદેવી અને મંત્રી કદમ્બ શાસન કરતા હતા. રાજા બનતા પહેલાં ભાવિ રાજાને તૈયાર કરવા માટે અસ્ત્ર શસ્ત્રનું જે પ્રશિક્ષણ કુમારને આપવામાં આવે છે તે પૃથ્વીરાજને પણ આપવામાં આવ્યું હતું. યુવાવસ્થામાં તે એક પરાક્રમી અને કુશળ રાજા તરીકે તૈયાર થઇ ચૂક્યો હતો.
ચંદ બરદાઈ કૃત પૃથ્વીરાજ રાસો અને અન્ય સમકાલીન ગ્રંથોમાં પૃથ્વીરાજની પૂર્વાવસ્થા અને તેનાં પરાક્રમો અને સુશાસનની વિગતો પ્રાપ્ત થાય છે. બાળરાજા પૃથ્વીરાજે ઈ.સ.૧૧૮૨માં વાસ્તવિક રીતે સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લીધા હતા. પૃથ્વીરાજ વીર અને પરાક્રમી હતો. ૧૧મી અને ૧૨મી સદીમાં ઉત્તર ભારતમાં અસ્તિત્વ ધરાવતા મોટાભાગના રાજપૂત રાજાઓ પૃથ્વીરાજથી પરાસ્ત થયા હતા.
તે સમયે સત્તાની સાઠમારીનો જમાનો હતો અને યુદ્ધો કરી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો તે શૌર્યનું પ્રતીક ગણાતું હતું. તે પૃથ્વીરાજે પણ કર્યું. માળવાના પરમારો, ગુજરાતના સોલંકીઓ કે ચાલુક્યો અને ઉદેપુરના ગુહીલો તથા દિલ્હીના ચૌહાનો સુધી તેનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. વિશાળ સામ્રાજ્ય સ્થાપવા સાથે તેણે કુશળ અને ન્યાયપૂર્ણ શાસનવ્યવસ્થા પણ ગોઠવી હતી.

હિન્દુસ્થાનનું આવું રાજ્ય હોય તો તેને હરાવી મુસ્લિમ સત્તાની સ્થાપના કરવી એ હજારો માઈલ દુર બેઠેલા મહમૂદ ઘોરીનું સ્વપ્ન હતું. ઘોરીના હુમલા વખતે ઘોર પ્રદેશ અને અજમેર વચ્ચે ઘણા નાનાં-નાનાં રાજ્યો હતાં. તેમના કેટલાક પર ગઝનીનું આધિપત્ય હતું. સરહદી પ્રદેશોના પંજાબ પર ગઝનીનો સુબેદાર શાસન કરતો હતો અને તેની રાજધાની લાહોરમાં હતી. તેનું બીજું કેન્દ્ર મુલતાન હતું. મહમૂદ ઘોરીના શરૂના હુમલાઓ વખતે આ નાના પ્રાંતો ઘોરીનો સામનો ન કરી શક્યા અને ઘોરી સૈન્ય માટે ભારત પ્રવેશની બારી ખુલ્લી થઇ હતી.
મહમૂદ ઘોરી માટે પણ કહેવાય છે કે તેણે ભારત પર સત્તર વખત આક્રમણો કર્યાં હતાં અને સત્તર વખત પરાસ્ત થયો. પરંતુ તે હાર માને તેવો સુલતાન ન હતો. મહમૂદ ઘોરીનું આખું નામ મુઈઝુદ્દીન મુહમ્મદ બિન શાખ હતું. તે પોતાની પૂર્વેના હુમલાખોરોમાંથી ઘણા પદાર્થપાઠ શીખ્યો હતો. તેથી તેણે યોજનાબદ્ધ રીતે ભારત અભિયાન આદર્યું હતું. મહમૂદ ઘોરીએ ભારત આવવાના પ્રચલિત માર્ગ ખૈબર ઘાટના રસ્તે આવવાના બદલે સિંધુ પ્રદેશના મેદાનમાં આવેલા ગોમલનો માર્ગ પકડ્યો.
ઈ.સ. ૧૧૮૨ સુધીમાં સિંધના રાજાઓએ મહમૂદ ઘોરીનું આધિપત્ય સ્વીકારી લીધું હતું. અહીં એક બીજી વાત પણ નોંધપાત્ર છે કે ઘોરી પહેલાં હુમલાખોરોની જેમ યુદ્ધ કરી લૂંટફાટ કરી સ્વદેશ પાછા ફરવામાં માનતો ન હતો. તે ભારતમાં સ્થાયી સત્તા સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે લશ્કરી અભિયાન ગોઠવી રહ્યો હતો.
૧૧૮૫માં ઘોરી સેનાએ લાહોર કબજે કર્યું. હવે પછીના ક્રમમાં તે ગંગા નદીના મેદાની વિસ્તારોમાં આવેલા રાજપૂત રાજાઓને પોતાનું નિશાન બનાવવાનો હતો. તેના શરૂઆતના હુમલા વખતે તે આવી રહ્યો છે તેવી માહિતી પૃથ્વીરાજને પોતાના ચંદ્રરાજ નામના મુખબીર દ્વારા મળી હતી. પરિણામે રાજપૂત રાજાને સજ્જ થવાનો અને દુશ્મનને દબોચવાનો સમય મળી ગયો. મહમૂદ અજમેર સુધી આવે તે પહેલાં પૃથ્વીરાજ મુલતાન સુધી પહોંચી ગયો અને મહમૂદ ઘોરીને પકડ્યો.
પૃથ્વીરાજે ભારતીય યુદ્ધના સિદ્ધાંતો પ્રમાણે ઘોરીને મારવા અથવા તો પરત ફરવા ઓફર કરી. મહમૂદને તો યુદ્ધના સિદ્ધાંતો સાથે નહાવા નિચોવવાનોય સંબધ ન હતો.
પૃથ્વીરાજે ભારતીય યુદ્ધના સિદ્ધાંતો પ્રમાણે ઘોરીને મારવા અથવા તો પરત ફરવા ઓફર કરી. મહમૂદને તો યુદ્ધના સિદ્ધાંતો સાથે નહાવા નિચોવવાનોય સંબધ ન હતો. તેણે પૃથ્વીરાજ સાથે બનાવટ કરી. ઘોરીએ કહ્યું કે હું તો મારા ભાઈ સુલતાનનો સેનાપતિ માત્ર છું. તેની આજ્ઞા આવે ત્યાં સુધી તમે થોભી જાવ, યુદ્ધ બંધ કરો. મહમૂદના વચન પર વિશ્વાસ મૂકી પૃથ્વીરાજે તેને મુક્ત કર્યો. આમ પહેલી વાર મહમૂદ ઘોરી પૃથ્વીરાજની દયાને કારણે જીવતદાન પામ્યો. પરંતુ પૃથ્વીરાજને ક્યાં ખબર હતી કે તેની આ દિલાવરી ખુદ પૃથ્વીરાજ ઉપરાંત હિન્દુસ્તાનને કેટલી ભારે પડવાની છે? અને તે પછી તરતના સમયમાં સાર્થક થયું.
પૃથ્વીરાજની દયાને કારણે છૂટી દેશ પાછા ફરેલા મહમૂદ સાથે અનેક બાબતો અને ખાસ તો રાજપૂતો અને ભારતીય સૈન્યની યુદ્ધ કળા તેઓની ખાસિયતો અને મર્યાદાઓ જાણી ચૂક્યો હતો અને તેનો બખૂબી ઉપયોગ ઈ.સ.૧૧૯૧-૯૨ના તરાઈના યુદ્ધમાં કરવાનો હતો. તરાઈના સંઘર્ષની વાત આવતી કાલે.
arun.tribalhistory@gmail.com
તરાઈનું યુદ્ધ - 2
·         પ્રકાશન તારીખ27 Jul 2018
·        

મહમૂદ ઘોરીના પહેલા આક્રમણને તો પૃથ્વીરાજે પોતાના બાહુબળથી હઠાવી દીધું, પણ મહમૂદ સિંદરી બળે પણ વળ ન મૂકેતેવી ભાવનાથી હિન્દુસ્તાન પર કબજો કરવા માગતો હતો. ઘોરી વતન પાછો ગયો પણ આ પરાજયે તેની રાતોની નિદ્રા હરામ કરી નાખી હતી.
મહમૂદ ઘોરીના આક્રમણ વખતે રાજપૂત રાજાઓ આપસી મતભેદો ભૂલી ગયા અને પૃથ્વીરાજના નેતૃત્વમાં લડવા માટે તૈયાર થયા. પૃથ્વીરાજ પાસે યુદ્ધમાં હાહાકાર મચાવી શકે તેવા સેનાપતિઓ પણ હતા.
પહેલા યુદ્ધના પરાજયમાંથી પદાર્થપાઠ લઇ તે બીજા હુમલા માટે સજ્જ થઇ રહ્યો હતો. તે અભિયાન મહમૂદ ઘોરીએ ૧૧૯૧ના વર્ષે શરૂ કર્યું. આજના દિલ્હીથી ૧૫૦ કિલોમીટર દૂર હરિયાણાના કરનાલ જીલ્લાના થાનેશ્વરથી ૧૪ માઈલ દૂર સરહિન્દના કિલ્લા પાસે તરાઈ નામનું સ્થળ આવેલું હતું. તેને મહમૂદે પોતાના રણ સંગ્રામનું કેન્દ્ર બનાવ્યું હતું. ખરેખર તો મહમૂદે ચૌહાણ સામ્રાજ્યના ભટીંડાના કિલ્લા પર અધિકાર કરી પૃથ્વીરાજને યુદ્ધ માટે ઉશ્કેર્યો હતો. પૃથ્વીરાજ સેના સહિત તેનો મુકાબલો કરવા સામો ગયો. પરિણામે નાછૂટકે મહમૂદે તરાઈમાં રોકાઈ જવું પડ્યું અને તરાઈ રણમેદાન બન્યું હતું.
આ સમયે પૃથ્વીરાજની મદદે ઉત્તર ભારતના ઘણા રાજપૂત રાજાઓ પણ હતા. તેઓ મહમૂદના આક્રમણ વખતે આપસી મતભેદો ભૂલી ગયા અને પૃથ્વીરાજના નેતૃત્વમાં લડવા માટે તૈયાર થયા. પૃથ્વીરાજ પાસે યુદ્ધમાં હાહાકાર મચાવી શકે તેવા સેનાપતિઓ હતા. ઉદા. તરીકે તેનો એક સેનાપતિ લાખા રતનસી વિશાળ શરીર ધરાવતો યોદ્ધો હતો. તેના ભાલાનું વજન એક મણ જેટલું હતું અને કમરે તો દોઢ ગજ લાંબી તલવાર બાંધતો હતો. આ સૈનિકો અને વિશાળ સેના લઇ પૃથ્વીરાજ તરાઈ પહોંચ્યો. યુદ્ધના પહેલા જ દિવસે ચૌહાણ સેનાએ મહમૂદ ઘોરીની સેનાના ૭ હજાર ઘોડેસવાર સૈનિકોનો ખુરદો બોલાવી દીધો. પૃથ્વીરાજની સેનામાં ગજદળ પણ હતું. તેઓએ રચેલા ગજ ચક્રવ્યૂહમાં ઘોરીના લગભગ ૧૦ હજારથી વધુ સૈનિકો માર્યા ગયા હતા.
પૃથ્વીરાજની સેના ઘોરી લશ્કર પર સુનિયોજિત હુમલાઓ કરી રહી હતી. પણ સેંકડો કોસ દૂરથી એક ઝનુન સાથે આવેલો મહમૂદ પણ ગાંજ્યો જાય તેમ ન હતો. સુલતાન મહમૂદ ઘોરીએ હાથી પર બેસી લડી રહેલા દિલ્હીના રાજા ગોવિંદરાયના મોઢા પર ભાલો મારી તેના બે દાંત તોડી નાંખ્યા. આ સમયે પૃથ્વીરાજના સેનાપતિ ખૈતસિંહ ખેંગાર લશ્કરનું સુકાન સંભાળી રહ્યા હતા. પરંતુ ધાર્યું પરિણામ આવતું ન હતું.
આખરે પૃથ્વીરાજ ખુદ રણમેદાનમાં આવ્યો. પૃથ્વીરાજના આવતાં સાથે ચૌહાણ સેનામાં નવસંચાર થયો. રાજપૂત સૈનિકોએ ઘોરી સેનાના છક્કા છોડાવી દીધા. મહમૂદ ઘોરી પણ બહુ જ ખરાબ રીતે ઘાયલ થયો હતો. મહમૂદના હાથ પર તીર વાગ્યું અને તે લગભગ મૂર્છિત થઇ ગયો. આ જ વખતે તેનો એક વફાદાર સૈનિક ઘોડો લઈ પહોંચી ગયો અને પોતાના સુલતાનને રણમેદાનની બહાર લઈ ગયો. આ વખતે પૃથ્વીરાજ આવ્યો અવસર ચૂકી ગયો. થોડીક વ્યૂહરચના ગોઠવી હોત તો તરાઈનું યુદ્ધ મહમૂદ ઘોરીનું અંતિમ યુદ્ધ બન્યું હોત. દંતકથાઓ મુજબ તો મહમૂદ પરાજય પછી પૃથ્વીરાજની કેદમાં પુરાયો હોવાનું પણ કહેવાય છે. પણ વાસ્તવમાં એમ બન્યું ન હતું. રાજા ઘવાતા અને રણમેદાન છોડતો જોઈ લશ્કરનું પણ શું પૂછવું?
સેનાપતિઓ સહિત સૈનિકો પણ મહમૂદના રસ્તે નાઠા. સેનાપતિના અભાવમાં તુર્ક લશ્કર મુઠ્ઠીઓ વાળીને ભાગ્યું. પછી પરિસ્થિતિ પોતાની તરફેણમાં છે તેનો ખ્યાલ આવતાં ચૌહાણ સેનાએ ૮૦ માઈલ દૂર સુધી તુર્કોનો પીછો કર્યો. અને લગભગ વાયવ્ય સરહદ સુધી ખદેડી મૂક્યા. આ યુદ્ધ પછી પૃથ્વીરાજને અંદાજે ૭ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ મળી, જે તેણે યુદ્ધમાં પોતાને વિજય અપાવનાર સૈનિકોમાં વહેંચી દીધી.
ઘાયલ મહમૂદ ઘોરીને પૂરો કરવાનો આવ્યો અવસર પૃથ્વીરાજ ચૂકી ગયો. થોડીક વ્યૂહરચના ગોઠવી હોત તો તરાઈનું યુદ્ધ મહમૂદ ઘોરીનું અંતિમ યુદ્ધ બન્યું હોત.
મોટા વિજય સાથે મહારાજ પૃથ્વીરાજ અજમેર પરત આવ્યા. તરાઈના પહેલા યુદ્ધ પછી તેની રજવાડી ઈજ્જતમાં ઘણો વધારો થયો હતો. આખા ભારતમાં તેની વીરતા અને સાહસની ચર્ચા થતી હતી. બીજી બાજુ પરાસ્ત થયેલા મહમૂદ ઘોરીની શી હાલત હતી તે જોઈએ. તેનું બચેલું લશ્કર મહા મુસીબતે સ્વદેશ પહોચ્યું, પણ હવે તેમણે પોતાના સુલતાનનો ખોફ પણ સહન કરવાનો હતો. તેણે પોતાના બધા સેનાપતિઓના મોઢા પર જવના થોબરા બાંધી આખા શહેરમાં ફેરવ્યા અને અપમાનિત સ્થિતિમાં મૂકી દીધા. તે પોતે પણ ઘણો સમય મહેલની બહાર ન નીકળ્યો. સારાં કપડાં પહેરવાનું બંધ કરી મહમૂદ માત્ર અંત:પુરમાં વિશ્રામ કરતો રહ્યો. તેની રાતોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. અપમાનની આગમાં ધૂંધવાતો મહમૂદ વઘુ મોકાની અને તૈયારીની ફિરાકમાં હતો. વેરની આગ તેને લાંબો સમય રાહ ન જોવડાવી શકી. બીજે જ વર્ષે ૧૧૯૨માં તે વધુ તૈયારી સાથે ભારત પર ચડી આવ્યો અને તે મહમૂદ કે પૃથ્વીરાજ માટે જ નહિ, સમગ્રતયા ભારતના ઈતિહાસનું નિર્ણાયક યુદ્ધ બનવાનું હતું.
(
ક્રમશઃ)
arun.tribalhistory@gmail.com
તરાઈનું યુદ્ધ - 3
·         પ્રકાશન તારીખ28 Jul 2018
·          

તરાઈના પહેલા યુદ્ધ પછી આગળ આપણે જોયું તેમ મહમૂદ ઘોરી ઘણો જ ધૂંધવાયેલો હતો. પૃથ્વીરાજની દાઝ તેણે પોતાના સૈનિકો અને સેનાપતિઓ ઉપર કાઢી અને બીજા વિશાળ હુમલા માટે લશ્કરને સજ્જ કર્યું.
ઘોરીના બીજા હુમલાની સમાંતર એક બીજો પ્રસંગ પણ ભારતીય ઈતિહાસમાં રચાઈ રહ્યો હતો અને તે પૃથ્વીરાજ અને સંયુક્તાની પ્રેમકહાની અને સ્વયંવરની કથા.
ઘોરીના બીજા હુમલાની સમાંતર એક બીજો પ્રસંગ પણ ભારતીય ઈતિહાસમાં રચાઈ રહ્યો હતો અને તે પૃથ્વીરાજ અને સંયુક્તાની પ્રેમકહાની અને સ્વયંવરની કથા.
કનોજના રાજા જયચંદની પુત્રી સંયુક્તાનો સ્વયંવર હતો. દેશભરમાંથી રાજાઓ અને રાજકુમારો તેને વરવા માટે તત્પર હતા પણ સંયુક્તા તો પહેલેથી જ પોતાનું દિલ પૃથ્વીરાજને દઈ બેઠી હતી. પરંતુ કનોજ નરેશ જયચંદ પૃથ્વીરાજને પહેલેથી જ પોતાનો હરીફ અને શત્રુ માનતો હોવાથી તેને આ સબંધ મંજુર ન હતો. પૃથ્વીરાજને અપમાનિત કરવા માટે જ જયચંદે તેને સંયુકતાના સ્વયંવરમાં નિમંત્રણ આપ્યું ન હતું. વિશેષમાં પૃથ્વીરાજનું પૂતળું મહેલના દરવાજે મૂકી અપમાનની પરાકાષ્ઠા દેખાડી. હાથમાં વરમાળા લઈ નીકળેલી સંયુક્તા એ પૃથ્વીરાજના પૂતળાને વરમાળા પહેરાવી દીધી.
સ્વયંવરમાં ઉપસ્થિત સહુ કોઈ ચોંકી ગયા. એટલામાં જ પૂતળામાંજ છુપાયેલો સાચુકલો પૃથ્વીરાજ પ્રગટ થયો અને પોતાના પવનવેગી ઘોડા પર સ્વાર થઈ સંયુક્તાને હરી ગયો. સંયુકતાહરણ રાજા જયચંદ માટે અકળાવનારું અને અપમાનજનક નીવડ્યું અને તેનો બદલો જયચંદે મહમૂદને મદદ કરી લેવાનું નક્કી કર્યું.
એક તરફ ઘોરી દુઃખી હતો. બીજી તરફ જયચંદ. આમ બે સમદુઃખિયા ભેગા થયા અને ભારતના ઇતિહાસે કરવટ બદલી.

ઘોરીને મદદ કરી જયચંદ એમ માનતો હતો કે ઘોરી તો લૂંટફાટ કરી ચાલ્યો જશે અને પૃથ્વીરાજનું રાજ્ય પોતાને મળશે! ટૂંકમાં પ્રતિશોધ અને સ્વાર્થની ટૂંકી ભાવના સાથે જયચંદ ઘોરી જેવા વિધર્મી સુલતાનને સહાય કરવા તૈયાર થયો. તેણે ખાસ દૂત મોકલી પૃથ્વીરાજ સામેના યુદ્ધમાં ઘોરીને સૈનિક સહાયની ખાતરી આપી. જયચંદના વચન પછી ઘોરી પૃથ્વીરાજ સામે નવું યુદ્ધ કરવા માટે તૈયાર થઇ ગયો.
આ જ સમયે ઉત્તર ભારતનાં રાજપૂત રાજ્યો પણ સંયુક્તાહરણની ઘટના પછી પૃથ્વીરાજથી નારાજ હતા. તેઓ પૃથ્વીરાજના મંત્રી ચંદ બરદાઈનાં કહેણ અને મદદની દુહાઈ છતાં ઘોરી - પૃથ્વીરાજ વચ્ચેના યુદ્ધથી દૂર રહ્યા હતા.

વર્ષ ૧૧૯૨માં ઘોરી અને પૃથ્વીરાજ ફરી સામસામા આવ્યા. આ સમયે પૃથ્વીરાજ પાસે લગભગ ૩ લાખનું સૈન્ય હતું. જ્યારે ઘોરી પાસે અંદાજે ૧ લાખ ૨૦ હજાર. પૃથ્વીરાજ પાસે હાથીઓનું મોટું દળ હતું તો ઘોરી પાસે અશ્વદળ. બંને સેનાઓ સામસામે ઘણો સમય લડતી અને ઇન્તજાર કરતી રહી. રાજપૂત સેના મહાભારત કાળથી ચાલ્યા આવતા યુદ્ધના નિયમોને અનુસરતી હતી. ઘોરીને યુદ્ધના કોઈ નિયમો લાગુ પડતા ન હતા. તેણે સૈનિકોને તાપણાં સળગાવવા કહ્યું જેથી રાજપૂત સેનાને ત્યાં લશ્કરી પડાવ છે તેવું લાગે અને પૃથ્વીરાજની સેના તેને ઘેરો ઘાલે. તે પહેલાં પાછળથી હુમલો કરી દેવો. મહમૂદ ઘોરીની આ યોજના કારગત નીવડી. ઘોરીના ઘોડેસવારોએ આક્રમક રીતે પૃથ્વીરાજના હાથીઓને ઘેરી લીધા. તીરમારાથી ઘાયલ થયેલા હાથીઓએ પોતાના જ સૈનિકોને કચડવાનું શરૂ કર્યું.
છેલ્લા યુદ્ધમાં ઘોરીએ રાજપૂત સેનાપતિઓને પણ ખરીદી લીધા. પૃથ્વીરાજના ઘોડાને પણ ભટકાવી દેવામાં આવ્યો. ભયંકર અને આરપારના તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજના લગભગ ૧ લાખથી વધુ સૈનિકો માર્યા ગયા. પૃથ્વીરાજ ઘેરાઈ ગયો. તે મરણિયો બની ઘોડા પરથી કૂદી લડવા લાગ્યો, પણ પાછળથી યવન સૈનિકે તીર મારતાં તે પડી ગયો. ઘોરી સેનાએ પૃથ્વીરાજને પકડી લીધો. અપમાનિત થવા કરતાં મરવું સારું એમ માની તેણે ભૂખ્યા તરસ્યા રહી મોતને ભેટવાનું નક્કી કર્યું. તેણે પણ ઘોરીને એકવાર પોતાને છોડવા માટે કહ્યું, પણ ઘોરી પૃથ્વીરાજ ન હતો. આખરે તેને કિલ્લામાં મોકલી દેવામાં આવ્યો, જ્યાં તેનું મોત અગમ્ય સંજોગોમાં થયું હોવાનું કહેવાય છે.
પૃથ્વીરાજ પાસે લગભગ ૩ લાખનું સૈન્ય હતું. જ્યારે ઘોરી પાસે અંદાજે ૧ લાખ ૨૦ હજાર. પૃથ્વીરાજ પાસે હાથીઓનું મોટું દળ હતું તો ઘોરી પાસે અશ્વદળ.
અજમેર વિજય પછી ઘોરી સેના અત્યાચાર વર્તાવતી છેક કનોજ સુધી પહોંચી કનોજ પણ કબજે કર્યું. આટલા મોટા વિજય પછી તેણે ભારત પર રાજ્ય કરવા માટે કુત્બુદ્દીન ઐબક નામના સૂબાની નિમણૂક કરી અને તે પાછળથી એ જ ઐબક દિલ્હી સલ્તનતનો પહેલો સુલતાન પણ બન્યો હતો.
આમ પૃથ્વીરાજ ચૌહાણ જેવા પરાક્રમી રાજાના પરાજય સાથે ભારતમાં એક યુગનો અંત આવ્યો અને નવો યુગ શરૂ થયો, જે અગાઉના યુગ કરતા જુદો હતો.
પૃથ્વીરાજ ભલે રણમેદાનમાં ખપી ગયો, પોતાની પ્રેયસી અને રાણી સંયુક્તા સાથે સંસાર ભોગવી ન શક્યો. છતાં આજે પણ તે એક આદર્શ અને પ્રેરણાપુરુષ તરીકે ભારતીય જનમાનસમાં જીવંત છે.
arun.tribalhistory@gmail.com


1 comment:

  1. પૃથ્વીરાજ ચૌહાણ
    વિશે ખૂબ જ સુંદર લેખ રજુ કર્યો છે.

    ReplyDelete